Bharat Bandh 2024 Date, Timings: કિસાન આંદોલન 2.0 છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહ્યું છે. રાજધાની દિલ્હીમાં આવવા માટે દેશભરના ખેડૂતો દિલ્હી સરહદ પર ઉભા છે. ખેડૂતોના વિરોધ વચ્ચે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ) અને કિસાન મજદૂર મોરચા (કેએમએમ) સહિત અન્ય કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ દિલ્હીને અડીને આવેલી સરહદ પર પડાવ નાખ્યો છે. તેમની માંગ છે કે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) વધારવા માટે નવો કાયદો લાવવામાં આવે. આ ઉપરાંત ખેડૂતોની માંગ કૃષિ સુધારા માટે પણ છે.
ખેડૂતો સાથે કેન્દ્ર સરકારની ત્રીજી બેઠક પણ નિષ્ફળ, યથાવત્ રહેશે આંદોલન
ખેડૂતો સાથે કેન્દ્ર સરકારની ત્રીજી બેઠક પણ નિષ્ફળ રહી છે. આ બેઠકનું કોઈ પરિણામ આવ્યું નથી. બેઠક દરમિયાન એમએસપી પર લાંબી ચર્ચા થઈ હતી. સરકારે અનેક તર્ક આપ્યા પરંતુ ખેડૂતો સ્વીકારવા તૈયાર ન હતા. જેના કારણે ત્રીજી વાતચીત પણ નિષ્ફળ રહી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે બેઠક દરમિયાન સરકારે ખેડૂતોને મનાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. કેન્દ્રએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઘણા પાક પર પહેલેથી જ એમએસપી આપવામાં આવી રહી છે. એ વાત પર પણ ભાર મુકવામાં આવ્યો હતો કે હરિયાણા અને પંજાબના ખેડૂતોને ઘઉં અને ડાંગર પર પહેલેથી જ એમએસપી મળી રહી છે. પરંતુ ખેડુતો તેમની માંગ પર અડગ રહ્યા જ્યાં એવું કહેવામાં આવ્યું હતું કે કાનૂની બાંયધરી જરૂરી છે
શું ગ્રામીણ ભારત બંધ દરમિયાન 16 ફેબ્રુઆરીએ બેંકો બંધ રહેશે?
અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ 16 ફેબ્રુઆરીએ બેંકો ખુલ્લી રહેશે અને સામાન્ય રીતે કામ કરશે. ભારતીય રિઝર્વ બેંકની યાદી અનુસાર 16 ફેબ્રુઆરીએ પણ બેંકો ખુલ્લી રહેશે.
કિસાન આંદોલન 2.0: ખેડૂતોની શું છે મોટી માંગણી?
- લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) પર કાનૂની ગેરંટી
- વીજળીના બિલમાં છૂટ
- શેરડીના વાજબી ભાવ
- લખીમપુર ખીરી હિંસાના પીડિતો માટે ન્યાય
ખેડૂત આંદોલન 2.0
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પ્રથમ ખેડૂત આંદોલનની જેમ, ખેડૂત આંદોલન 2.0 લાંબું થઈ શકે છે અને તેનાથી રાજકીય અસ્થિરતા ઉભી થઇ શકે છે. સરકાર ખેડૂતોની કેટલીક માંગણીઓ પૂરી કરી શકે છે. અને શક્ય છે કે આ ચળવળ કૃષિ ક્ષેત્રમાં કાયમી સુધારાના કારણ તરીકે ઉભરી આવે.
આ પણ વાંચો – ખેડૂત વિરોધ પ્રદર્શન : કહાની એ 2 ખેડૂત નેતાઓની, જેમણે ઉભું કર્યું છે આંદોલન 2.0
ભારત બંધઃ કાર્યક્રમ, વિગતો
ભારત બંધ દરમિયાન 16 ફેબ્રુઆરી 2024ના રોજ દેશભરમાં ચક્કાજામ થશે. આ માટે સંયુક્ત કિસાન મોરચા દ્વારા ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે. ભારત બંધનો સમય સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. જાણકારી અનુસાર દેશભરના હજારો ખેડૂતો બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન રસ્તાઓ બ્લોક કરશે. એટલે કે ટ્રાફિક ખોરવાઈ જશે.
અહેવાલો અનુસાર 16 ફેબ્રુઆરીએ મોટી સંખ્યામાં ખાનગી ઓફિસો બંધ રહી શકે છે. આ ઉપરાંત શુક્રવારે ગામડાઓમાં પણ દુકાનો બંધ રહેશે. આ ઉપરાંત ભારત બંધની સૌથી વધુ અસર પરિવહનના સાધનો પર પડવાની શક્યતા છે. આ ઉપરાંત મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી એક્ટ (મનરેગા) પ્રોજેક્ટ પણ આ દિવસ માટે બંધ કરી શકાય છે.
ભારત બંધથી કઈ વસ્તુઓ પર અસર નહીં પડે
શુક્રવારે ભારત બંધથી એમ્બ્યુલન્સ, મેડિકલ સ્ટોર્સ, શાળાઓ જેવી આવશ્યક સેવાઓને અસર થવાની સંભાવના ઓછી છે.
ભારત બંધઃ શાળાઓ ખુલશે કે નહીં?
ઉત્તર ભારતમાં સીબીએસઈ, આઈસીએસઈ બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન સીબીએસઇ દ્વારા એડવાઇઝરી બહાર પાડીને વિદ્યાર્થીઓને સમય પહેલા ઘરેથી નીકળવા માટે કહેવામાં આવ્યું છે. સીબીએસઇએ વિદ્યાર્થીઓને રસ્તાને બદલે મેટ્રો રૂટ અપનાવવા જણાવ્યું છે જેથી તેઓ પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચી શકે. અત્યાર સુધી રાજ્ય સરકારે પરીક્ષાના સમયપત્રકમાં કોઇ ફેરફારની જાણકારી આપી નથી.





