/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Siddaramaiah.jpg)
કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા (ફાઇલ ફોટો)
karnataka : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ રવિવારે માંડ્યાના કેરાગોડુ ગામમાં 108 ફૂટ ઊંચા સ્તંભ પરથી હનુમાનના ધ્વજને હટાવવાના અધિકારીઓના પગલાને યોગ્ય ઠેરવ્યો છે. તેમણે કહ્યું કે તેના બદલે રાષ્ટ્રધ્વજ ફરકાવવો જોઈતો હતો. રાષ્ટ્રધ્વજની જગ્યાએ ભગવો ધ્વજ ફરકાવવો યોગ્ય નથી. તેઓએ રાષ્ટ્રધ્વજ ફરકાવવો જોઈતો હતો.
આ પગલાથી રાજકીય વિવાદ સર્જાયો છે અને ભાજપે અશાંતિ માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી છે. કર્ણાટક ભાજપના અધ્યક્ષ બીવાય વિજયેન્દ્રએ જણાવ્યું હતું કે જ્યારે ગ્રામ પંચાયત બોર્ડે માંડ્યા જિલ્લાના કેરાગોડુ ગામમાં હનુમાન ધ્વજ ફરકાવવાનો નિર્ણય કર્યો હતો ત્યારે રાજ્ય સરકારે પોલીસ દળના માધ્યમથી ધ્વજ નીચે ઉતારી દીધો હતો. કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિનું કારણ કોંગ્રેસની સરકાર છે.
કર્ણાટકમાં શું થયું?
રવિવારે માંડ્યાના કેરાગોડુ ગામમાં હનુમાનની છબી ધરાવતો ભગવો ધ્વજ પોલીસે હટાવી લીધો હતો. ભાજપ, જેડી(એસ) અને બજરંગ દળના સમર્થકોએ ધ્વજ હટાવવાનો પ્રયાસ કરવા બદલ સત્તાવાળાઓ સામે દેખાવો શરૂ કર્યા હતા. આ પછી ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રે ધ્વજ ઉતારીને તેના સ્થાને ત્રિરંગો લહેરાવ્યો હતો.
આ પણ વાંચો - નીતિશ કુમારના પલટી મારવા પર તેજસ્વી યાદવે કહ્યું – હજુ ખેલ બાકી છે
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર કર્ણાટકમાં કેરાગોડુ અને 12 આસપાસના ગામોના લોકોએ ધ્વજની સ્થાપના માટે ભંડોળ એકઠું કર્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ અને જેડીએસના કાર્યકરો આ પહેલમાં સક્રિય રીતે સામેલ છે. અજાણ્યા શખ્સોની ફરિયાદના પગલે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પીટીઆઈના અહેવાલ મુજબ તાલુકા પંચાયતના કારોબારી અધિકારીએ ગ્રામ પંચાયતના અધિકારીઓને ધ્વજ હટાવવાનો નિર્દેશ આપ્યો હતો.
મુખ્યમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા
સ્થાનિકોએ પોલીસની આ હરકતનો વિરોધ કર્યો હતો અને આખી રાત ધરણા કર્યા હતા. રવિવારે સવારે તેઓએ મુખ્યમંત્રી અને માંડ્યાથી કોંગ્રેસના ધારાસભ્ય ગનીગા રવિકુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. બપોરે પોલીસે આ વિસ્તારને ખાલી કરવા માટે બળપ્રયોગ કર્યો હતો. માંડ્યા જિલ્લા પ્રભારી એન ચેલુવરયાસ્વામીએ સ્પષ્ટતા કરી હતી કે ધ્વજસ્તંભનું સ્થાન પંચાયતના અધિકારક્ષેત્રમાં આવે છે અને રાષ્ટ્રધ્વજ ફરકાવવાની મંજૂરી લેવામાં આવી હતી.
વિરોધ પક્ષના નેતા આર અશોકે સરકારના કથિત હિન્દુ વિરોધી વલણ માટે ટીકા કરી હતી. તેમણે કહ્યું કે પોલીસની કાર્યવાહીની શું જરૂર હતી? વહીવટીતંત્રે ગામલોકો સાથે વાત કેમ ન કરી? ગ્રામ પંચાયત તરફથી ધ્વજને મંજૂરી આપવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us