Lalmani Verma : આરએલડી ચીફ જયંત ચૌધરી હાલમાં જ એનડીએમાં સામેલ થયા છે. જયંતે પોતાના દાદા અને પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાત કર્યા બાદ ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા. રાષ્ટ્રીય લોકદળના વડા જયંત ચૌધરીએ 10 દિવસ પહેલા જાહેર કરેલા ગઠબંધનની ઔપચારિક પુષ્ટિ અંગે ભાજપ હજુ પણ મૌન છે. જોકે મોટા નેતાઓએ કહ્યું કે ગઠબંધન લગભગ નક્કી થઇ ચૂક્યું છે પરંતુ બંને પાર્ટીઓના કાર્યકર્તાઓ ચિંતામાં પડી રહ્યા છે.
પોતાના પિતા અને પાર્ટીના સંસ્થાપક દિવંગત અજિત સિંહને જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપ્યા બાદ દિલ્હીમાં આરએલડી કેન્દ્રીય કાર્યાલયમાં પત્રકારો સાથેની વાતચીતમાં જયંત ચૌધરીએ પુષ્ટિ કરી હતી કે તેમની પાર્ટી લોકસભાની ચૂંટણી પહેલા એનડીએમાં જોડાશે. ત્યાર બાદ આરએલડી કઈ બેઠકો પર ચૂંટણી લડશે તે અંગે કોઈ નિવેદન સામે આવ્યું નથી. તેમજ ભાજપના વરિષ્ઠ નેતાઓ જયંતનું સ્વાગત કરતા હોય તેવી કોઈ તસવીરો પણ સામે આવી નથી.
આ મામલે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા નિર્ણય લેવામાં આવી રહ્યો છે
પશ્ચિમ યુપીમાં ભાજપના નેતાઓ મૌન છે, તેમણે સ્વીકાર્યું છે કે આ મામલે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા નિર્ણય લેવામાં આવી રહ્યો છે, આરએલડીના સભ્યોએ કહ્યું કે પાર્ટી પશ્ચિમ યુપીની ચાર લોકસભા બેઠકો – બાગપત, બિજનૌર, કૈરાના અને મથુરા માટે વાતચીત કરી રહી છે. ઇન્ડિયા ગઠબંધનમાંથી બહાર નીકળવા પાછળનું કારણ પૂછવામાં આવતા જયંતે સવાલનો જવાબ ટાળતા કહ્યું હતું કે જ્યારે ઔપચારિક જાહેરાત કરવામાં આવશે ત્યારે હું ખુલ્લેઆમ તેના કારણો શું હતા તે જણાવીશ. ભવિષ્ય માટે અમારા વિચાર અને અમે અમારા લોકો અને અમારા ક્ષેત્ર માટે શું કરવા માંગીએ છીએ તે જણાવીશું.
આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – જમ્મુમાં હવે AIIMS અને IIT- IIM પણ છે, પરિવારવાદ પર કર્યો પ્રહાર
ગઠબંધનને આખરી ઓપ આપવામાં આવ્યો છે, ફક્ત જાહેરાત બાકી
ગઠબંધને અંતિમ સ્વરૂપ ધારણ કરી લીધું છે અને માત્ર ઔપચારિક જાહેરાતની રાહ જોવાઇ રહી છે એમ જણાવતાં આરએલડીના નેતાએ કહ્યું હતું કે પક્ષના નેતાઓ ઇચ્છે છે કે જયંત તેમના પરિવારની પરંપરાગત બેઠક બાગપતથી લોકસભાની ચૂંટણી લડે. એવી અટકળો છે કે બાગપત લોકસભા મત વિસ્તારના છાપરૌલી ક્ષેત્રમાં અજિત સિંહની પ્રતિમાના અનાવરણ સમયે ઔપચારિક જાહેરાત કરવામાં આવી શકે છે. આયોજનની શરૂઆતની તારીખ 12 ફેબ્રુઆરી હતી. આરએલડીના સૂત્રોએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે આગામી દિવસોમાં પ્રતિમાના અનાવરણ માટે છાપરૌલીની મુલાકાત લે તેવી સંભાવના છે.
સાથે જ જો સૂત્રોનું માનીએ તો પંજાબના ખેડૂતો દ્વારા ચાલી રહેલા આંદોલન અને તેમની સામે હરિયાણા સરકારના કડક પગલાંથી સ્થિતિ વણસી છે. આ મુદ્દે જયંતના મૌન અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. આરએલડીના એક નેતાએ જણાવ્યું હતું કે એકવાર સરકાર ખેડૂતો સાથે સમજુતી કરી લેશે તો આ ભાજપ-આરએલડી ગઠબંધનની જાહેરાત શાનદાર માહોલ રહેશે. અત્યારે આ મુદ્દે ભાજપ અને આરએલડી બંનેને સવાલોનો સામનો કરવો પડી રહ્યો છે.





