Sanatan Dharma: તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિનના પુત્ર ઉદયનિધિએ સનાતન ધર્મ વિશે આપેલા નિવેદનનો વિવાદ હજુ ખતમ થયો નથી ત્યાં ડીએમકેના વધુ એક નેતા એ રાજાએ આગમાં ઘી હોમ્યું છે. એ રાજાએ બુધવારે ચેન્નઇમાં એક નવો વિવાદ ઉભો કર્યો છે, જેમાં સનાતન ધર્મની તુલના એચઆઇવી અને રક્તપિત્ત સાથે કરવામાં આવી હતી.
એ રાજા બુધવારે ચેન્નઈમાં દ્રવિડ કઝગમ દ્વારા વિશ્વકર્મા યોજનાના વિરોધમાં આયોજિત એક સભામાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે ઉદયનિધિએ સનાતન ધર્મને મેલેરિયા, ડેન્ગ્યુ અને કોરોનાની જેમ ખતમ કરવાની વાત કરી હતી, ત્યારે તેઓ નમ્ર હતા.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મેલેરિયા અને ડેન્ગ્યુ સાથે ના તો નફરતનો ભાવ જોડાયેલો છે અને ના તેને સામાજિક અપમાન માનવામાં આવે છે. ભૂતકાળમાં રક્તપિત્ત અને તાજેતરના સમયમાં એચઆઈવીને તિરસ્કારની દ્રષ્ટીથી જોવામાં આવે છે. જ્યાં સુધી આપણને લાગેવળગે છે ત્યાં સુધી સનાતન ધર્મને એક એવી બીમારી તરીકે જોવી જોઈએ જે એચઆઇવી અને રક્તપિત્તની જેમ એક સામાજિક અપમાન છે.
એ રાજાએ આપી ડિબેટની ચેલેન્જ
આ દરમિયાન તેમણે પીએમ નરેન્દ્ર મોદી પર પણ પ્રહારો કર્યા હતા. એ રાજાએ કહ્યું કે જો તેમણે સનાતન ધર્મનું પાલન કર્યું હોત તો તેઓ વિદેશ જઈ શક્યા ન હોત કારણ કે એક સારા હિન્દુએ સમુદ્ર પાર ન કરવો જોઈએ.
આ પણ વાંચો – લોકસભા ચૂંટણી 2024 : સનાતન, રામ મંદિર, ભારત અને રીફોર્મ પોલિટિક્સ, ભાજપનો I.N.D.I.A ગઠબંધન સામે નેરેટિવ સેટ
આ દરમિયાન એ રાજાએ સનાતન ધર્મ અને વર્ણાશ્રમ પર ચર્ચા માટે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે હું આ વાત મારા નેતા (સ્ટાલિન)ની પરવાનગીથી કહું છું. તમે દિલ્હીમાં એક કરોડ લોકોને ભેગા કરો છો. શંકરાચાર્યોને લઇને લાવો. ધનુષ, તીર અને જે પણ તમારી પાસે છે તેને ડિબેટ માટે સાથે લાવો. હું ત્યા આંબેડકર, પેરિયાર દ્વારા લખેલાં પુસ્તકો લાવીશ. પછી આપણે ડિબેટ કરીશું.