MCD Mayor Election : દિલ્હી એમસીડીમાં આજે મેયર (Delhi Mayor)પદની ચૂંટણી માટે મતદાન થવાનું હતું. મતદાન પહેલા એમસીડીમાં નિગમની કાર્યવાહી શરુ થઇ હતી પણ આમ આદમી પાર્ટી અને ભાજપના કોર્પોરેટરો વચ્ચે બબાલ થતા સ્થગિત કરવી પડી હતી. હવે સદનમાં આજે (શુક્રવારે) મેયર પદ માટે ચૂંટણી થશે નહીં.
શુક્રવારે જેવા નગર નિગમની કાર્યવાહી થઇ તો પ્રિસાઇડિંગ ઓફિસરે નામાંકિત કોર્પોરેટરને શપથ લેવા માટે બોલાવ્યા તો આપના કોર્પોરેટરે હંગામો શરુ કર્યો હતો. AAPના કોર્પોરેટર મુકેશ ગોયલે તેને વિરોધ કર્યો અને કહ્યું કે આવું 15 વર્ષથી થઇ રહ્યું છે પણ હવે તેને બદલવું પડશે. જે પછી AAPના કોર્પોરેટરોએ સદનમાં હંગામો કરવાનો શરુ કર્યો હતો.
ભાજપા બેઇમાનીથી એમસીડી પર કબજો કરવા માંગે છે – સૌરભ ભારદ્વાજ
આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ પ્રિસાઇડિંગ ઓફિસરના મેજ સામે જઈને સુત્ર્ત્રોચાર કર્યો હતો. આપનું કહેવું છે કે નામાંકિત કોર્પોરેટરોને વોટિંગનો અધિકાર આપવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે કહ્યું કે એમસીડીના ઇતિહાસમાં આજ સુધી ક્યારેય સદનમાં નામાંકિત કોર્પોરેટરોએ વોટ કર્યો નથી. ભાજપા બેઇમાનીથી એમસીડી પર કબજો કરવા માંગે છે.
આ પણ વાંચો – કાંઝાવાલા કેસમાં છઠ્ઠો આરોપી આશુતોષ ઝડપાયો, કાર નહીં, પોલીસ તપાસમાં થયો મોટો ખુલાસો
બીજેપીના મેયર ઉમેદવાર રેખા ગુપ્તાએ કહ્યું – આપને પરાજયનો ડર સતાવી રહ્યો છે
બીજેપીના મેયર ઉમેદવાર (BJP Mayor Candidate) રેખા ગુપ્તાએ કહ્યું કે આપને પરાજયનો ડર સતાવી રહ્યો છે. પ્રિસાઇડિંગ ઓફિસરના ટેબલ પર ચડવું, માઇક તોડવું અને ખુરશીઓને ફેંકવી – આ સંસ્કૃતિ તે ડેવલેપ કરી રહ્યા છે જે નિંદનીય છે. તેમના કેટલાક કોર્પોરેટરો એમસીડી હાઉસમાં દારૂ પીને આવ્યા હતા.
કેટલાક કોર્પોરેટરો થયા ઇજાગ્રસ્ત
ભારતીય જનતા પાર્ટીએ દાવો કર્યો છે કે સદનમાં થયેલા હંગામાં તેના કોર્પોરેટર ઇંદર કૌર, અનિતા દેઓલી, કમલજીત સહરાવત ઇજાગ્રસ્ત થયા છે. આપના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે કહ્યું કે એમસીડી હાઉસમાં અમારા કોર્પોરેટરો પર જીવલેણ હુમલો થયો છે.
શું છે હંગામાનું અસલી કારણ?
મેયર ચૂંટણીમાં હાર અને જીતનું અંતર ઘણું ઓછું રહેવાનું છે. બન્ને પાર્ટીઓ આ વાત સમજે છે. આમ આદમી પાર્ટીનું પલડું ભલે ભારે હોય પણ બન્ને પાર્ટીઓ જોડતોડમાં લાગેલી છે. જો એમસીડી ચૂંટણીમાં જોડતોડ થાય તો પરિણામ આશ્ચર્યકારક આવી શકે છે.