Shahi Idgah ASI survey : મથુરામાં શાહી ઇદગાહ મસ્જિદમાં પણ ASI સર્વે થશે, શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં હાઇકોર્ટે આપ્યો મોટો નિર્ણય

Krishna Janmabhoomi Land Dispute Case : મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિની બાજુમાં આવેલી શાહી ઇદગાહ મસ્જિદના સર્વેમાં કેટલા લોકો ભાગ લેશે અને કયા વિસ્તારમાં સર્વે કરવામાં આવશે તે 18 ડિસેમ્બરે નક્કી કરવામાં આવશે

Written by Ashish Goyal
December 14, 2023 16:00 IST
Shahi Idgah ASI survey : મથુરામાં શાહી ઇદગાહ મસ્જિદમાં પણ ASI સર્વે થશે, શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં હાઇકોર્ટે આપ્યો મોટો નિર્ણય
મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ સંકુલ અને શાહી ઇદગાહ મસ્જિદ. (ANI/ફાઇલ)

Krishna Janmabhoomi Land Dispute Case : મથુરામાં શાહી ઇદગાહ મસ્જિદ કેસમાં હિંદુ પક્ષની અરજી પર અલ્હાબાદ હાઇકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે શાહી ઈદગાહ સંકુલનો સર્વે કરવાનો નિર્ણય કર્યો છે. સર્વે માટે એડવોકેટ કમિશનરની નિમણૂક કરવામાં આવશે. સર્વેમાં કેટલા લોકો ભાગ લેશે, ક્યારે શરૂ થશે અને કયા વિસ્તારમાં સર્વે થશે તે 18 ડિસેમ્બરે નક્કી થશે. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને કહ્યું કે અરજીમાં ત્રણ કોર્ટ કમિશનરની પેનલની માંગણી કરવામાં આવી હતી.

શું છે સમગ્ર મામલો?

આ અરજી ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન અને અન્ય 7 લોકોએ વકીલ હરિ શંકર જૈન, વિષ્ણુ શંકર જૈન, પ્રભાષ પાંડે અને દેવકી નંદનના માધ્યમથી અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરી છે. અરજીમાં મસ્જિદ પરિસરનો ASI સર્વે કરાવવાની માંગણી કરવામાં આવી છે. હિંદુ પક્ષ તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ મસ્જિદ શ્રી કૃષ્ણના જન્મસ્થળને તોડીને બનાવવામાં આવી છે. આખું સંકુલ અગાઉ એક હિન્દુ મંદિર હતું જે ઔરંગઝેબના શાસન દરમિયાન તોડી પાડવામાં આવ્યું હતું.

આ પણ વાંચો – સીએમ બનતા જ મોહન યાદવ થયા એક્ટિવ, લાઉડસ્પીકર અને ખુલ્લામાં વેચાતા મીટ પર લીધો મોટો નિર્ણય

સર્વેમાં શું થશે?

હિન્દુ પક્ષની અરજી પર હાઈકોર્ટે શાહી ઈદગાહ સંકુલના ASI સર્વે અંગે પોતાનો ચુકાદો આપ્યો છે. અગાઉ વારાણસીમાં જ્ઞાનવાપી સંકુલનો સર્વે પણ એડવોકેટ કમિશનરની દેખરેખ હેઠળ કરવામાં આવ્યો હતો. શાહી ઇદગાહ કેસમાં પણ વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી થવી જોઇએ તેવી હિન્દુ પક્ષ તરફથી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત શાહી ઈદગાહમાં તે તથ્યોની પણ તપાસ કરવામાં આવશે જેમાં હિન્દુ પક્ષે મસ્જિદમાં ઘણા હિન્દુ પ્રતીક હોવાનો અને મસ્જિદ બનાવવા માટે મંદિર તોડી પાડવાનો દાવો કર્યો છે.

વિષ્ણુ જૈને કહ્યું કે 1669માં ઔરંગઝેબે હિંદુ મંદિરોને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. અહીં હિન્દુ મંદિરને તોડીને શાહી ઇદગાહ મસ્જિદ બનાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે જ્ઞાનવાપીમાં જેટલી હકીકતો સામે આવી છે, તેવી જ હકીકતો મથુરામાં એડવોકેટ કમિશનરના સર્વે પછી પ્રકાશમાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ