જ્ઞાનવાપી વિવાદ : પાર્ટીઓ ચૂપ, આરએસએસ, ભાજપ મામલો કોર્ટ પર છોડે તેવી શક્યતા

Gyanvapi row : એએસઆઇના સર્વેમાં કહ્યું છે કે કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદ જ્યાં હાલ ઊભી છે ત્યાં એક વિશાળ મંદિર અસ્તિત્વમાં હતું

Written by Ashish Goyal
January 26, 2024 21:20 IST
જ્ઞાનવાપી વિવાદ : પાર્ટીઓ ચૂપ, આરએસએસ, ભાજપ મામલો કોર્ટ પર છોડે તેવી શક્યતા
કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી મામલાની સુનાવણી કરી રહેલી વારાણસી જિલ્લા અદાલતને સોંપવામાં આવેલો એએસઆઈ રિપોર્ટ ગુરુવારે આ કેસમાં અરજદારોને સોંપવામાં આવ્યો હતો (Express file photo by Renuka Puri)

Vikas Pathak : જ્ઞાનવાપી પરિસરના આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઇ)ના અહેવાલના મામલે વિપક્ષે મૌન જાળવ્યું છે. એએસઆઇના સર્વેમાં કહ્યું છે કે કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદ જ્યાં હાલ ઊભી છે ત્યાં એક વિશાળ મંદિર અસ્તિત્વમાં હતું. બીજી તરફ આરએસએસ અને ભાજપે સંકેત આપ્યો હતો કે તેમને આ મુદ્દામાં પ્રવેશવાની કોઈ ઉતાવળ નથી અને તેઓ આ મામલે અદાલતોની આગેવાની લે તેની રાહ જોશે.

કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી મામલાની સુનાવણી કરી રહેલી વારાણસી જિલ્લા અદાલતને સોંપવામાં આવેલો એએસઆઈ રિપોર્ટ ગુરુવારે આ કેસમાં અરજદારોને સોંપવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ હાલના માળખાના નિર્માણ પહેલાં એક મોટું હિન્દુ મંદિર અસ્તિત્વમાં હતું અને તેના ભાગોનો ફરીથી ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ મુદ્દે આરએસએસના એક કાર્યકર્તાએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે 1980ના દાયકામાં સંઘે અયોધ્યા રામ મંદિરને એક ગતિશીલ મુદ્દા તરીકે લેવું પડ્યું હતું, જેથી લોકો સુધી પહોંચી શકાય અને આપણી ચિંતાઓને મુખ્ય પ્રવાહની ચર્ચામાં લાવી શકાય. તે સમયે સમાજ આ ચિંતાઓ માટે વધારે વિચારતો ન હતો, જેમ કે આજે છે. હવે તે સમાજ છે જેણે આ બધી સાંસ્કૃતિક ચિંતાઓને સામૂહિક ચિંતાઓ તરીકે લીધી છે. જ્યારે સમાજ પોતે જ સક્રિય છે ત્યારે સંઘે કંઈપણ કરવાની શું જરૂર છે? હવે લોકો પોતે જ કેસ દાખલ કરી રહ્યા છે અને આ મુદ્દાઓ પર નિયમિત ચર્ચા પણ કરી રહ્યા છે.

લોકોને મુદ્દાઓ પર ચર્ચા કરવા દો અને અદાલતોને તેમનું કામ કરવા દો.

આરએસએસના એક આંતરિક વ્યક્તિએ પણ આ જ દલીલ કરી હતી અને કહ્યું હતું કે કોર્ટે એએસઆઈને તેના તારણોની જાણ કરવા જણાવ્યું હતું અને તેણે તેમ કર્યું છે. અમને આ વિશે ખાસ કંઇ કરવાની જરૂર લાગતી નથી. સમાજમાં લોકો વચ્ચે ચર્ચા થશે. આ બાબતો માત્ર આપણી જ નથી તે મોટા પાયે સમાજની છે અને તેમણે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટેના દિવસો પહેલા ઘણો ઉત્સાહ દર્શાવ્યો હતો. લોકોને મુદ્દાઓ પર ચર્ચા કરવા દો અને અદાલતોને તેમનું કામ કરવા દો.

આ પણ વાંચો – જ્ઞાનવાપી સર્વે રિપોર્ટ : કેમ અચાનક વારાણસીમાં ‘પોલીસ કાફલો’ ગોઠવી દેવાયો, જાણો મોટું કારણ

ભાજપના એક સૂત્રએ લગભગ આ જ વાત કહી હતી. તેમણે કહ્યું કે મને નથી લાગતું કે આપણે જ્ઞાનવાપી બાબતમાં ખાસ કંઈ કરીશું. કોર્ટે એએસઆઈનો રિપોર્ટ માંગ્યો હતો, એએસઆઈના રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે. અદાલતો આ મામલાની તપાસ કરશે અને આખરે સમાધાન શોધી કાઢશે. જેમ તેઓએ રામ જન્મભૂમિના કિસ્સામાં કર્યું હતું.

ઉત્તર પ્રદેશના આરએસએસના એક નેતાએ દલીલ કરી હતી કે સંઘ પરિવારનો ઉદ્દેશ સમાજને સંઘની જેમ વિચારવાનો છે. અમારું બીજું કશું કામ નથી. ધાર્મિક અને સાંસ્કૃતિક મુદ્દાઓની આસપાસ સામાજિક ચર્ચાઓ પહેલાથી જ થઈ રહી છે. વારાણસીથી રોજની 5000 બસો અયોધ્યા તરફ જઈ રહી છે અને તમામ સીટો ફુલ થઇ રહી છે. જ્યારે સમાજ પોતે જ સાંસ્કૃતિક પુનરુત્થાનની બાબતોમાં ખૂબ જ રસ દાખવી રહ્યો છે, ત્યારે આપણે કંઈપણ વધારાનું કરવાની શું જરૂર છે?

આ દલીલ આરએસએસ સરસંઘચાલક મોહન ભાગવતના 2022માં આપેલા નિવેદન સાથે સુસંગત હોય તેવું લાગે છે કે સંઘ રામ જન્મભૂમિ જેવા અન્ય વિવાદોમાં કોઈ આંદોલન શરૂ કરવા માંગતો નથી. તેમણે ઉમેર્યું હતું કે “પર હર મસ્જિદ મેં શિવલિંગ ક્યોં દેખના. આરએસએસના વડાએ આગળ કહ્યું હતું કે મધ્યયુગીન સમયમાં ધાર્મિક મંદિરો પર આક્રમણો અને વિનાશ થયા હતા. પરંતુ શાંતિ પર ભાર મૂક્યો હતો.

જ્યારે વીએચપીના સૂત્રોએ એમ પણ કહ્યું હતું કે તંત્ર અદાલતો શું કહે છે તેની રાહ જોશે. વીએચપીના એક નેતાએ જણાવ્યું હતું કે સમગ્ર સમાજે જોવું જોઈએ કે અમે જે કહી રહ્યા હતા તે સત્ય તરીકે બહાર આવી રહ્યું છે. મુસ્લિમ સમાજે પણ સમજવું જોઈએ કે દરેક વખતે મુકદ્દમામાં જવાને બદલે આ ઐતિહાસિક તથ્યોને માન્યતા આપવી અને તે મુજબ રાષ્ટ્રીય મુખ્ય પ્રવાહની સાથે રહેવું મહત્વપૂર્ણ છે.

મુસ્લિમોએ જ્ઞાનવાપી મસ્જિદ સ્થળ હિન્દુઓને સોંપી દેવું જોઈએ – ગિરીરાજ સિંહ

ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે શુક્રવારે કહ્યું હતું કે મુસ્લિમોએ જ્ઞાનવાપી મસ્જિદ સ્થળ હિન્દુઓને સોંપી દેવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે સાંપ્રદાયિક સુમેળ સુનિશ્ચિત કરવા માટે બોલ તેમની કોર્ટમાં હતો.

ગિરિરાજ સિંહે પીટીઆઈને કહ્યું હતું કે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે અને સનાતનીઓએ તેનું સ્વાગત કર્યું છે. પરંતુ અમારી માંગ હંમેશાથી અયોધ્યા, કાશી અને મથુરાની રહી છે. હું મારા મુસ્લિમ ભાઈઓને અપીલ કરીશ, જ્યારે તમામ પુરાવા બહાર આવી જાય ત્યારે કાશી હિન્દુઓને સોંપી દો, જેથી સાંપ્રદાયિક સુમેળ જળવાઈ રહે. તેમણે ઉમેર્યું હતું કે આઝાદી પછી અમે કોઈ મસ્જિદ તોડી નથી, પરંતુ પાકિસ્તાનમાં કોઈ મંદિર બચ્યું નથી.

મંત્રીએ કહ્યું કે ત્યાં કોઈ ઉશ્કેરણીજનક નિવેદનો ન હોવા જોઈએ. આ એક બદલાયેલું ભારત છે, સનાતની યુવાનો જાગૃત થયા છે. જો કોઈ બાબર કે ઔરંગઝેબ બનવાનો પ્રયત્ન કરશે તો યુવાનોએ મહારાણા પ્રતાપ બનવું પડશે. તમારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે શાંતિ જળવાઈ રહે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ