Randeep Surjewala Video : હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને રાજકારણ તેજ થવા લાગ્યું છે. નેતાઓના નિવેદનો આકરા બની રહ્યા છે અને મતદારોને રિઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રણદીપ સુરજેવાલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ભાજપના મતદારો અને સમર્થકોને રાક્ષસ ગણાવી રહ્યા છે. એટલું જ નહીં તેમણે શ્રાપ પણ આપ્યો છે.
કોંગ્રેસના સાંસદે શું કહ્યું?
હરિયાણાના કૈથલમાં રવિવારે 13 ઓગસ્ટના રોજ એક જનસભાને સંબોધિત કરતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે જે લોકો ભારતીય જનતા પાર્ટીને મત આપે છે અને જે લોકો ભાજપના સમર્થક છે તે રાક્ષસી વૃત્તિના હોય છે. મહાભારતની આ ભૂમિ પરથી આજે હું તેને શ્રાપ આપું છું. સુરજેવાલાના આ નિવેદન પર રાજનીતિ તેજ થઇ ગઇ છે તો બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
સંબિત પાત્રાએ આપ્યો આ જવાબ
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ સાંસદ સુરજેવાલાનો વીડિયો શેર કરતા કહ્યું કે શહજાદેને લોન્ચ કરવામાં વારંવાર નિષ્ફળ રહેલી કોંગ્રેસ પાર્ટીએ હવે જનતાને ગાળો આપવાનું શરૂ કરી દીધું છે. એક તરફ 140 કરોડ દેશવાસીઓના પ્રધાનસેવક મોદીજી છે, જેમના માટે જનતા જ જનાર્દનનું સ્વરૂપ છે, તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટી છે જેના માટે જનતા રાક્ષસનું રૂપ છે. દેશના લોકો આ ફર્કને ખૂબ સારી રીતે સમજે છે અને દેશના લોકો તેમના નફરતભર્યા મેગા શોપિંગ મોલ્સ પર તાળા મારવાનું કામ કરશે.
આ પણ વાંચો – શરદ પવારે કહ્યું – કેટલાક શુભેચ્છકો મનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ ભાજપ સાથે હાથ મિલાવશે નહીં
રવિ ભદૌરિયાએ લખ્યું કે આ કોંગ્રેસીઓએ ભાજપથી નફરત છે તે માની લો પરંતુ સામાન્ય જનતા જેણે દેશની સરકાર ચૂંટી છે તેને ગાળો આપવી ક્યાં સુધી યોગ્ય છે? અન્ય એક ટ્વિટર યુઝરે લખ્યું કે હાલ તો શ્રાપ આપી રહ્યા છે, વોટરોને રાક્ષસ કહી રહ્યા છે અને પછી ઇવીએમ હેક થવાનું કહેશે.
હરિયાણા ભાજપના પ્રભારી બિપ્લબ દેબે કહ્યું કે લોકો ભાજપ માટે જનતા જનાર્દન છે. કોંગ્રેસ માટે જો લોકો તેમને મત ન આપે તો રાક્ષસ બની જાય છે. આવા ઘમંડને કુરુક્ષેત્રએ મહાભારતમાં પણ હરાવ્યો હતો અને આગામી ચૂંટણીમાં પણ હરાવશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ઓ પી ધનખડે લખ્યું કે કદાચ ભગવાને રણદીપ સુરજેવાલાજીની બુદ્ધિ હરી દીધી છે. સંગતની અસર બધા પર થાય છે.





