/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Delhi-farmers-march.jpg)
ખેડૂતોની કુલ 12 માંગણી છે જેમને લઇને તેમનું આંદોલન ચાલી રહ્યું છે (એક્સપ્રેસ તસવીર)
Farmer Protest : ખેડૂતોના આંદોલનને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સંયુક્ત કિસાન મોરચાએ જાહેરાત કરી છે કે દિલ્હી ચલો માર્ચ 29 ફેબ્રુઆરી સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. એક ખેડૂતના મૃત્યુ પછી સ્થળ પર તણાવની સ્થિતિ છે, અગાઉ પણ આ કારણોસર દિલ્હી કૂચ મોકૂફ રાખવામાં આવી હતી. હવે આ તારીખ વધુ લંબાવવામાં આવી છે. ખાનૌરી બોર્ડર પર ખેડૂત સંગઠનના નેતા સરબન સિંહ પંઢેરે મીડિયા સાથે વાત કરતા આ વાત કહી હતી.
ખેડૂતોને હજુ પણ સરકાર તરફથી વાતચીતનો પ્રસ્તાવ આવ્યો નથી
ખેડૂતોને હજુ પણ સરકાર તરફથી પાંચમા રાઉન્ડની વાતચીતનો પ્રસ્તાવ આવ્યો નથી. આવી સ્થિતિમાં આ વિવાદ હજુ પણ વધી શકે છે. જોકે સરકાર દ્વારા ઘણા વચનો આપવામાં આવ્યા છે. શેરડી પકવતા ખેડૂતોને મોટી ભેટ આપતા ખરીદ કિંમતમાં પણ આઠ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
29 ફેબ્રુઆરીએ આગળનો નિર્ણય લેવામાં આવશે
ખાનૌરી બોર્ડર પર ખેડૂત સંગઠનના નેતા સરબન સિંહ પંઢેરે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ભવિષ્યની કાર્યવાહીનો નિર્ણય 29 ફેબ્રુઆરીએ લેવામાં આવશે. અમે બધા દુ:ખી છીએ, અમે અમારા યુવા ખેડૂત, શુભકરણ સિંહને ગુમાવ્યા છે. અમે નક્કી કર્યું છે કે 24 ફેબ્રુઆરીએ અમે કેન્ડલ માર્ચ કાઢીશું.
આ પણ વાંચો - લોકસભા ચૂંટણી : પીલીભીતથી વરૂણ ગાંધીની ટિકિટ ખતરામાં? ભાજપ આ નેતાઓ પર લગાવી શકે છે દાવ
તેમણે કહ્યું કે 26 ફેબ્રુઆરીએ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની એક બેઠક છે અને 25 ફેબ્રુઆરીએ અમે શંભુ અને ખાનૌરી બંને ખાતે સેમિનાર યોજીશું, જેમાં ચર્ચા કરવામાં આવશે કે ડબ્લ્યુટીઓ ખેડૂતોને કેવી રીતે અસર કરી રહ્યું છે. અમે ડબ્લ્યુટીઓના પૂતળાનું દહન કરીશું. માત્ર ડબ્લ્યુટીઓ જ નહીં, અમે કોર્પોરેટ્સ અને સરકારના પૂતળાનું પણ દહન કરીશું.
ખેડૂત આંદોલનનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો
ખેડૂત આંદોલનનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી માંગણી કરવામાં આવી છે કે સરકાર આંદોલનકારી ખેડૂતોની માંગણીઓ પર વિચાર કરે. ખેડૂતો સાથે યોગ્ય વ્યવહાર થવો જોઈએ. દિલ્હીનો રસ્તો ખોલવો જોઈએ અને ખેડૂતોને રાજધાનીમાં પ્રવેશવાની મંજૂરી આપવી જોઈએ. અરજીમાં કહેવામાં આવ્યું છે કે વિરોધ કરવો એ ખેડૂતોનો અધિકાર છે અને તેથી તેમને દિલ્હી જઇને વિરોધ કરતા રોકવા જોઇએ નહીં.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us