પૂરથી લાભ! સિંચાઈ, વીજ ઉત્પાદન, પાણી પુરવઠો… યોગ્ય વ્યવસ્થાપન દ્વારા વિનાશ અટકાવી વિકાસ કરી શકાય છે

Floods benefit by proper management : ભારતમાં ચોમાસા (India Monsoon) ની પેટન્ટમાં ફેરફાર જોવા મળી રહ્યો છે, કુદરતી આફત રોકી નથી શકાતી, પરંતુ યોગ્ય મેનેજમેન્ટથી વિનાશ રોકી વિકાસ જરૂર કરી શકાય છે.

Floods benefit by proper management : ભારતમાં ચોમાસા (India Monsoon) ની પેટન્ટમાં ફેરફાર જોવા મળી રહ્યો છે, કુદરતી આફત રોકી નથી શકાતી, પરંતુ યોગ્ય મેનેજમેન્ટથી વિનાશ રોકી વિકાસ જરૂર કરી શકાય છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
India Monsoon | Floods Benefit

કુદરતી આફતનો લાભ લઈ વિનાશ રોકી વિકાસ કરી શકાય છે (ફોટો - આનંદ સિંહ - એક્સપ્રેસ)

શરદ જૈન : આ વર્ષે ચોમાસાની શરૂઆત સામાન્ય રીતે થઈ નથી. 61 વર્ષ પછી, ચોમાસું મુંબઈ અને નવી દિલ્હીમાં એક જ દિવસે - 24 જૂને પહોંચ્યું. આ શહેરોમાં ચોમાસાની શરૂઆત સામાન્ય રીતે અનુક્રમે 10 જૂન અને 30 જૂનની આસપાસ થાય છે. તેના આગમન પછી તરત જ, સમગ્ર ભારતમાં ઘણા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થયો. જૂન/જુલાઈની શરૂઆતમાં જ નદીઓ અને શહેરોમાં પૂર આવવું એક અસામાન્ય છે, કારણ કે મોટા ભાગના પૂર સામાન્ય રીતે ચોમાસા પછીના મહિનામાં આવે છે.

Advertisment

અભ્યાસો અને નિષ્ણાતો એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે, ભારતમાં નાગરિકો, સંપત્તિ અને માળખાકીય સુવિધાઓને પૂર સામે સંપૂર્ણ રક્ષણ પૂરું પાડી શકાતું નથી. તેથી, આપણે પૂર નિયંત્રણમાંથી બહાર આવી પૂર વ્યવસ્થાપન તરફ અમારું ધ્યાન અને પ્રયત્નો બદલવાની જરૂર છે. પરંતુ ભારતમાં નદીઓ પર બાંધવામાં આવેલ હાઈડ્રો ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરને અસરકારક રીતે સંચાલિત કરવા માટે આ અપૂરતું છે.

પૂર દુષ્કાળની અસર ઘટાડી શકે છે

ઑક્ટોબરમાં, પૂરની મોસમ સમાપ્ત થયાના લગભગ પાંચ મહિના પછી, દેશના ઘણા ભાગોમાં ભારે ગરમીનો અનુભવ થાય છે, અને લોકો દુષ્કાળનો સામનો કરે છે. હાલમાં આપણે પૂરના પ્રવાહને આપત્તિ તરીકે જોઈએ છીએ અને તે વહેલામાં વહેલી તકે બધુ સારૂ થઈ જાય તેવી ઈચ્છા રાખીએ છીએ. જો કે, જો પૂરના પ્રવાહના મોટા ભાગને સુરક્ષિત રીતે સુરક્ષિત કરી શકાય, તો નુકસાનમાં ઘટાડો થશે. સાથે બચાવેલ પાણી આવનારા દુષ્કાળને આંશિક રીતે ઘટાડવામાં મદદ કરશે. ભારત માટે દુષ્કાળ ઘટાડવા માટે જળ સંગ્રહ એ એક શ્રેષ્ઠ ઉપાય છે.

તાજેતરના સમયગાળાઓમાં, ભારત દર વર્ષે ઓછામાં ઓછી એક મોટી પૂરની ઘટનાનો સામનો કરે છે. 2023નું ચોમાસું જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ પૂરના નુકસાન અને વિનાશની પેટર્નનું પુનરાવર્તન થતું જોવા મળી રહ્યું છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, પૂરને કારણે દર વર્ષે સરેરાશ 1,600 લોકોના મોત થાય છે. પૂરને કારણે 75 લાખ હેક્ટર જમીનને પણ અસર થાય છે અને પાક, મકાનો અને જાહેર મિલકતોને રૂ. 1,805 કરોડનું નુકસાન થાય છે.

Advertisment

પૂર વ્યવસ્થાપન માટે શું કરવું?

પૂર વ્યવસ્થાપન માટે ઘણા પ્રકારના સાધનો ઉપલબ્ધ છે. આને માળખાકીય અને બિન-માળખાકીય તરીકે વ્યાપક રીતે વર્ગીકૃત કરી શકાય છે. માળખાકીય પગલાંઓમાં જળ સંગ્રહ, પાળા બાંધવા અને નદીઓના ડાયવર્ઝનનો સમાવેશ થાય છે. જે હાનિકારક પાણીને કૃષિ વિસ્તારો, શહેરો, ઉદ્યોગો વગેરેથી દૂર રાખીને પૂરનું જોખમ ઘટાડે છે.

જ્યારે પાણી ઝડપથી વહી રહ્યું હોય, ત્યારે તેને સંગ્રહ કરીને અને પાણી ઓછુ થયા બાદ તેને છોડવાથી પૂરની આત્યંતિક સ્થિતિને નિયંત્રિત કરી શકાય છે. સિંચાઈ, વીજ ઉત્પાદન, પાણી પુરવઠો વગેરે માટે પણ પાણીનો બચાવ કરી શકાય છે. તદુપરાંત, ટાંકીઓ અને તળાવો ભારતમાં જળ સંરક્ષણના પરંપરાગત માધ્યમો છે. આ પરંપરાગત પ્રથાઓ ભૂગર્ભ જળ રિચાર્જ કરવામાં અને જૈવવિવિધતાને પ્રોત્સાહન આપવામાં પણ મદદ કરે છે.

બિન-માળખાકીય પદ્ધતિઓમાં પૂરની આગાહી, ચેતવણીઓ અને પૂરના મેદાનોનું ઝોનિંગ, લોકોને સમયસર સ્થળાંતર કરવામાં મદદ કરવાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, પૂર ત્યારે જ જોખમ બની જાય છે, જ્યારે લોકો પૂરના પાણીની નજીક જાય અથવા તેની હિલચાલને અવગણે.

આગાહી અને ચેતવણી પ્રણાલીના વિકાસ સાથે, લોકો પોતાની જંગમ સંપત્તિને સમયસર સુરક્ષિત સ્થાનો પર ખસેડી શકે છે. ભારતમાં 5,500 થી વધુ મોટા ડેમ છે. સચોટ આગાહી પૂરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. એક સામાન્ય કહેવત છે: "પ્રલય એ ભગવાનનું કામ છે, પણ પૂરથી થયેલું નુકસાન મોટાભાગે માણસનું કામ છે".

પૂર વ્યવસ્થાપનમાં શું અવરોધો છે?

બિન-માળખાકીય પદ્ધતિઓમાં બાંધકામનો સમાવેશ થતો નથી, તેથી પર્યાવરણ અથવા અન્ય કોઈપણ પર કોઈ પ્રતિકૂળ અસર થતી નથી. જો કે, પાણીનું સંરક્ષણ કે વૈકલ્પિક ઉપયોગ કરવામાં આવતું નથી. મોટા અને મધ્યમ જળ સંરક્ષક પ્રોજેક્ટ્સ મોટા પ્રમાણમાં પાણી બચાવી શકે છે, જે અન્યથા વેડફાઇ જતું હોત. તેથી, પૂરનું સંચાલન કરવા માટે, હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફેરફાર કરવો જોઈએ અથવા નવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર નીતિ બનાવવી જોઈએ.

ભારતમાં મોટા ભાગનું પાણી સિંધુ, ગંગા, બ્રહ્મપુત્રા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, મહાનદી, નર્મદા અને તાપી નદીઓમાંથી આવે છે. ચોમાસા દરમિયાન ભારતીય નદીઓના જળસ્તરમાં વધારો થવો સામાન્ય બાબત છે. ચોમાસાના ચાર મહિના દરમિયાન, ભારતીય નદીઓ તેમના વાર્ષિક પ્રવાહના લગભગ 75 ટકા વહન કરે છે. આ ક્યારેક પૂરનું કારણ બને છે. ગંગા, બ્રહ્મપુત્રા, ગોદાવરી અને મહાનદી જેવા તટપ્રદેશોમાં મોટા પાયે પૂરનો પ્રવાહ વધારે છે. ગંગા અને બ્રહ્મપુત્રા જેવી મોટી નદીઓ માટે જે સંગ્રહ વ્યવસ્થા કરવામાં આવી છે તે અપૂરતી છે.

પાણીના સંરક્ષણના વિકલ્પો મોટા ભંડારણોથી લઈને ખેત તલાવડીઓ સુધી બદલી શકાય છે. જેની અસર પણ બદલાય છે. દરેક વિકલ્પમાં ચોક્કસ ફાયદા, મર્યાદાઓ, ચિંતાઓ અને જરૂરિયાતો હોય છે. કોઈપણ વિકલ્પને સંપૂર્ણ રીતે નકારી કાઢવો તે બુદ્ધિમાની નથી. અલબત્ત, પાણી બચાવવા અને સર્વસંમતિ બનાવવા માટે સારી જગ્યાઓ શોધવી એ પણ એક પડકાર છે.

આ પણ વાંચો - ગુજરાત વરસાદ આગાહી : આવતીકાલથી પાંચ દિવસ મેઘરાજા તાંડવ મચાવશે, આ જિલ્લાઓ માટે અતિભારે વરસાદની ચેતાવણી અપાઈ

આબોહવા પરિવર્તન એક પડકાર

જળવાયુ પરિવર્તન પૂર વ્યવસ્થાપનને મુશ્કેલ બનાવી રહ્યું છે. વરસાદની પેટર્ન, તીવ્રતા અને અવધિમાં ફેરફારની શક્યતા આગાહીને મુશ્કેલ બનાવી રહી છે. તાજેતરમાં IPCC એ એસેસમેન્ટ રિપોર્ટ 6 બહાર પાડ્યો હતો, જેમાં સૂચવવામાં આવ્યું હતું કે, વોર્મિંગ વિશ્વમાં, ભવિષ્યમાં વધુ તીવ્ર વરસાદની ઘટનાઓ સામાન્ય બનાવી શકે છે. તેથી, ભવિષ્યમાં ભારતીય નદીઓના પ્રવાહ અને પરિવર્તનક્ષમતા વધશે. આનાથી પૂર અને દુષ્કાળની વધુ ઘટનાઓ બનશે.

Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

(લેખક નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ હાઈડ્રોલોજીના ડાયરેક્ટર રહી ચૂક્યા છે અને હવે આઈઆઈટી રૂરકીમાં છે.)

વેધર ન્યૂઝ ચોમાસું એક્સપ્રેસ એક્સપ્લેન આજનું હવામાન અપડેટ વરસાદ