India-China LAC : દક્ષિણ આફ્રિકાના બ્રિક્સ સમિટ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે વાતચીત થઇ હતી. આ ટૂંકી મુલાકાત દરમિયાન બન્ને નેતા પૂર્વી લદ્દાખમાં એલએસી પર ડિસએન્ગેજમેન્ટ અને સૈનિકોની તૈનાતી ઓછી કરવા પર રાજી થયા છે. બન્ને નેતાઓ વચ્ચે બનેલી સહમતિ પછી હવે તેમની નજર સૈન્ય કમાન્ડર દ્વારા સૈનિકોને હટાવવા માટે તૈયાર કરવામાં આવી રહેલા પ્લાનની સટિક રુપરેખા પર છે.
બન્ને સેનાએ એલએસી પર કયા સ્થાને અને કઇ હદ સુધી ડિસએન્ગેજમેન્ટ કરશે તે પણ પુરી રીતે ક્લિયર નથી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હજુ પણ સ્પષ્ટ આદેશની રાહ જોવાઇ રહી છે. વિવિધ તબક્કે સંભવિત ડિસએન્ગેજમેન્ટ માટે વિવિધ પદ્ધતિઓ તૈયાર કરવામાં આવી છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર 19માં રાઉન્ડની વાટાઘાટોમાં બંને સૈન્યના કમાન્ડરોએ એલએસી પર પરસ્પર સ્વીકૃત બિંદુઓ પર મર્યાદિત ડિસએન્ગેજમેન્ટના સંભવિત મુદ્દાઓ પર ચર્ચા કરી છે. બંને દેશોની સેનાઓ 2020થી એલએસી પર તણાવ ઓછો કરવા માટે વાતચીત કરી રહી છે.
બંને સેનાઓ ઘણા સ્થળોએથી ખસી ગઈ
અત્યાર સુધી બંને દેશોની સેનાઓ વચ્ચેની વાતચીતના કારણે બંને પક્ષે ઘણી જગ્યાએથી સૈનિકોને પાછળ હટાવવા અને અસ્થાયી માળખાને નષ્ટ કરવા માટે સહમત થયા છે. આમાં ગલવાન ખીણ, પેંગોંગ ત્સો લેકના નોર્થ અને સાઉથ બૈંક, હોટ સ્પ્રિંગ અને ગોગરાના પેટ્રોલિંગ પોઇન્ટનો સમાવેશ થાય છે. ગોગરા અને હોટ સ્પ્રિંગ વિસ્તારોમાં ઘણા રાઉન્ડની વાતચીત બાદ છેલ્લી વખત સપ્ટેમ્બર 2022માં બંને સેનાઓએ તેમના સૈનિકોને પાછા હટાવ્યા હતા.
આ પણ વાંચો – બ્રિક્સ સમિટ : પીએમ નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે શું થઇ વાતચીત? વાયરલ થઇ રહી છે તસવીર
ડિસએન્ગેજમેન્ટને કારણે આ વિસ્તારોમાં બફર ઝોન બનાવવામાં આવ્યા છે, જેના કારણે બંને પક્ષના સૈનિકો આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા નથી. આ પહેલા બંને સેનાઓ અહીં પેટ્રોલિંગ કરતી હતી. તણાવના આ મુદ્દાઓ ઉપરાંત દેપસાંગ પ્લેન્સ અને ડેમચોકના મુદ્દા પર હજુ સુધી કોઇ સર્વસંમતિ સધાઇ નથી. 2020 પહેલાથી આ બંને જગ્યાએ ઘૂસણખોરીના મામલા સામે આવ્યા છે.
દેપસાંગ પ્લેન્સમાં શું સમસ્યા છે?
દેપસાંગ પ્લેન્સમાં ચીની સૈનિકો વાય-જંકશનથી પીપી 10થી 13 સુધી ભારતીય પહોંચને પ્રભાવિત કરી રહ્યા છે. આ ઉપરાંત અહીં 972 વર્ગ કિમી જમીન સુધી પહોંચવામાં પણ અડચણ છે. દેપસાંગ પ્લેન્સ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ દૌલત બેગ ઓલ્ડીની ખૂબ નજીક છે.
દેપસાંગ પ્લેન્સનો મામલો 2013માં તે સમયે શરૂ થયો હતો જ્યારે ચીને આ વિસ્તારમાં 18 કિ.મી સુધી ઘુસણખોરી કરી હતી. જોકે બંને દેશો પીછેહઠ કરવા પર સહમતિ બની ગઇ હતી. પરંતુ પીએલએએ આ વિસ્તારને સંપૂર્ણપણે ખાલી કર્યો ન હતો. ત્યારબાદ ભારતે આ વિસ્તારમાં એક અલગ બ્રિગેડ તૈનાત કરી છે.
ડેમચોકમાં શું પરેશાની છે?
પૂર્વી લદ્દાખના દક્ષિણમાં આવેલા ડેમચોકમાં મુખ્ય સમસ્યા ચાર્ડિંગ નિંગલુંગ નાલા (સીએનએન) જંક્શન પર આવી રહી છે. ઘણી વખત પીએલએએ સીએનએન જંક્શન પર આવેલા સેડલ પાસ પર ભારતીય ચરવાહોને અહીં રોકી દીધા હતા. એલએસી અંગે ભારતની ધારણા અનુસાર આ વિસ્તાર ભારતનો વિસ્તાર છે.
આ મહિનાની શરૂઆતમાં 19મા રાઉન્ડની વાતચીત બાદ વર્તમાન મુદ્દાઓના ઉકેલની વિશિષ્ટતાઓ નક્કી કરવા માટે મેજર જનરલ લેવલની બેઠક મળી હતી. આ બેઠકમાં એલએસી સાથે જોડાયેલા જૂના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત 2020 પહેલા તમામ પેટ્રોલિંગ પોઇન્ટ સુધી પહોંચ મેળવવાને લઇને પણ વાતચીત થઇ હતી. વાતચીતમાં બંને દેશોના કમાન્ડરોએ અહીં એલએસી નજીક કોઇ નવી પોસ્ટ ન બનાવવાની ચર્ચા કરી હતી.





