Supreme Court Demonetisation Judgment: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયને યથાવત રાખ્યો છે. આ સાથે કોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આર્થિક નિર્ણયને પલટાવી શકાય નહીં. તો, કોર્ટે કહ્યું કે, સરકાર અને આરબીઆઈ વચ્ચે છ મહિના સુધી વાતચીત થઈ હતી, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
નવેમ્બર 2016માં સરકારે 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરી દીધી હતી. જસ્ટિસ એસ અબ્દુલ નઝીરની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે અરજદારો, કેન્દ્ર અને ભારતીય રિઝર્વ બેંક (RBI)ની વિગતવાર દલીલો સાંભળ્યા પછી 7 ડિસેમ્બરે ચુકાદો અનામત રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટે સરકાર પાસેથી રેકોર્ડ દસ્તાવેજ માંગ્યા હતા
જસ્ટિસ એએસ બોપન્ના અને વી રામસુબ્રમણ્યમની બનેલી બેંચે સરકાર અને આરબીઆઈને 8 નવેમ્બર, 2016ના નોટિફિકેશન માટે નિર્ણય લેવાની પ્રક્રિયા સંબંધિત રેકોર્ડ રજૂ કરવા જણાવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, જસ્ટિસ નઝીર 4 જાન્યુઆરી, 2023ના રોજ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. અરજદારોએ તેમની અરજીમાં દલીલ કરી હતી કે, નોટબંધી માટે આરબીઆઈ એક્ટ 1934ની કલમ 26(2) માં નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી.
અધિનિયમની કલમ 26(2) જણાવે છે કે, કેન્દ્ર સરકાર, આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડની ભલામણ પર, ભારતના રાજપત્રમાં અધિસૂચના દ્વારા, એ જાહેર કરી શકે છે કે, આ તારીખથી કોઈપણ ચલણી નોટ બેન્કો અથવા સરકારી ઓફિસ અથવા એજન્સી સિવાય માન્ય રહેશે નહીં.
આ પણ વાંચો –
સરકારે કેન્દ્રીય બેંકને સલાહ આપી – પી ચિદમ્બરમ
વરિષ્ઠ વકીલ પી ચિદમ્બરમે, અરજદારોમાંના એક તરફથી હાજર રહીને દલીલ કરી હતી કે, એક્ટ મુજબ આરબીઆઈને ભલામણ કરવી જોઈતી હતી. પરંતુ આ મામલે સરકારે કેન્દ્રીય બેંકને સલાહ આપી હતી, ત્યારબાદ તેમણે ભલામણ કરી હતી. તેમણે કહ્યું કે, જ્યારે અગાઉની સરકારોએ 1946 અને 1978માં નોટબંધી કરી હતી ત્યારે તેમણે સંસદ દ્વારા બનાવેલા કાયદા દ્વારા આવું કર્યું હતું.