/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/Bihar-ambulance-contract.jpg)
31 મેના રોજ પટના સ્થિત પશુપતિનાથ ડિસ્ટ્રિબ્યુટર્સ પ્રાઇવેટ લિમિટેડ (પીડીપીએલ)ને 102 ઇમરજન્સી સેવાના ભાગરૂપે 2,125 એમ્બ્યુલન્સનો કાફલો ચલાવવા માટે 1,600 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો (Express photo)
સંતોષ સિંહ: બિહારમાં 1600 કરોડ રૂપિયાનો એમ્બ્યુલન્સનો કોન્ટ્રાક્ટ આપવાનો મામલો હવે જોર પકડી રહ્યો છે. આરોપ છે કે જેડી(યુ)ના સાંસદના પુત્રને કોન્ટ્રાક્ટ આપવાની પ્રક્રિયા નિયમોમાં ફેરફાર કરીને શરૂ કરવામાં આવી હતી. બિહારમાં જેડી(યુ)-ભાજપ ગઠબંધનની સરકાર હતી અને નીતિશ કુમાર મુખ્યમંત્રી હતા ત્યારે આ કોન્ટ્રાક્ટ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ત્યારે આરજેડીના ધારાસભ્યોએ આ મામલે વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ બિહારમાં જેડીયૂ-બીજેપી ગઠબંધન તૂટતા જ અને આરજેડીના સમર્થનથી મહાગઠબંધનની સરકાર બની કે તરત જ આખો મામલો થાળે પડી ગયો.
આ પછી બિહારમાં આરજેડી-જેડી (યુ) રાજ્ય સરકારે બિહારમાં આગામી 5 વર્ષ માટે રાજ્યભરમાં ઇમરજન્સી એમ્બ્યુલન્સ ચલાવવાનો કોન્ટ્રાક્ટ જેડી (યુ) ના એક સાંસદના સંબંધીઓની માલિકીની કંપનીને આપ્યો છે. તેણે પ્રથમ વખતના કરારમાં એક કલમ પણ ઉમેરી છે કે તેને વધુ ત્રણ વર્ષ માટે લંબાવી શકાય છે. જોકે આ સમગ્ર મામલો પટના હાઇકોર્ટમાં પણ પહોંચ્યો હતો. ઓક્સિજન, દવાઓ, દસ્તાવેજો લીક થવા અંગે પણ હાઇકોર્ટે તીખી ટિપ્પણી કરી હતી, પરંતુ આ બધું હોવા છતાં સરકારે કોર્ટની ટિપ્પણીને નજરઅંદાજ કરી હતી.
શું છે આખો મામલો
31 મેના રોજ પટના સ્થિત પશુપતિનાથ ડિસ્ટ્રિબ્યુટર્સ પ્રાઇવેટ લિમિટેડ (પીડીપીએલ)ને 102 ઇમરજન્સી સેવાના ભાગરૂપે 2,125 એમ્બ્યુલન્સનો કાફલો ચલાવવા માટે 1,600 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પીડીપીએલનું સંચાલન જહાનાબાદના સાંસદ ચંદેશ્વર પ્રસાદના સંબંધીઓ કરે છે. આ અંતર્ગત એમ્બ્યુલન્સ ગંભીર દર્દીઓ, ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુઓને નજીકની સરકારી હોસ્પિટલોમાં વિના મૂલ્યે પહોંચાડે છે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા તપાસવામાં આવેલા સત્તાવાર રેકોર્ડ્સ દર્શાવે છે કે 5 એપ્રિલ 2022 ના રોજ રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ (આરએફપી) જારી કરવામાં આવી હતી, પરંતુ વાંધા વચ્ચે માપદંડમાં કેવી રીતે ફેરફાર કરવામાં આવ્યો છે. જે લોકો પીડીપીએલના ડાયરેક્ટર છે તેમાં સાંસદના પુત્ર સુનીલ કુમાર, સુનીલ કુમારની પત્ની નેહા રાની, સાંસદના પુત્ર જિતેન્દ્ર કુમારની પત્ની મોનાલિસા અને સાંસદના સાળા યોગેન્દ્ર પ્રસાદ નિરાલાનો સમાવેશ થાય છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/Bihar-ambulance-contract1.jpg)
ડાયલ 102 એમ્બ્યુલન્સ ચલાવવા માટે પીડીપીએલનો આ બીજો કાર્યકાળ છે. વર્ષ 2017માં પીડીપીએલ અને સન્માન ફાઉન્ડેશનને કન્સોર્ટિયમ તરીકે લગભગ 650 એમ્બ્યુલન્સ ચલાવવા માટે 400 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. જોકે આ વખતે સન્માને બિવ્હીજી ઇન્ડિયા લિમિટેડ, મુંબઇ સાથે હાથ મિલાવ્યા હતા.
આ પણ વાંચો - ઇન્ટેલિજન્સ નિષ્ફળતા, ગુપ્ત જાણકારી આપનારની ખોટ, જમ્મુ બની રહ્યું છે આતંકવાદીઓનું નવું એપી સેન્ટર
ટેન્ડરની શરતો બદલવામાં આવી
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટેન્ડરની શરતોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. અગાઉનો નિયમ એવો હતો કે બોલી લગાવનારને (એકમાત્ર બોલી લગાવનારના કિસ્સામાં) ઓછામાં ઓછી 750 એમ્બ્યુલન્સ (50 અદ્યતન લાઇફ સપોર્ટ એમ્બ્યુલન્સ ઉપરાંત) ના સંચાલન અને મનેજમેન્ટનો અનુભવ હોવો જોઈએ. જે ત્રણ વર્ષમાં ઓછામાં ઓછી 75 સીટોના કોલ સેન્ટર વાળા રહ્યા હોય.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પીડીપીએલે સ્વતંત્ર રીતે બિહારમાં એમ્બ્યુલન્સ સેવા ચલાવી નથી અને આ ત્રણ વર્ષ દરમિયાન તેનું માત્ર 50 સીટનું કોલ સેન્ટર હતું. આ દરમિયાન સ્ટેટ હેલ્થ સોસાયટી ઓફ બિહારે એડવાન્સ લાઇફ સપોર્ટ એમ્બ્યુલન્સની નિયત સંખ્યા ઘટાડીને 40 અને કોલ સેન્ટરોની સંખ્યા ઘટાડીને 50 બેઠકો કરી હતી. આ રીતે પીડીપીએલ તે ટેન્ડર માટે પાત્ર બન્યું હતું.
મે 2022 માં બીજો મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. અગાઉ એવું જણાવવામાં આવ્યું હતું કે એજન્સી/બિડરની અંતિમ પસંદગી ગુણવત્તા અને ખર્ચ-આધારિત પસંદગીને આધારે કરવામાં આવશે. પરંતુ બાદમાં જણાવ્યું હતું કે એજન્સીની અંતિમ પસંદગી લઘુત્તમ ખર્ચ પસંદગી પદ્ધતિ અનુસાર કરવામાં આવશે.
આરજેડીના ત્રણ ધારાસભ્યોએ તત્કાલીન આરોગ્ય પ્રધાનને પત્ર લખ્યો હતો
આ દરમિયાન જુલાઈ 2022માં આરજેડીના ત્રણ ધારાસભ્યો મુકેશ કુમાર રોશન, ઋષિ કુમાર અને ભાઈ વિરેન્દ્રએ બિહારના તત્કાલીન સ્વાસ્થ્ય મંત્રી ભાજપના મંગલ પાંડેને પત્ર લખ્યો હતો. જેમાં આરોપ મુકવામાં આવ્યો હતો કે ટેન્ડર દસ્તાવેજો લીક થયા હતા અને નવી બિડિંગ પ્રક્રિયાની માંગ કરવામાં આવી હતી.
ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ મામલો ઠંડો પડી ગયો
9 ઓગસ્ટ 2022ના રોજ નીતિશ કુમારે ભાજપ સાથે ગંઠબંધન તોડીને આરજેડી અને અન્ય છ પક્ષોના મહાગઠબંધનમાં સામેલ થઈ ગયા હતા. તેજસ્વી પ્રસાદ યાદવ ડેપ્યુટી સીએમ અને આરોગ્ય પ્રધાન બન્યા અને તે ફરિયાદનો મુદ્દો ઉડી ગયો હતો. તેજસ્વી યાદવ ટિપ્પણી માટે ઉપલબ્ધ ન હતા. આ વિશે પૂછવામાં આવતા આરજેડીના મનેરના ધારાસભ્ય અને પાર્ટીના પ્રવક્તા ભાઈ વિરેન્દ્રએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે મેં આ મામલો ઉઠાવ્યો હતો કારણ કે બીડના દસ્તાવેજો લીક થવું એ એક ગંભીર મુદ્દો હતો. આ મુદ્દો ઉઠાવવા માટે મેં મારી ભૂમિકા ભજવી હતી. પરંતુ હવે રાજનેતા તરીકે મારી મર્યાદાઓ છે.
સાંસદ ચંદેશ્વર પ્રસાદ ચંદ્રવંશીએ શું કહ્યું?
સાંસદ ચંદેશ્વર પ્રસાદ ચંદ્રવંશીનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ મારા સંબંધીઓની કંપની છે અને તેમાં મારો કોઈ અંગત હિસ્સો નથી. આપણે બધા નીતીશ કુમારને ઓળખીએ છીએ, તેઓ પક્ષ લેતા નથી. પીડીપીએલ એક સ્થાપિત કંપની છે જે પેટ્રોલિયમ, વાઇન ટ્રેડ અને ટ્રાન્સપોર્ટેશન બિઝનેસમાં હતી અને તેને ડાયલ 102નો કોન્ટ્રાક્ટ માત્ર મેરિટના આધારે મળ્યો હતો. હવે અમે એમ્બ્યુલન્સ સેવાઓમાં સ્થાપિત છીએ.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/Bihar-ambulance-2.jpg)
આ મામલો હરીફ કંપનીઓ દ્વારા કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે, તે ચાલુ રહી શકે છે. પરંતુ બિહાર સ્ટેટ હેલ્થ સોસાયટી દ્વારા કોર્ટની મંજૂરી વિના કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવશે નહીં. આ મામલો હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ગયો હતો.
અરજીનો નિકાલ ન આવે ત્યાં સુધી રાહ જોવાના કોર્ટના નિર્દેશ છતાં એસએચબીએસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંજયકુમાર સિંહે આવું શા માટે કર્યું તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે વિલંબને કારણે રાજ્યને દર મહિને અંદાજે 2.5 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થઈ રહ્યું છે. તેથી અમે સૌથી ઓછી બોલી લગાવનાર પીડીપીએલ સાથે આગળ વધ્યા. જ્યાં સુધી સુપ્રીમ કોર્ટે પટના હાઈકોર્ટને આ કેસનો નિકાલ લાવવાનું કહેતા આદેશની વાત છે તો આ આદેશ સ્પષ્ટ દેખાતો નથી. સુપ્રીમ કોર્ટના આદેશે હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી નથી પરંતુ અન્ય પાસાઓ પર વિચાર કરવા કહ્યું.
ભાજપે નિષ્પક્ષ તપાસની કરી માંગ
ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે સોમવારે આ સમગ્ર મામલે સવાલો ઉઠાવ્યા છે. રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેના વિશે અનેક વિસંગતતાઓ જોવા મળી છે. જે રીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે તે સગર્ભા મહિલાઓ અને બાળકોની સલામતી સામે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. ભાજપને આ મામલે નિષ્પક્ષ તપાસની આશા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us