લોકસભા ચૂંટણી 2024 : PDA પર આટલું ફોક્સ કેમ કરી રહ્યા છે અખિલેશ યાદવ? સમજો શું છે સપાનું ગણિત

Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી 2024 માટે સમાજવાદી પાર્ટી પીડીએ (PDA) ને ધ્યાનમાં રાખીને દરેક રણનીતિ બનાવી રહી છે.

Written by Ashish Goyal
February 06, 2024 18:53 IST
લોકસભા ચૂંટણી 2024 : PDA પર આટલું ફોક્સ કેમ કરી રહ્યા છે અખિલેશ યાદવ? સમજો શું છે સપાનું ગણિત
સપા પ્રમુખ અખિલેશ યાદવ (Express photo by Vishal Srivastava)

Asad Rehman : સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. લોકસભા ચૂંટણી 2024 માટે સપા પીડીએ (PDA) ને ધ્યાનમાં રાખીને દરેક રણનીતિ બનાવી રહી છે. પીડીએ એસપીની પ્રથમ યાદીમાં પણ જોવા મળ્યું હતું. સપાના વડાનો દાવો છે કે રાજ્યના મોટાભાગના લોકો પીડીએને ટેકો આપી રહ્યા છે અને પીડીએની અસર ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટપણે દેખાશે અને ભાજપની તમામ ફોર્મ્યુલા નિષ્ફળ જશે.

અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે પીડીએમાં વિશ્વાસ કરનારાઓનો સર્વે: કુલ મળીને 90% ની વાત = 49% પછાતોનો વિશ્વાસ પીડીએમાં, 16% દલિતોનો વિશ્વાસ પીડીએમાં, 21% લઘુમતીઓનો વિશ્વાસ પીડીએમાં (મુસ્લિમ +શીખ +બૌદ્ધ+ખ્રિસ્તી +જૈન અને અન્ય +આદિવાસીઓ) 4% સવર્ણોનો વિશ્વાસ પીડીએમાં (ઉપરોક્ત તમામમાં અડધી વસ્તી એટલે કે મહિલાઓનો સમાવેશ થાય છે). આ 90 ટકામાંથી મોટા ભાગના લોકો આ વખતે પીડીએ માટે એકજૂટ થઈને મતદાન કરશે.

અખિલેશ યાદવે પોતાની પોસ્ટમાં એવો પણ દાવો કર્યો હતો કે આ કારણોસર ભાજપ કોઇ ગણિત કે કોઇ સમીકરણ સેટ કરી શકતું નથી, તેથી જ આ વખતે તેની અગાઉની તમામ ફોર્મ્યુલાઓ નિષ્ફળ ગઇ છે. એટલા માટે ઉમેદવારોની પસંદગીમાં ભાજપ ખૂબ પાછળ રહી ગયું છે. ભાજપને ઉમેદવારો મળી રહ્યા નથી. ભાજપની ટિકિટ લઈને કોઈ હાર માટે લડવા માગતું નથી. આ જ પોસ્ટમાં અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે, “લી હૈ ‘પીડીએ’ ને અંગડાઈ, ભાજપ કી શામત આઇ”

પીડીએ (PDA) શું છે?

પીડીએ શબ્દનો પ્રથમ ઉલ્લેખ અખિલેશ યાદવે જૂન 2023માં કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પીડીએ એનડીએને હરાવશે. પીડીએ દ્વારા તેમનો અર્થ પછાત, દલિતો અને લઘુમતીઓનો હતો. મુસ્લિમો અને યાદવોને પરંપરાગત રીતે યુપીમાં સપાના મુખ્ય મતદારો માનવામાં આવે છે. બંને સમુદાયોએ યુપીમાં ઘણી બેઠકોના પરિણામો નક્કી કર્યા હોવા છતાં અથવા પ્રભાવિત કર્યા હોવા છતાં, 2014ની લોકસભાની ચૂંટણીમાં સપાને માત્ર પાંચ બેઠકો મળી હતી અને 2019ની લોકસભાની ચૂંટણીમાં બસપા સાથેના જોડાણ પછી પણ એટલી જ બેઠકો જીતી હતી. એ જ રીતે 2017ની વિધાનસભા ચૂંટણીમાં સપાનો પરાજય થયો હતો. 2022ની વિધાનસભા ચૂંટણીમાં સપાનો ગ્રાફ જરૂર વધ્યો હતો પરંતુ તેને માત્ર 111 સીટો જ મળી હતી.

શું છે અખિલેશનો પ્લાન?

અખિલેશ યાદવ પીડીએ દ્વારા પોતાની પરંપરાગત વોટ બેંક વધારવા માંગે છે. તે યાદવો અને મુસ્લિમોની સાથે દલિતો અને અન્ય ઓબીસી જાતિઓની પોતાની સાથે કરવા માંગે છે. તેમણે પીડીએમાં સવર્ણ જાતિના પછાત લોકોને પણ શામેલ કર્યા છે. આ લોકોને પરંપરાગત રીતે ભાજપના મતદારો માનવામાં આવે છે.

સપાના વડાનું માનવું છે કે પીડીએ મેઘધનુષ્યની જેમ સમાજના દરેક વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે અને તે પાર્ટીને વધુ લોકો સુધી પહોંચવામાં મદદ કરશે. સપાના કેટલાક નેતાઓનું માનવું છે કે દલિત મતદારો માયાવતીથી પોતાને દૂર કરી રહ્યા છે કારણ કે માયાવતી ભાજપ સાથે હરીફાઈ કરી રહ્યા નથી અને તેથી આ મતદાતા હવે વિકલ્પ શોધી રહ્યા છે.

આ પણ વાંચો – રાહુલ ગાંધીએ કહ્યું – દેશમાં આદિવાસીઓ, ગરીબોનો અવાજ દબાવવાનું થઇ રહ્યું છે ષડયંત્ર

તેમણે આગળ કહ્યું કે અમારા પક્ષના વડા સતત આંબેડકર અને અન્ય દલિત પ્રતીકો વિશે વાત કરી રહ્યા છે, જે સ્પષ્ટપણે બતાવે છે કે અમે દલિતો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સપા નેતાએ કહ્યું કે યાદવો ઉપરાંત અન્ય ઓબીસી મતદારો પણ પાર્ટીના ટાર્ગેટ વોટર્સમાં સામેલ છે. આ વસ્તીની દ્રષ્ટિએ સૌથી વધુ છે.

સપા નેતાએ કહ્યું કે મુસ્લિમો રાજ્યનો સૌથી મોટો લઘુમતી ગ્રુપ છે જેણે હંમેશા સપાને ટેકો આપ્યો છે. તેમણે કહ્યું કે પીડીએ જેવું પ્લેટફોર્મ માત્ર મુસ્લિમો જ નહીં પરંતુ અન્ય લઘુમતી જૂથોને પણ સપાની તરફેણમાં આકર્ષિત કરશે.

અખિલેશે જાતિગત વસ્તી ગણતરીની માંગ કરી

અખિલેશ યાદવ છેલ્લા કેટલાક સમયથી સતત પોતાની સભાઓમાં જાતિગત વસ્તી ગણતરીની માંગ ઉઠાવી રહ્યા છે. અખિલેશની માંગ છે કે કાસ્ટ સર્વે કર્યા બાદ તેના ડેટા પ્રમાણે અનામત અને યોજનાઓ લાગુ કરવામાં આવે. સપાના વડા ભાજપ પર બંધારણ દ્વારા અપાયેલી અનામત પ્રણાલીને નબળી પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ પણ લગાવી રહ્યા છે. આ ઓબીસી અને દલિત સમુદાયોને લલચાવવાના તેમના પ્રયત્નોનો એક ભાગ છે, જેમને નોકરીઓ અને શિક્ષણમાં ક્વોટાનો લાભ મળે છે.

હવે સમજો SPનું ગણિત

યુપીમાં 2014થી 2022 સુધી યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોથી સપા સમજી ગઈ છે કે જો જીતવું જ હોય તો માત્ર મુસ્લિમ મતો કામ નહીં કરે. ભાજપને હરાવવા માટે તેને મુસ્લિમ યાદવો તેમજ અન્ય જ્ઞાતિઓના મતોની જરૂર છે. યુપીમાં મુસ્લિમોની વસ્તી લગભગ 20 ટકા છે, તેમના એકતરફી મતને કારણે 2022માં સપાની બેઠકોની સંખ્યામાં વધારો થયો હતો.

સપા સારી રીતે જાણે છે કે અગાઉની તમામ ચૂંટણીઓમાં ભાજપની જીતમાં બિન-યાદવ ઓબીસી સૌથી મોટું પરિબળ રહ્યું છે. એક અંદાજ મુજબ યુપીની 40થી 50 ટકા વસતી ઓબીસી સમુદાયની છે, જેમાં યાદવોની સંખ્યા આઠથી દસ ટકા છે. આથી યાદવો ઉપરાંત સપા પણ અન્ય ઓબીસીને પોતાની પાર્ટી સાથે જોડવાનો પ્રયાસ કરી રહી છે.

યુપીમાં દલિતોની વસ્તી લગભગ 20 ટકા છે. આને બસપાના પરંપરાગત મતદાતા માનવામાં આવે છે. અખિલેશ યાદવ દલિતોના એ વર્ગને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જે બસપાના નબળા થવાથી નિરાશ છે.

અખિલેશના પીડીએ સામે ભાજપ શું કરી રહ્યું છે?

અખિલેશ સતત પીડીએની વાત કરી રહ્યા છે તો બીજી તરફ ભાજપને વિશ્વાસ છે કે યુપીના મતદારો તેમની કોઈ પણ ‘યુક્તિઓ’માં નહીં આવે. ભાજપના નેતાઓનું માનવું છે કે સપાએ ઘણી વખત આવા પ્રયાસો કર્યા છે, પરંતુ ચૂંટણીમાં તેમને કોઈ ફાયદો થયો નથી.

યુપીમાં ભાજપ પાસે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યના રૂપમાં પછાત સમુદાયમાંથી આવતા એક મોટા નેતા છે. તેમણે તાજેતરમાં પીડીએને વ્યક્તિગત વિકાસ સત્તા તરીકે નકારી કાઢી હતી. તેમણે આરોપ લગાવ્યો કે પીડીએની વાત માત્ર અખિલેશ યાદવને ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવી રહી છે.

ભાજપના નેતાઓનું પણ માનવું છે કે લોકસભા ચૂંટણી પીએમ મોદીની ગેરંટી પર થશે. પીએમ મોદીએ રામ મંદિર બનાવ્યું છે. ભાજપનું એવું પણ માનવું છે કે જ્યારે સપા અને બસપા સાથે મળીને યુપીમાં ભાજપને રોકી શક્યા નહીં, તો આ વખતે તે કોઈપણ રીતે શક્ય નથી. આ ઉપરાંત સપાના ઇન્ડિયા ગઠબંધનમાં સીટોની વહેંચણીને લઈને પણ ખેંચતાણ ચાલી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ