Gyanvapi case : સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદનો ASI સર્વે કરવામાં આવી રહ્યો છે. આજે સર્વેનો ચોથો દિવસ છે. હિંદુ પક્ષે દાવો કર્યો છે કે, જ્ઞાનવાપી મંદિરને તોડીને મુઘલ શાસકો દ્વારા મસ્જિદ બનાવવામાં આવી હતી. હિંદુ પક્ષે કોર્ટ સમક્ષ જ્ઞાનવાપી સંકુલમાં પૂજા અર્ચના કરવાની માંગણી કરી છે. હવે અમેરિકામાં જ્ઞાનવાપી મસ્જિદ નહીં પરંતુ મંદિર હોવાના પુરાવા મળ્યા છે. અમેરિકાના લોસ એન્જલસમાં ગેટ્ટી મ્યુઝિયમના ફોટોગ્રાફ વિભાગમાં જ્ઞાનવાપી મંદિરના ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. મ્યુઝિયમમાં ચિત્ર પરિચયમાં લખ્યું છે – ‘જ્ઞાનવાપી વેલ ઓફ નોલેજ’ એટલે જ્ઞાનવાપી – જ્ઞાનનો કૂવો. જ્ઞાનવાપીમાં મંદિર હોવાનો પુરાવો ત્યાં પ્રદર્શિત કરાયેલી તસવીરોમાં જોવા મળ્યો છે.
ચિત્રોમાં શું છે?
અમેરિકામાં પ્રદર્શિત કરાયેલી તસવીરો બ્રિટિશ ફોટોગ્રાફર સેમ્યુઅલ બાયર્ન દ્વારા 1868માં લેવામાં આવી હતી. આ સમયે તેઓ બનારસની મુલાકાતે ભારત આવ્યા હતા. આ ચિત્ર 155 વર્ષ પહેલાની જ્ઞાનવાપીની વાસ્તવિકતા દર્શાવે છે. આ ચિત્રોમાં ત્રણ સુશોભિત કોતરેલા સ્તંભો અગ્રભાગમાં, કોતરેલી કમાનની નીચે અને કોતરેલી પ્રતિમાની સામે ઊભા છે. અન્ય એક તસ્વીરમાં બે સ્તંભોની વચ્ચે સુશોભિત મૂર્તિ દેખાય છે અને તે ચિત્રમાં જોવા મળે છે કે, મૂર્તિ પર બજરંગબલીની કોતરણી કરવામાં આવી છે, ચિત્રમાં ઘંટ અને હિન્દુ ધર્મના અન્ય પ્રતીકો સ્પષ્ટપણે જોવા મળે છે.
તમને જણાવી દઈએ કે, મ્યુઝિયમમાં સેમ્યુઅલના ભારત પ્રવાસ દરમિયાન લેવામાં આવેલા ફોટોગ્રાફ્સ અને હરાજીમાંથી મેળવેલા 150 થી વધુ ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તસવીરો ઉપલબ્ધ છે.
શું છે નિષ્ણાતોનો અભિપ્રાય?
કાશી હિંદુ યુનિવર્સિટીના પ્રાચીન ઇતિહાસ, કલા સંસ્કૃતિ અને પુરાતત્વ વિભાગના પ્રોફેસર અશોક કુમાર સિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, સેમ્યુઅલ બાયર્ન જ્ઞાનવાપીના ચિત્રોમાં દેવીદેવતાઓના ચિત્ર, હિન્દુ ધર્મના પ્રતિક ચિહ્ન સ્પષ્ટ રૂપે ઉપસ્થિત દેખાય છે. તેનાથી એ ખબર પડે છે કે, એએસઆઈ સર્વેક્ષણ જ્ઞાનવાપીની અંદર આજે પણ મંદિર હોવાના ઘણા બધા અવશેષ મળી શકે છે.





