કર્ણાટક વિધાનસભા ચૂંટણી: કે એસ ઈશ્વરપ્પાએ કહ્યું – શિવમોગામાં ભાજપને એક પણ મુસ્લિમ મતની જરૂર નથી

Karnataka Elections 2023 : ઈશ્વરપ્પાએ શિવમોગા ખાતે લિંગાયત સમુદાયના પ્રતિનિધિઓની બેઠકમાં બોલતા કહ્યું કે આપણે બતાવવું જોઈએ કે આપણે સંગઠિત છીએ અને કોઇપણ આપણને વિભાજિત કરી શકશે નહીં

Written by Ashish Goyal
April 25, 2023 21:43 IST
કર્ણાટક વિધાનસભા ચૂંટણી: કે એસ ઈશ્વરપ્પાએ કહ્યું – શિવમોગામાં ભાજપને એક પણ મુસ્લિમ મતની જરૂર નથી
ભાજપના નેતા કે એસ ઇશ્વરપ્પાએ એક વિવાદિત નિવેદન આપ્યું (Twitter)

Karnataka Polls: કર્ણાટકમાં 10 મેના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા પૂર્વ ઉપમુખ્યમંત્રી અને ભાજપના નેતા કે એસ ઇશ્વરપ્પાએ એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને શિવમોગા મતવિસ્તારમાં મુસ્લિમોના એક પણ મતની જરૂર નથી.

ઈશ્વરપ્પાએ શિવમોગા ખાતે લિંગાયત સમુદાયના પ્રતિનિધિઓની બેઠકમાં બોલતા કહ્યું કે આપણે જાતિના મુદ્દાઓ ઉભા ના કરીને ચૂંટણી લડનારાઓને સ્પષ્ટ સંદેશ આપવો જોઈએ. આપણે બતાવવું જોઈએ કે આપણે સંગઠિત છીએ અને કોઇપણ આપણને વિભાજિત કરી શકશે નહીં. તેઓ (કોંગ્રેસ) કહે છે કે શિવમોગા મતવિસ્તારમાં 50,000થી 55,000 મુસ્લિમ મતદારો છે. આપણને એકની પણ જરૂર નથી. હું સીધી રીતે કહી રહ્યો છું કે અમને એકપણની જરૂર નથી. આ બેઠકમાં ભાજપના સંસદીય બોર્ડના સભ્ય બી એસ યેદિયુરપ્પા અને શિવમોગાના સાંસદ બી વાય વિજયેન્દ્ર પણ હાજર હતા.

ઇશ્વરપ્પાએ તાજેતરમાં જ ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી અને પાર્ટીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેમને મેદાનમાં ન ઉતારવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપને બહુમત સુધી પહોંચાડવામાં મદદ કરવા માટે તેઓ ચૂંટણી લડવાથી દૂર રહ્યા છે.

કર્ણાટકમાં પછાત વર્ગો અને અનુસૂચિત જાતિઓ (એસસી) માટે સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામત માટેના ધોરણોમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરીને બસવરાજ બોમ્મઇ સરકારે મુસ્લિમો માટેના 4% પછાત વર્ગોના ક્વોટાને રદ કર્યો હતો. પ્રદેશ કોંગ્રેસે આ નિર્ણય પર વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે પછાત વર્ગ, લઘુમતીઓ, વોકાલિગા અથવા લિંગાયત તેઓ ભિખારી નથી. કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિ (કેપીસીસી)ના અધ્યક્ષ ડી કે શિવકુમારે સરકાર પર દલિતો અને લઘુમતીઓ પ્રત્યે તિરસ્કારનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો – યેદિયુરપ્પાને તબક્કાવાર રીતે બહાર કરાયા, ભાજપમાં વધુ એક પ્રાદેશિક ક્ષત્રપ સમેટાઇ ગયા

ઇશ્વરપ્પાની આ ટિપ્પણી ત્યારે આવી છે જ્યારે કોલારમાં એક રેલીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઓબીસીની જાતિ જનગણના કરવાની હાકલ કરી હતી. રેલીને સંબોધિત કરતા રાહુલે કહ્યું કે જ્યારે આપણે સંપત્તિની વહેંચણી, સત્તાની વહેંચણીની વાત કરીએ છીએ. તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે એસસી અને એસટી માટે અનામત તેમની વસ્તીના પ્રમાણમાં હોવી જોઈએ અને અનામત પર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબની 50 ટકાની મર્યાદાને દૂર કરવાની માંગ કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ