Mahua Moitra : પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંહના પત્ની અને લોકસભા સાંસદ પરનીત કૌરે મહુઆ મોઇત્રાને કેશ-ફોર-ક્વેરીઝના આરોપો પર લોકસભામાંથી સસ્પેન્ડ કરવાના તરફેણમાં મતદાન કર્યું છે. વિનોદ સોનકરની આગેવાની હેઠળની 15 સભ્યોની પેનલે ગુરુવારે મહુઆ મોઇત્રા પર 500 પાનાનો અહેવાલ રજૂ કર્યો હતો. છ સભ્યોએ અહેવાલની તરફેણમાં અને 4 સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું. રિપોર્ટની તરફેણમાં મતદાન કરનારાઓમાં પરનીત કૌર એક હતા. પરનીત કૌરે કહ્યું કે મેં મહુઆ મોઇત્રાના નિષ્કાશન માટે મતદાન કર્યું છે, હું કોંગ્રેસની સસ્પેન્ડેડ સભ્ય છું. કોંગ્રેસે ફેબ્રુઆરીમાં પરનીત કૌરને રાજ્યમાં ભાજપને મદદ કરવાના આરોપમાં સસ્પેન્ડ કરી દીધા હતા. તેમના પતિ અને પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને તેમના પુત્રી જય ઈન્દર કૌર ગયા વર્ષે ભાજપમાં જોડાયા હતા.
ભાજપે ગુરુવારે કોંગ્રેસના સાંસદ પરનીત કૌરની પ્રશંસા કરી હતી, જેમણે કેશ-ફોર-ક્વેરીઝ કેસમાં લોકસભાની એથિક્સ કમિટિ દ્વારા સબમિટ કરેલા અહેવાલની તરફેણમાં મતદાન કર્યું હતું. બીજેપી સાંસદ અપરાજિતા સારંગીએ ANI સાથે વાત કરતા કહ્યું કે કોંગ્રેસના સાંસદ પરનીત કૌરે સત્યને સમર્થન આપ્યું છે. આ માટે હું તેમનો આભાર માનું છું. કોઈ પણ યોગ્ય વિચારવાળો વ્યક્તિ મહુઆ મોઈત્રાને સમર્થન નહીં આપે. પેનલના અધ્યક્ષ વિનોદ કુમાર સોનકરના જણાવ્યા અનુસાર, પેનલના છ સભ્યોએ અહેવાલને અપનાવવાની તરફેણમાં મત આપ્યો હતો, ચારે તેના વિરુદ્ધમાં મત આપ્યા હતા. તેમણે કહ્યું કે તેમણે આગળની કાર્યવાહી માટે રિપોર્ટ ઓમ બિરલાને મોકલી દીધો છે.
આ પણ વાંચો – શા માટે મહુઆ મોઇત્રાને તેનો સાંસદનો દરજ્જો ગુમાવવાનો ભય છે?
પરનીત કૌર કોંગ્રેસ પાર્ટી તરફથી લોકસભાના સભ્ય છે. તે કોંગ્રેસના પૂર્વ નેતા અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહના પત્ની છે. તે પંજાબના પટિયાલા લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. ફેબ્રુઆરી 2023 માં કથિત પક્ષ વિરોધી પ્રવૃત્તિઓને કારણે કોંગ્રેસ પાર્ટી દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પાર્ટીએ તેમને પૂછ્યું હતું કે તેમને કેમ હાંકી કાઢવામાં ન આવે.
પંજાબ કોંગ્રેસના પમુખ અમરિન્દર રાજા વારિંગની ફરિયાદ કર્યા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. 2021માં કોંગ્રેસ દ્વારા તેમના પતિને મુખ્યમંત્રી પદ પરથી હટાવ્યા બાદ તેઓ કોંગ્રેસની પ્રવૃત્તિઓથી દૂર રહ્યા હતા. તેમણે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પણ ભાગ લીધો ન હતો. તેમના પતિ કેપ્ટન અમરિંદર સિંહે પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા પોતાની પાર્ટી બનાવી હતી. જોકે નિરાશાજનક પ્રદર્શન બાદ તેણે પોતાની પાર્ટીને ભાજપમાં ભેળવી દીધી હતી.





