/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/bryan-johnson-37.jpg)
Fraud: ફ્રોડ કેસ - છેતરપિંડીનો કેસ. (પ્રતિકાત્મક તસવીર)
Employee Fraud with Manpower Group: દિલ્હીથી છેતરપિંડીનો એક બહુ મોટો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક રિક્રુટર કંપનીના કર્મચારીએ તેની બેરોજગાર પત્નીને ખોટી રીતે નોકરી પર રાખી અને 10 વર્ષ કરતા વધારે સમય સુધી નિયમિત પગાર મોકલ્યો હતો. જેના કારણે કંપનીને કરોડોનું નુકસાન થયું હતું. કંપનીના મેનેજમેન્ટને થોડા સમય પહેલા રેકોર્ડમાં અમુક ગેરરીતિ અને નાણાંકીય હેરાફેરી થઇ હોવાની શંકા ગઇ છે. ત્યારબાદ ખાનગી રાહે આંતરિક તપાસ કરવામાં આવતા આ સમગ્ર કૌભાંડ બહાર આવતા સૌ કોઇ ચોંકી ગયા. કંપનીએ આ છેતરપીંડિ મામલે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી. છેતરપિંડીનો આ કેસ મેનપાવરગ્રુપ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ સાથે સંબંધિત છે. આ કંપની કંપનીઓની નિમણુંક અને ભરતી સંબંધિત સેવા પુરી પાડે છે.
મેનપાવર ગ્રૂપની ફરિયાદ મુજબ, તેના કર્મચારી રાધાબલ્લવ નાથ 2008માં આસિસ્ટન્ટ મેનેજર (ફાઇનાન્સ) તરીકે કંપનીમાં જોડાયા હતા. બાદમાં, કંપનીએ તેમને મેનેજર તરીકે બઢતી આપી. કંપનીનો આરોપ છે કે રાધાવલ્લભ નાથે ગેરકાયદેસર રીતે તેની બેરોજગાર પત્નીને કંપનીના ખર્ચે દર મહિને પગાર ચૂકવવાની યોજના ઘડી અને આવી રીતે કંપની સાથે છેતરપીંડિ કરતો હતો.
વાસ્તવમાં કંપની ડેટા પ્રાઈવસીને પ્રાથમિકતા આપે છે. તેથી ફક્ત ત્રણ લોકોને માસિક પગારપત્રક અને રિમ્બર્સમેન્ટ ડેટા જોવાની મંજૂરી હોય છે. આ ત્રણ વ્યક્તિઓમાં - કંપનીના ડિરેક્ટર, ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર (CHRO) અને નાથનો સમાવેશ થાય છે. નાથ બહારના વિક્રેતાઓ અને કંપનીના અન્ય વિભાગો (એચઆર અને ફાઇનાન્સ) વચ્ચે કોન્ટેક્તમાં હતો. તે માસિક વેતન રજિસ્ટાર તૈયાર કરવા માટે કંપનીમાં નવા જોડાનાર, નોકરી છોડનાર અને કામ કરતા કર્મચારીઓની હાજરી અને અન્ય માહિતી પેરોલ વેન્ડરોને મોકલતો હતો.
કર્મચારીઓના વેતનની જવાબદારી નાથ પાસે હતી
માસિક વેતન રજિસ્ટર તૈયાર કર્યા બાદ વેન્ડરો તે માહિતી રાધાવલ્લભ નાથને મોકલતા હતા અને ત્યારબાદ તે ઉપર એચઆર ડિપાર્ટમેન્ટને મોકલતો હતો. એચઆર વિભાગ તેને મંજૂરી માટે CHROને મોકલતા હતા, અંતમાં ફરીને આ રજીસ્ટર નાથ પાસે આવતું. કર્મચારઓને પગાર કરવા માટે નાથ આ રજીસ્ટર બેંકને મોકલતો હતો. કંપનીનો આરોપ છે કે રજિસ્ટરને બેંકમાં મોકલતા પહેલા નાથે તેની સાથે છેડછાડ કરીને રજિસ્ટારમાં તેની પત્નીનું નામ દાખલ કરતો હતો.
સેલેરી શીટમાં પત્નીનું નામ ઉમેરી દેતો હતો
કંપની દ્વારા દાખલ કરવામાં આવેલી પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યારે રાધાવલ્લભ નાથ પાસે પગારની એક્સેલ ફાઈલ આવતી હતી ત્યારે તે વધારાની એક કોલમ બનાવીને તેમાં પત્ની સસ્મિતા નાથનું નામ ઉમેરી દેતો હતો. કંપનીએ કહ્યું છે કે એક્સેલ શીટમાં પેરોલ ડેટા છે, જેમાં સસ્મિતા નાથનું નામ પણ સામેલ છે.
કંપનીએ તેની પોલીસ એફઆઈઆરમાં કહ્યું છે કે, "સેલેરી શીટમાં નામ દાખલ કરવા ઉપરાંત, તે તેની પત્નીના નામની પગારની રકમ પણ ઉમેરી દેતો હતો. તે તેના પગારની રકમ સાથે પણ છેડછાડ કરતો હતો. ત્યારબાદ તે હેરાફેરી કરેલી પેરોલ ફાઇલ બેંક પોર્ટલ પર અપલોડ કરતો હતો. નાથ જ મેનપાવર ગ્રુપના તમામ કર્મચારીઓને સેલેરી કરતો હતો. કંપનીની તપાસમાં જાણવા મળ્યું કે નાથ અન્ય મેનેજરના કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને બેંકના પોર્ટલ પર કથિત પેરોલ ફાઇલ અપલોડ કરતો હતો. ફાઇલ અપલોડ કર્યા પછી સિસ્ટમમાંથી તેને ડિલિટ કરી નાંખતો હતો.
નાથે તમામ આરોપો સ્વીકાર્યા
એફઆઈઆરમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, નાથને 11 ડિસેમ્બર, 2022ના રોજ સસ્પેન્ડ કરવામાં આવ્યો અને આંતરિક તપાસ ટીમે એક મિટિંગ યોજી હતી અને નાથને હેરાફેરી અંગે પૂછપરછ કરી હતી. કંપનીના જણાવ્યા અનુસાર, કથિત સેલેરી શીટ દેખાડ્યા બાદ નાથે સ્વીકાર્યું કે તેણે 2012થી તેની પત્નીના બેંક ખાતામાં ગેરકાયદેસર રીતે 3.6 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. નાથે એવું પણ સ્વીકાર્યું કે, તેણે પોતાનું વેતન પણ ઘણું વધારે દેખાડ્યુ હતુ અને છેલ્લા કેટલાંક વર્ષોમાં પોતાના બેંક એકાઉન્ટમાં 60 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા જેનાથી કંપનીને કુલ 4.2 કરોડ રૂપિયાનો ચૂનો લગાડ્યો છે.
કૌભાંડના પૈસાથી ઘણા શહેરોમાં મકાન- ફલેટ ખરીદ્યા
કંપનીનું કહેવું છે કે નાથે એ કબૂલ્યું કે, ખોટી રીતે મેળવેલા નાણાંનું તેમે મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય મની ઇન્વેસ્ટમેન્ટ સ્કીમમાં રોકાણ કર્યું હતું. ઉપરાંત આ પૈસાથી દિલ્હી, જયપુર અને ઓડિશા (વતન)માં મકાન - સંપત્તિ ખરીદી છે. પોલીસ ફરિયાદ અનુસાર મેનપાવર ગ્રુપે તેના રેકોર્ડ્સ તપાસ્યા અને જાણવા મળ્યું કે કંપનીએ ક્યારેય નાથની પત્નીને નોકરી પર રાખી ન હતી. આંતરિક તપાસમાં નાથે આ તમામ આરોપો સ્વીકારી લીધા હતા. હવે આ કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us