/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/uttarakhand-rain.jpg)
ઉત્તરાખંડના હરિદ્વારમાં ગંગા નદી ખતરાના નિશાનની નજીક પહોંચી ગઈ છે (પ્રતિકાત્મક તસવીર)
Heavy Rainfall Uttarakhand : ભારે વરસાદે અનેક રાજ્યોમાં તબાહી મચાવી છે. આ દરમિયાન ઉત્તરાખંડના હરિદ્વારમાં ગંગા નદી ખતરાના નિશાનની નજીક પહોંચી ગઈ છે. ગંગા નદીનું જળસ્તર ચેતવણી સ્તરથી બે મીટરથી પણ ઓછું રહી ગયું છે. જેના કારણે ઋષિકેશમાં રાફ્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી.
રાફ્ટિંગ આગળના આદેશ સુધી બંધ
ગંગા નદીમાં જળસ્તર વધવાનું મોટું કારણ દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આગમન છે. તમામ પૂર નિયંત્રણ ચોકીઓ, બેરેજ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે. જિલ્લા અધિકારીઓ 24 કલાક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સાવચેતીના પગલા રૂપે ઋષિકેશ નજીક પૌડી, ટિહરી અને દહેરાદૂન જિલ્લામાં આવતા ગંગા વિસ્તારમાં રાફ્ટિંગને આગળની સૂચના સુધી રોકી દેવામાં આવ્યું છે.
નરેન્દ્રનગરના એસડીએમ દેવેન્દ્ર નેગીએ જણાવ્યું હતું કે ગઢવાલ વિભાગમાં સતત વરસાદને કારણે રાફ્ટિંગ ચાલુ રાખવું જોખમી છે. તેથી આગામી સૂચના ન મળે ત્યાં સુધી ગંગા અને તેની આસપાસના વિસ્તારમાં રિવર રાફ્ટિંગ અને તેને લગતા કામો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ભીમગોડા બેરેજ નદીના જળસ્તરના આંકડા અનુસાર ગંગા નદી સોમવારે સવારે 291.80 મીટર પર વહી રહી હતી. જે ચેતવણીના સ્તરથી માત્ર 1.20 મીટર નીચે છે. રવિવારે બપોરે પાણીનું સ્તર 292.20 મીટર નોંધાયું હતું, જેના કારણે ગંગાની આસપાસના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - યુપીના ખેડૂતોએ વાંદરાઓને ભગાડવાની નવી રીત શોધી, રીંછ બનીને ખેતરોમાં બેઠા, ફોટો વાયરલ
હરિદ્વારના મેયરે આપી જરૂરી સૂચના
હરિદ્વારના મેયર અનિતા શર્માએ સોમવારે અધિકારીઓને નાના-મોટી ગટરોની સફાઇ કરવા નિર્દેશ આપ્યો હતો કારણ કે શહેરના વિવિધ ભાગોમાંથી પાણી ભરાવાના અહેવાલો આવી રહ્યા છે. અનિતા શર્માએ કહ્યું કે મ્યુનિસિપલ અધિકારીઓને સોમવારથી બજારો, રસ્તાની બાજુમાં અને વસાહતોની અંદર નાની અને મધ્યમ ગટરો સાફ કરવા સૂચના આપવામાં આવી છે. શર્માએ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી વરસાદને કારણે શહેરમાં પાણી ભરાવાનો સામનો કરવો પડી રહ્યો છે અને આ મ્યુનિસિપલ અધિકારીઓની ઢીલના કારણે છે.
મ્યુનિસિપલ કમિશનર દયાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે રવિવારે બપોરથી નાગરિક કર્મી અસરગ્રસ્ત વસાહતો અને વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. ગટરોની સફાઇ કરવામાં આવી રહી છે અને વધારાના કર્મચારીઓ તૈનાત કરવામાં આવી રહ્યા છે. '
આ સાથે જ લક્સર અને ખાનપુર બ્લોકમાં સોલાની અને બાણ ગંગા નદીઓના જળસ્તરમાં વધારો થવાને કારણે લગભગ બે ડઝન જેટલા ગામોમાં પૂર જેવી સ્થિતિ ઉભી થવાની સંભાવના છે. એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ ચંદ્રશેખર વશિષ્ઠે કહ્યું કે અમે ગંગા અને તેની ઉપ-સહાયક નદીઓમાં પાણીના સ્તર પર નજર રાખી રહ્યા છીએ. ફ્લડ ચેક પોસ્ટના કર્મચારીઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓ, પોલીસ અને એસડીઆરએફના જવાનો એલર્ટ પર છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us