/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/congress-high-profile-leader-exits.jpg)
જ્યોતિરાદિત્ય સિંધિયા, ગુલામ નબી આઝાદ અને મિલિંદ દેવરા (એક્સપ્રેસ ફાઇલ ફોટો)
congress high profile leader exits list : કોંગ્રેસના પૂર્વ સાંસદ અને કેન્દ્રીય મંત્રી મિલિંદ દેવરાએ રવિવારે પોતાના પરિવારના કોંગ્રેસ સાથેના 55 વર્ષ જૂના સંબંધોનો અંત આણ્યો હતો અને મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા હતા. આ સાથે જ કોંગ્રેસ સાથે સંબંધો તોડી નાખનારા હાઇ પ્રોફાઇલ નેતાઓની યાદીમાં વધુ એક નામ જોડાયું છે
દેવરા છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં શિવસેનાના અરવિંદ સાવંત સામે હારી ગયા હતા. એવું કહેવાય છે કે સીટ વહેંચણીની સમજુતી હેઠળ પોતાની મુંબઈ દક્ષિણ સીટ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના (યુબીટી)ને આપવાની શક્યતાને લઈને તેઓ કોંગ્રેસ પાર્ટીથી નારાજ હતા.
દેવરા 2004માં પ્રથમ વખત સંસદમાં ચૂંટાયા હતા. તે સમયે તેઓ યુવા સાંસદોની ટીમમાં સામેલ હતા. તેમને રાહુલ ગાંધીની ટીમનો ભાગ માનવામાં આવતા હતા. અન્ય નેતાઓમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, જિતિન પ્રસાદ, સચિન પાયલટ અને આરપીએન સિંહ સામેલ હતા. પાયલટને બાદ કરતા આ તમામે છેલ્લા કેટલાક વર્ષોમાં કોંગ્રેસ છોડી દીધી છે. આવો જાણીએ છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસ છોડનારા મોટા નેતાઓ વિશે.
જ્યોતિરાદિત્ય સિંધિયા
હાલમાં કેન્દ્રીય મંત્રી અને ચાર વાર સાંસદ રહી ચૂકેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ માર્ચ 2020માં કોંગ્રેસ છોડીને મધ્ય પ્રદેશમાં ઓછામાં ઓછા 22 ધારાસભ્યો સાથે ભાજપમાં સામેલ થઈ ગયા હતા. તેમના સત્તામાં આવ્યાના એક વર્ષ બાદ કોંગ્રેસની આગેવાની હેઠળની કમલનાથ રાજ્ય સરકાર પડી ભાંગી હતી.
પોતાના રાજીનામાના પત્રમાં સિંધિયાએ કોંગ્રેસ પ્રત્યેના પોતાના મોહભંગનો સંકેત આપતાં તેમણે લખ્યું હતું કે મારું લક્ષ્ય અને ધ્યેય તે જ છે જે શરૂઆતથી રહ્યો છે, પોતાના રાજ્ય અને દેશના લોકોની સેવા કરવાનો, હું માનું છું કે અત્યારે હું તેમ કરી શકવા અસમર્થ છું.
કોંગ્રેસની 2019ની લોકસભાની હાર પછી સિંધિયા કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીના સંભવિત અનુગામી તરીકે જોવામાં આવતા નામોમાંથી એક હતા.
જિતિન પ્રસાદ
જિતિન પ્રસાદ જૂન 2021માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ કરતા પણ ઓછા સમય પહેલા પાર્ટી છોડીને ભાજપમાં જોડાનારા જી-23 કોંગ્રેસ નેતાઓના સમૂહમાંથી પ્રથમ નેતા બન્યા હતા. જી-23 નેતાઓએ 2020માં સોનિયા ગાંધીને પત્ર લખીને સંગઠનમાં સંપૂર્ણ ફેરફાર કરવાની માંગ કરી હતી. પ્રસાદ 2001થી કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની સરકારમાં કેન્દ્રીય રાજ્ય પ્રધાન હતા. કોંગ્રેસના દિવંગત નેતા જિતેન્દ્ર પ્રસાદના પુત્ર, જેમને એક સમયે "યુવાન તુર્ક" તરીકે જોવામાં આવતા હતાય કહેવામાં આવતું હતું કે તેઓ રાહુલ ગાંધીની ટીમમાં મુખ્ય ભૂમિકા ભજવશે.
જિતિન પ્રસાદે પાર્ટી છોડી ત્યારે કહ્યું હતું કે ભાજપ એકમાત્ર વાસ્તવિક રાજકીય પક્ષ છે અને તે એકમાત્ર રાષ્ટ્રીય પક્ષ છે. તેમણે દાવો કર્યો છે કે તેમને લાગ્યું છે કે તેઓ તેમના ભૂતપૂર્વ પક્ષમાં ફક્ત રાજકારણથી ઘેરાયેલા હતા અને લોકોના લાભ માટે ફાળો આપવા અને તેમનું કાર્ય કરવામાં અસમર્થ હતા. જિતિન પ્રસાદ હાલ યોગી આદિત્યનાથ સરકારમાં કેબિનેટ મંત્રી છે.
સુષ્મિતા દેવ
સુષ્મિતા દેવ અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના વડા અને આસામમાં પક્ષના અગ્રણી ચહેરાઓમાંથી એક હતા. તેમણે ઓગસ્ટ 2021માં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) માં જોડાવા માટે પાર્ટી છોડી દીધી હતી. બાદમાં તેમને રાજ્યસભામાં નામાંકિત કરવામાં આવ્યા હતા. રાહુલની ટીમના જાણીતા સભ્ય દેવ આસામમાં નેતૃત્વ દ્વારા લેવામાં આવેલા કેટલાક નિર્ણયોથી નાખુશ હોવાનું કહેવાય છે.
સુષ્મિતા દેવના નાખુશ હોવાની અફવાઓ ફેબ્રુઆરી 2021થી ચાલી રહી હતી જ્યારે એવું કહેવામાં આવ્યું હતું કે બદરૂદ્દીન અજમલના નેતૃત્વવાળી પાર્ટી, કોંગ્રેસ અને તેના તત્કાલીન સાથી એઆઈયુડીએફ દ્વારા ઉમેદવારોની પસંદગીને લઈને તે કોંગ્રેસની બેઠકમાંથી બહાર નીકળી ગયા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે સુષ્મિતા દેવને લાગ્યું કે તેમની રાજનીતિક સ્થાન સંકોચાઈ રહ્યું છે. હાલમાં તેઓ ટીએમસીમાંથી રાજ્યસભાના સાંસદ છે.
આ પણ વાંચો - મિલિંદ દેવરાએ પાર્ટી છોડી, કોંગ્રેસનો આરોપ – રાજીનામાનો સમય પીએમ મોદીએ નક્કી કર્યો હતો
કેપ્ટન અમરિંદર સિંહ
નવેમ્બર 2021માં પંજાબ વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસ છોડી દીધી હતી અને પોતાની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસની રચના કરી હતી. એક વર્ષ કરતાં પણ ઓછા સમય બાદ તેમણે પોતાની પાર્ટીને ભાજપમાં ભેળવી દીધી હતી.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને લખેલા પત્રમાં અમરિંદર સિંહે કહ્યું હતું કે મારી સખત આપત્તિ અને પંજાબના લગભગ તમામ સાંસદોની સર્વાનુમતે સલાહ આપવા છતાં તમે નવજોત સિંહ સિદ્ધુને પસંદ કર્યા. જેમણે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ બાજવા અને વડાપ્રધાન ઇમરાન ખાનને ગળે લગાવ્યા હતા.
કોંગ્રેસ છોડતા પહેલા તેમણે પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું, કારણ કે રાજ્ય એકમમાં લાંબા સમય સુધી ચાલી રહેલા ઝઘડાને કારણે પાર્ટી હાઈકમાન્ડે કેપ્ટનને પદ છોડવાનું કહ્યું હતું. હાલ તેઓ ભાજપમાં છે.
આર પી એન સિંહ
પૂર્વ કેન્દ્રીય મંત્રી આરપીએન સિંહ જાન્યુઆરી 2022માં યુપી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ હવે પહેલા જેવી પાર્ટી રહી નથી. ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા સિંહે કોંગ્રેસમાં ત્રણ દાયકાથી વધુ સમય વિતાવ્યો હતો. તે પહેલાં તેમના પિતા કુંવરચંદ્ર પ્રતાપ નારાયણ 1980માં ધારાસભ્ય અને બે વખત સાંસદ અને ઇન્દિરા ગાંધી સરકારમાં મંત્રી રહી ચૂક્યા હતા.
આર પી એન સિંહ કહ્યું હતું કે હું છેલ્લા 32 વર્ષથી એક જ પક્ષમાં છું પરંતુ આજે મારે કહેવું છે કે પાર્ટી હવે પહેલા જેવી રહી નથી, ના તેનો વિચાર રહ્યો છે. આજે સૌ જાણે છે કે જો કોઈ એક પક્ષ હોય, જે લોકોના હિત માટે કામ કરી રહ્યો હોય અને રાષ્ટ્રના નિર્માણ માટે કામ કરતો હોય તો તે ભાજપ છે. હાલ તેઓ ભાજપના સભ્ય છે.
કપિલ સિબ્બલ
મનમોહન સિંહ સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી રહેલા કપિલ સિબ્બલેનું મે 2022માં કોંગ્રેસમાંથી બહાર નીકળવાની ઘટના બે મહિના પછી આવી હતી, જ્યારે તેમણે ગાંધી પરિવારને ખુલ્લેઆમ નેતૃત્વની ભૂમિકાઓમાંથી રાજીનામું આપવા અને અન્ય નેતાને તક આપવા જણાવ્યું હતું. એ પછી તરત જ તેમણે સમાજવાદી પાર્ટીના ટેકાથી અપક્ષ ઉમેદવાર તરીકે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી હતી.
સિબ્બલે ત્યારે કહ્યું હતું કે તેઓ ભાજપ સરકાર સામે વિપક્ષને એક કરવાની યોજના ધરાવે છે જે જનવિરોધી નીતિઓને આગળ ધપાવી રહી છે અને જે ભારતની સર્વસમાવેશક સંસ્કૃતિને વિભાજિત કરી રહી છે.
1991થી શરૂ થઇને કોંગ્રેસ સાથેના તેમના ત્રણ દાયકાથી વધુના જોડાણ દરમિયાન સિબ્બલ કેટલાક પ્રાદેશિક ક્ષત્રપો જેવા કે લાલુ પ્રસાદ, મુલાયમ સિંહ યાદવ અને પાછળથી તેમના પુત્ર અખિલેશ યાદવની એટલા જ નજીક હતા જેટલા તેઓ શાસક કોંગ્રેસ સાથે હતા. કોંગ્રેસમાં તેમણે સ્વ.અહમદ પટેલ સાથે મળીને કામ કર્યું હતું, જેના કારણે સોનિયા સાથે તેમની નિકટતા સુનિશ્ચિત થઈ હતી. જોકે તેઓ રાહુલ ગાંધી સાથે ક્યારેય સારા કામકાજી સંબંધો સ્થાપિત કરી શક્યા નહીં. હાલ તેઓ રાજ્યસભાના સભ્ય છે.
ગુલામ નબી આઝાદ
સિબ્બલના ત્રણ મહિના બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસ છોડી દીધી હતી. તત્કાલીન પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને ઉદ્દેશીને લખેલા પાંચ પાનાના પત્રમાં આઝાદે કહ્યું હતું કે કોંગ્રેસમાં સ્થિતિ કોઇ વાપસી નહીંના બિંદુ પર પહોંચી ગઈ છે. ભૂતપૂર્વ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી આઝાદે તેમની પોતાની સંસ્થા ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીની શરૂઆત કરી હતી.
ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે સમગ્ર સંગઠનાત્મક ચૂંટણી પ્રક્રિયા એક ઢોંગ છે. દેશમાં ક્યાંય પણ સંગઠનના કોઈપણ સ્તરે ચૂંટણી થઈ નથી. એ.આઈ.સી.સી.ના ચૂંટાયેલા લેફ્ટનન્ટ્સને 24 અકબર રોડ પર બેઠેલા એઆઈસીસીનું સંચાલન કરતા બોર્ડ દ્વારા તૈયાર કરેલી સૂચિઓ પર સહી કરવાની ફરજ પડી છે.
તેમણે ખાસ કરીને રાહુલ ગાંધીની ટીકા કરતા કહ્યું હતું કે રાજકારણમાં પ્રવેશ બાદ ખાસ કરીને જ્યારે 2013માં તેમને પાર્ટીના ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે એ સમગ્ર તંત્રને તોડી પાડ્યું જે અગાઉ કોંગ્રેસમાં હતું. આઝાદ હાલમાં ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના નેતા છે.
જયવીર શેરગિલ
શેરગિલ ગુલામ નબી આઝાદની જેમ ઓગસ્ટ 2022માં પદ છોડ્યું ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા હતા. તેમણે રાજીનામું આપતાં કહ્યું હતું કે પક્ષમાં યોગ્યતાને બદલે ચાટુકારિતાને પ્રાથમિકતા આપવામાં આવી છે. ડિસેમ્બરમાં તેઓ ભાજપમાં જોડાયા હતા.
જાલંધરના વતની ગિલે યુવા અને સ્પષ્ટ ચહેરાઓને ઓળખવા માટે 2014માં પાર્ટી દ્વારા આયોજિત ટેલેન્ટ હન્ટ દ્વારા કોંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. 2014માં તેમની રાષ્ટ્રીય મીડિયા પેનલિસ્ટ તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને 2018માં રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે બઢતી આપવામાં આવી હતી. હાલ તેઓ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us