Karnataka Assembly Election 2023 : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કર્ણાટકના પ્રવાસે છે. લોકસભાની સદસ્યતા ગુમાવ્યા પછી રાહુલ ગાંધીનો પ્રથમ કર્ણાટક પ્રવાસ છે. તેમણે કોલારમાં એક જનસભાને સંબોધિત કરતા અદાણી ગ્રુપનો મુદ્દો ઉઠાવ્યો હતો અને જાતિ જનગણના પર મોદી સરકારને સવાલ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ઉપસ્થિત રહ્યા હતા.
તમને જણાવી દઈએ કે કોલાર તે જ સ્થાન છે જ્યા રાહુલ ગાંધીએ 2019માં મોદી સરનેમ વાળી ટિપ્પણી કરી હતી. આ મામલામાં ગત મહિને સુરતની એક કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવી હતી. જેના કારણે તેમની લોકસભાની સદસ્યતા ગુમાવી પડી હતી. રાહુલ ગાંધીએ ફરી એક વખત કોલારથી ચૂંટણી જનસભા કરીને એક મોટો સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો છે.
રાહુલ ગાંધીએ જનસભાને સંબોધતા કહ્યું કે સરકાર આ દેશમાં ઓબીસીને બદનામ કરવાની વાત કરે છે. તે જાતિગત જનગણના કેમ છુપાવી રહ્યા છે. આ દેશમાં એસસી, એસટી અને ઓબીસીની સંખ્યા અને કેન્દ્ર સરકારમાં તેમના પ્રતિનિધિત્વનો ખુલાસો કેમ કરી રહ્યા નથી. હું આ સરકારને જાતિગત જનગણના કરાવવા અને એ બતાવવાની માંગણી કરું છું કે ઓબીસીનું અપમાન કોણ કરી રહ્યું છે?
આ પણ વાંચો – યેદિયુરપ્પાનો ઈન્ટરવ્યુઃ ‘મારો પુત્ર વિજયેન્દ્ર કર્ણાટકમાં પ્રચાર માટે ફરે છે… દરેક સીટ પર યુવાનો તેને સમર્થન આપે છે’
રાહુલ ગાંધીએ કહ્યું કે સંસદમાં અદાણી વિશે બોલવાથી મનાઇ કરી દીધી. હું જ્યારે પણ મોદી સરકારને અદાણી વિશે સવાલ કરતો હતો તો સંસદની અંદર મારું માઇક બંધ થઇ જતું હતું. જો હું સ્પીકરને આ વિશે પુછું તો તે ફક્ત હસતા હતા. તે મને અદાણી વિશે બોલવાથી રોકવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
રાહુલ ગાંધીએ કહ્યું કે કર્ણાટકમાં સરકાર બનતા જ કોંગ્રેસ પોતાના ચૂંટણી વાયદાને જલ્દી પુરા કરશે. કર્ણાટકની ચૂંટણી પહેલા જ કર્ણાટકમાં કોંગ્રેસની લહેર જોઇ શકો છો.