ISRO Chandrayaan 3 Update: ઈસરોએ ચંદ્રયાન-3નું ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવી ઇતિહાસ રચ્યો છે. આ દરમિયાન ચંદ્રયાન-3ને લઇ એક મોટા સમાચાર આવ્યા છે. ચંદ્રયાન -3ને ધરતીથી 36 હજાર કિમી દૂર લઇ જનાર લોન્ચર હવે પૃથ્વી પર પરત આવ્યો છે. ઈસરોની અનુસાર ચંદ્રયાન-3ને 14 જુલાઇ, 2023ના રોજ ધરતી પથી 36 હજાર કિલોમીટર દૂર મોકલવામાં આવ્યું હતું તે લોન્ચર હવે જમીન પર નીચે પડી ગયું છે.
ગુરુવારે સવારે લગભગ 2.30 વાગ્યે, લોન્ચરનો એક ભાગ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યો અને અમેરિકા નજીક ઉત્તર પ્રશાંત મહાસાગરમાં પડ્યો. તેને કોઈપણ રીતે નિયંત્રિત કરી શકાયું નથી. આ LVM-3M4 રોકેટનો ક્રાયોજેનિક પાર્ટ્સ હતો. નાસાના વૈજ્ઞાનિકોએ તેને શોધી કાઢ્યું હતું અને સમુદ્રમાં તે જગ્યા પણ શોધી હતી જ્યાં તે પડ્યુ હતુ.
ચંદ્રયાન-3નો કાટમાળ 124 દિવસ બાદ ધરતી પર આવ્યો
લોન્ચિંગ બાદ ચંદ્રયાન-3થી અલગ થતાં જ લોન્ચર પૃથ્વીની આસપાસ ફરતું હતું. તે ધીરે ધીરે પૃથ્વીની નજીક આવી રહ્યું હતું જ્યારે 15-16 નવેમ્બર 2023 ની રાત્રે, આ પાર્ટ્સ અમેરિકાના કિનારે ઉત્તર પેસિફિક મહાસાગરમાં પડ્યો. નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ (NORDA) તેને ટ્રેક કરી રહી હતી. તેણે ટ્રેકિંગ બાદ ઈશરો સાથે વાતચીત કરીને અવકાશમાંથી પૃથ્વી તરફ આવતા લોન્ચરને ઓળખી કાઢ્યું અને તે નીચે પડ્યા બાદ ISROએ પણ તેની પુષ્ટિ કરી.
ઈસરોના જણાવ્યા પ્રમાણે પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાંથી કોઈપણ વસ્તુને પૃથ્વી પર પાછા ફરવામાં 124 દિવસ લાગે છે. આવું જ કંઈક LVM-3M4 લોન્ચર સાથે થયું. પૃથ્વી પર પડતી વખતે કોઈપણ અકસ્માત ટાળવા માટે, તે અવકાશમાં જ નિષ્ક્રિય થઈ ગયું હતું. તેનું બળતણ સંપૂર્ણપણે કાઢી દેવામાં આવ્યું હતું.
ચંદ્રયાન-3ના વિક્રમ અને રોવર પ્રજ્ઞાન હજી પણ જાગ્યા નથી
ઈસરોએ ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન વિશે પણ મોટો ખુલાસો કર્યો છે. 14 જુલાઈ 2023ના રોજ લોન્ચ થયા પછી, વિક્રમ લેન્ડર 2 સપ્ટેમ્બર 2023 ના રોજ સ્લીપ મોડમાં ગયું અને રોવર પ્રજ્ઞાન હજુ પણ ઊંઘી રહ્યું છે. ISRO તેને જગાવવાનો સતત પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ હજુ સુધી તેમાં સફળતા મળી નથી. લેન્ડર અને રોવરને પૃથ્વીના 14-દિવસ-રાતના ચક્ર અનુસાર તૈયાર કરવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં, વિક્રમ રોવરને 14 દિવસ પછી જાગવું જોઈતું હતું, પરંતુ હજી સુધી આવું થયું નથી.
આ પણ વાંચો | ચંદ્રયાન 4 મિશન : ISRO અને જાપાનની JAXA સાથે મળી ચંદ્ર મિશન કરશે, શું છે લક્ષ્ય? ક્યારે થશે લોન્ચ?
નોંધનીય છે કે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરાયેલ ચંદ્રયાન-3 એ 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કર્યું હતું. આ સાથે ભારત ચંદ્ર પર પહોંચનારો વિશ્વનો ચોથો અને દક્ષિણ ધ્રુવ પર ઉતરણ કરનાર પ્રથમ દેશ બન્યો છે. લેન્ડિંગ બાદના 14 દિવસ દરમિયાન ચંદ્રયાન-3 એ ચંદ્ર પરની મહત્વપૂર્ણ માહિતી એકત્ર કરી હતી.