ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ભરપૂર વરસાદ પડ્યા બાદ હવે વર્ષ 2023માં દૂષ્કાળનું જોખમ તોળાઇ રહ્યું છે. હવામાન વૈજ્ઞાનિકોએ ચાલુ વર્ષે ‘અલ- નીનો’ની ચેતવણી ઉચ્ચારી છે.’અલ- નીનો’ એ એક પર્યવારણીય ઘટનાક્રમ છે જેમાં ઓછો વરસાદ પડે છે અને તેના પરિણામે દૂષ્કાળ જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. ભારતે છેલ્લા 20 વર્ષમાં ચાર વખત ‘અલ- નીનો’ આવ્યું છે અને તે વર્ષે દુષ્કાળ પડ્યો છે. ‘અલ- નીનો’ અને વરસાદ વચ્ચે શું સંબંધ છે અને આપણને કેવી રીતે અસર કરે છે? જાણો
અલ નીનો શું છે?
‘અલ- નીનો’ એક હવામાન ઘટના છે અને તેનો સીધો સંબધ વરસાદ સાથે છે. ‘અલ- નીનો’ એ પૂર્ ઇક્વેટોરિયલ પેસિફિક ઘટનાક્રમ છે, જે દર ત્રણ કે આઠ વર્ષે આવે છે અને તે 8થી 10 મહિના સુધી ચાલે છે.
ઉષ્ણકટિબંધીય પેસિફિકના વિષુવવૃત્તીય પ્રદેશમાં સમુદ્રના તાપમાન અને વાતાવરણીય પરિસ્થિતિઓમાં ફેરફાર માટે જવાબદાર દરિયાઈ ઘટનાને અલ નીનો કહેવામાં આવે છે. તે દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કિનારે સ્થિત એક્વાડોર, ચિલી અને પેરુના દેશોના દરિયાકાંઠાના દરિયાના પાણીમાં અમુક વર્ષો બાદ બનતી હવામાન ઘટના છે. અલ-નીનો કારણે સમુદ્રની સપાટીનું તાપમાન વધે અને ઓછો વરસાદ પડતા દૂષ્કાળ જેવી ગંભીર પરિસ્થિત સર્જાય છે.
અલ નીનો એ સ્પેનિશ શબ્દ છે જેનો શાબ્દિક અર્થ થાય છે – નાનું બાળક. પેરુના માછીમારો દ્વારા બાળ ઇસુના નામ પર તેનું નામ રાખવામાં આવ્યું છે કારણ કે તેની અસરો સામાન્ય રીતે નાતાલની આસપાસ અનુભવાય છે.
અલ નીનો અને ચોમાસા- વરસાદ વચ્ચેનો સંબંધ
અલ-નીનો એટલે ચોમાસામાં ઓછા વરસાદના સંકેત અને તેને દૂષ્કાળ પડવાના જોખમ તરીકે જોવામાં આવે છે. આંકડા અનુસાર, જ્યારે અલ-નીનો સર્જાય તે વર્ષ દરમિયાન દેશમાં દુષ્કાળની 60 ટકા સંભાવના હોય છે. આ દરમિયાન સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની 30 ટકા સંભાવના છે, જ્યારે સામાન્ય વરસાદ પડવાની સંભાવના માત્ર 10 ટકા જેટલી હોય છે.
વૈજ્ઞાનિકોના મતે જો ઉનાળાની ઋતુમાં અલ નીનોની અસર જોવા મળે તો વરસાદમાં ઘટાડો થવાની શક્યતાઓ વધી જાય છે. લા-નીના શિયાળામાંથી (હાલ આપણે જે અનુભવી રહ્યા છીએ) ઉનાળાની અલ-નીનોની સ્થિતિમાં રૂપાંતર થવાથી વરસાદની ઘટ (15 ટકા)નું સૌથી મોટું જોખમ ઉભું કરે છે. મતલબ કે પ્રિ-મોન્સૂન અને વરસાદનું વિસ્તરણ નબળું પડે છે.

અલ-નીનોના તેના કોઈ ચોક્કસ નિયમ કે કાયદા નથી, જેનાથી જાણી શકાય કે તે કેવી રીતે વર્તન કરશે અને કેવી રીતે આગળ વધશે. ઉદાહરણ તરીકે, વર્ષ 1997માં અલ- નિનોની સૌથી પ્રબળ અસર હોવા છતાં ચોમાસામાં 102 ટકા વરસાદ થયો હતો. તો વર્ષ 2004માં અલ નીનોની અસર નબળી પડી હોવા છતાં તે વર્ષે ભયંકર દુષ્કાળ પડ્યો હતો અને લગભગ 86 ટકા દેશ દૂષ્કાળની ઝપટમાં આવી ગયો હતો.
ભારતમાં બે દાયકામાં ચાર વખત દૂષ્કાળ પડ્યો
ભારતમાં છેલ્લા બે દાયકામાં 4 વખત દૂષકાળ પડ્યો છે અને તેનું કારણ છે અલ-નીનો. અલ-નીનોને કારણે ભારતમાં વર્ષ 2002 અને વર્ષ 2009માં દૂષ્કાળ પડ્યો હતો. તે બંને વર્ષોમાં અનુક્રમે 19 ટકા અને 22 ટકા ઓછો વરસાદ પડતા તેને ગંભીર દુષ્કાળના વર્ષો તરીકે ઓળખાય છે. તેવી જ રીતે વર્ષ 2004 અને 2015માં વરસાદમાં 14-14 ટકાનો ઘટાડો થયો હતો અને તે સમયે પણ દુષ્કાળનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા 25 વર્ષોમાં, એવો એક જ વખત વર્ષ 1997માં દૂર્લભ સ્થિતિ સર્જાઇ હતી જ્યારે અલ નીનોની અસર થવા છતાં દેશમાં 2 ટકા વધારે એટલે કે કુલ વરસાદના 102 ટકા વરસાદ પડ્યો છે.
હવામાન એજન્સી સ્કાયમેટ વેધરનું શું કહેવુ છે
સ્કાયમેટ વેધરના હવામાન વિજ્ઞાન અને જળવાયુ પરિવર્તનના વડા જી પી શર્માએ જણાવ્યું હતું કે, “અલ નીનોની અસરોની આગાહી આગામી નવ મહિના માટે ઉપલબ્ધ છે. જો કે, આ સમયે, મોડલની ચોકસાઈ સામાન્ય રીતે ચાર મહિનાથી વધુ સમય માટે ઓછી હોય છે, તેમ છતાં આ સમયની આસપાસ દર્શાવેલા અલ નીનોનો પાછલો રેકોર્ડ પણ નબળા દક્ષિણપશ્ચિમ ચોમાસાનો પુરાવો છે. ડિસેમ્બર 2013 અને ડિસેમ્બર 2017 માટે ENSOની આગાહીઓ ડિસેમ્બર 2022 જેવી જ હતી. આ બંને વર્ષોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાનો વરસાદ જોવા મળ્યો હતો જેના કારણે મધ્યમ વરસાદ થયો હતો. વર્ષ 2014માં દુષ્કાળ અને વર્ષ 2018માં સંપૂર્ણ દુષ્કાળ પડ્યો હતો.
આ અગાઉ વર્ષ 2003 અને 2008માં અલ નીનો ઈફેક્ટની પેટર્ન ખૂબ જ ખરાબ સાબિત થઈ હતી, જેના કારણે ભારતમાં 2004 અને 2009માં ચોમાસા પર અત્યંત ગંભીર અસર થઈ અને બંને વર્ષોમાં દુષ્કાળ પડ્યો હતો. પ્રારંભિક અંદાજો દર્શાવે છે કે ENSO તીવ્ર બની રહ્યું છે અને અલ નીનો અસર પણ ચોમાસાની ઋતુ દરમિયાન તીવ્ર બને છે.