Lok Sabha Elections 2024: કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં મળેલા પરાજય બાદ ભાજપ પોતાની રણનીતિ બદલવા મજબૂર દેખાઇ રહી છે. પાર્ટીના નેતૃત્વની ટોપ લેવલની બેઠક બાદ અટકળોનો દોર શરૂ થઇ ગયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જે પી નડ્ડા અને મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષ વચ્ચે સોમવારે મોડી સાંજ અને મંગળવારે એક બેઠક યોજાઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠક રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ચૂંટણીમાં પાર્ટીની સ્થિતિનો તાગ મેળવવા માટે કરવામાં આવી હતી. આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં ટીડીપી સાથે ગઠબંધન અને તેની સાથે જોડાયેલી યોજનાઓને પણ બેઠકનો એક મહત્વનો મુદ્દો ગણાવવામાં આવી રહ્યો છે.
મોટા ફેરફારો શક્ય છે
ભાજપની રાષ્ટ્રીય નેતાગીરીની આ સતત બેઠકો બાદ અનેક પ્રકારની રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે. એવી પણ અફવાઓ છે કે ભાજપ પાર્ટી સંગઠનમાં મોટા ફેરફારો કરવા જઈ રહી છે. જેમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણા ઉપરાંત અનેક રાજ્યોના પ્રભારીઓ સહિત પાર્ટી સંગઠનમાં મોટા ફેરફાર કરવાની છે. રાજસ્થાનમાં પહેલા જ ફેરફાર થઇ ગયો છે. મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાં પણ મોટા ફેરફારની શક્યતા છે.
તેલંગાણા અને મધ્યપ્રદેશ પર કેમ છે વધારે ધ્યાન?
ભાજપ મધ્યપ્રદેશ અને તેલંગાણા જેવા ચૂંટણીવાળા રાજ્યોમાં પોતાનું સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. આનું એક મોટું કારણ પાર્ટીની અંદર ચાલી રહેલા મતભેદ પણ જણાવવામાં આવી રહ્યા છે. આ સાથે જ ભાજપ માટે એક મોટો પડકાર પાર્ટીના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)ના વિસ્તરણનો છે. જેને જનતા દળ (યુનાઇટેડ) અને અકાલી દળ જેવા ભાજપના પરંપરાગત સાથી પક્ષો દ્વારા તાજેતરના વર્ષોમાં છોડી દેવામાં આવી છે. ભાજપ સામે સૌથી મોટું લક્ષ્ય 2024ની લોકસભાની ચૂંટણીઓમાં પોતાની સીટો જાળવી રાખવાનું છે, પરંતુ કર્ણાટક ચૂંટણી બાદ ભાજપ ઝડપથી તેની તરફ કામ કરવા આગળ વધ્યું છે.
આ પણ વાંચો – તો શું કોંગ્રેસને નીતિશ કુમાર સ્વીકાર નથી? વિપક્ષી એકતાની પ્રથમ મોટી બેઠક સ્થગિત થવાનું આ છે અસલી કારણ
મધ્ય પ્રદેશ ભાજપના અધ્યક્ષ વી ડી શર્માનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે તેમના સંબંધો બહુ સારા લાગતા નથી. આ પરથી અંદાજો લગાવી શકાય છે કે મધ્ય પ્રદેશમાં પણ પાર્ટીને મોટો પડકાર મળી રહ્યો છે. મધ્ય પ્રદેશમાં ચૂંટણી પહેલા મોટો ફેરફાર થઈ શકે છે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સિવાય તેલંગાણાની ભાજપની લીડરશિપ માટે પણ માહોલ બહુ સારો જોવા મળી રહ્યો નથી. એવા અહેવાલ છે કે સામાન્ય કાર્યકરોએ પ્રદેશ પ્રમુખ બંદી સંજયકુમારના નેતૃત્વ સામે મોટા પાયે ફરિયાદ નોંધાવી છે.