/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Rahul-Gandhi-1-1.jpg)
ભારત જોડો ન્યાય યાત્રાના સમાપન પ્રસંગે રાહુલ ગાંધીએ મુંબઈના શિવાજી પાર્કમાં એક રેલી કરી હતી (એક્સપ્રેસ તસવીર)
Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી 2024ને લઈને ચૂંટણી પંચે સત્તાવાર જાહેરાત કરી દીધી છે. બીજી તરફ આજે કોંગ્રેસ નેતા અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીની મુંબઈમાં પોતાની ભારત જોડો ન્યાય યાત્રા પુરી થઇ છે. આ પ્રસંગે મુંબઈના શિવાજી પાર્કમાં એક રેલી યોજાઈ હતી, જેમાં ભાજપ વિરોધી વિપક્ષી પાર્ટી ઈન્ડિયા એલાયન્સના ઘણા નેતાઓ પણ હાજર રહ્યા હતા અને આ દરમિયાન રાહુલ ગાંધીએ પીએમ મોદી પર જોરદાર પ્રહાર કર્યો હતો. રાહુલે પીએમ મોદીને રાજા ગણાવતા કહ્યું કે રાજાની આત્મા ઈવીએમ, સીબીઆઈ અને ઈડીમાં રહે છે.
રાહુલ ગાંધીએ પોતાની બંને યત્રાને લઇને જણાવ્યું હતું કે ગયા વર્ષે અમે કન્યાકુમારીથી કાશ્મીરની યાત્રા કરી હતી. જો મેં તમને 2004, 2010 કે 2014માં પૂછ્યું હોત કે મારે કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4000 કિમી ચાલવું પડશે. તો હું કલ્પના પણ કરી શકતો ન હતો. અમારે આ યાત્રા કેમ કરવી પડી? દેશની કોમ્યુનિકેશન સિસ્ટમ, મીડિયા કે સોશિયલ મીડિયા દેશના હાથમાં નથી. જનતાના મુદ્દા બેરોજગારી, હિંસા, નફરત, મોંઘવારી, ખેડૂતો, અગ્નિવીરના મુદ્દા તમને મીડિયામાં જોવા નહીં મળે.
રાહુલ ગાંધીએ કહ્યું કે અમારે આ યાત્રા એટલા માટે કરવી પડી કારણ કે બીજો કોઈ વિકલ્પ ન હતો. અમે દેશનું ધ્યાન આકર્ષિત કરવા માટે આ યાત્રા કરી છે. આ યાત્રામાં રાહુલ ગાંધી જ નહીં, ભારતનો આખો વિપક્ષ, અનેક નેતાઓ જોડાયા હતા. કોઈએ સોશિયલ મીડિયા પર કહ્યું કે સોશિયલ મીડિયામાં એ રસ્તો છે, પરંતુ આ સાચું નથી.
કોંગ્રેસ છોડનારા લોકો રડે છે - રાહુલ ગાંધી
ભાજપ અને પીએમ નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે કોઈએ કહ્યું કે રાજાની આત્મા ઈવીએમ, સીબીઆઈ, ઈડી, ઈન્કમ ટેક્સમાં છે. એક રાજ્યના એક વરિષ્ઠ નેતા કોંગ્રેસ છોડીને મારી મા સામે રડે છે અને કહે છે કે મને શરમ આવે છે કે મારામાં આ શક્તિ સામે લડવાની હિંમત નથી, મારે જેલમાં નથી જવું. આવા હજારો લોકોને ડરાવવામાં આવ્યા છે. શિવસેના, એનસીપીના લોકો એમ જ ગયા નથી? તે બધા ડરથી ભાજપમાં ગયા છે.
આ પણ વાંચો - INDIA Vs NDA : લોકસભા ચૂંટણી, કયા રાજ્યોમાં છે સીધી ટક્કર, કોણ ક્યાં મજબૂત, જાણો વિગતો
રાહુલ ગાંધીએ મણિપુરથી ન્યાય યાત્રાની શરૂઆત કરી હતી. મણિપુરને લઇને રાહુલ ગાંધીએ કહ્યું કે આ શક્તિએ મણિપુરમાં ગૃહયુદ્ધનો માહોલ પેદા કર્યો છે. મેં વિચાર્યું કે યાત્રા ત્યાંથી શરૂ થશે અને ધારાવીમાં સમાપ્ત થશે. મુંબઈ પ્રતિભાનું કેન્દ્ર છે. આ શક્તિ એક સાથે લોકોનો નાશ કરવામાં લાગી છે.
અનંત અંબાણીના પ્રી-વેડિંગ સેલિબ્રેશનને લઇને કર્યો કટાક્ષ
રાહુલ ગાંધીએ કહ્યું કે ચીનમાં એક શેનઝેન છે. ધારાવી શેનઝેનનો મુકાબલો કરી શકે છે, બસ તેમના માટે બેંકના દરવાજા તો ખોલો. અહીં 22 લોકો પાસે એટલા જ પૈસા છે જેટલા ભારતના 70 કરોડ લોકો પાસે છે. રાહુલે ભારતની સિસ્ટમ વિશે કહ્યું કે ભારતમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખોલવામાં વર્ષો લાગી જાય છે. અહીં લગ્ન માટે 10 દિવસમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ ખુલી જાય છે. ખોલો પણ અન્ય રાજ્યોમાં પણ એરપોર્ટ ખોલો.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ રિલાયન્સના વડા મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે પ્રી-વેડિંગ સમારોહ થયો હતો. જેમાં જામનગરમાં 100થી વધુ ફ્લાઈટ્સ લેન્ડ અને ટેકઓફ થઇ હતી.
શિવાજી પાર્કમાં યોજાઈ રહેલી રેલીમાં રાહુલ ગાંધી સિવાય તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિન ઉપરાંત રાજદ, સમાજવાદી પાર્ટી, શિવસેના (યુબીટી), એનસીપી (શરદ જૂથ), આમ આદમી પાર્ટી સહિત IN.N.D.I.A ગઠબંધનની પાર્ટીઓના નેતાઓ હાજર રહ્યા હતા. આ રેલીને વિપક્ષનું શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us