Akhilesh Yadav, Uttar pradesh and Lok Sabha elections : ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી 2024ને લઇ તેના પ્રચાર- પ્રસારની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીએ રાજ્યમાં સામાજિક ન્યાય અને જાતિગત વસ્તી ગણતરી જેવા મુદ્દા ઉઠાવવા માટે યાત્રાઓનું આયોજન કર્યું છે. તેની સાથે આ વખતે પાર્ટીએ પોતાની રાજકીય રણનીતિમાં ધર્મને પણ સામેલ કર્યો છે, જેને લઇને ભાજપે સપા પર સોફ્ટ હિન્દુત્વનો આરોપ પણ લગાવ્યો છે.
પોતાના કાર્યકાર્તાઓ સુધી પાર્ટીનો સંદેશો પહોંચાડવા માટે, સપાએ 9 જૂને લખીમપુર અને સીતાપુરમાં તાલીમ શિબિરોનું આયોજન કર્યું હતું, જ્યાં અખિલેશ યાદવ અને અન્ય ટોચના નેતાઓએ સભાને સંબોધિત કરી હતી. સીતાપુર જિલ્લાના મુખ્ય હિન્દુ યાત્રાધામ નૈમિષારણ્ય ખાતે આરતી કરી અને ભાજપ પર શાબ્દિક પ્રહાકો કર્યા હતા. બીજી તરફ ભાજપે સોફ્ટ હિન્દુત્વ માટે સપા પર નિશાન સાધ્યું છે. જેના વળતા જવાબમાં અખિલેશે કહ્યું કે અમે પહેલાથી જ ઘણા નરમ છીએ. બસ હવે કઠોર બનવાની જરૂર છે. આ નરમ વલણ ચાલે તેમ નથી.
સપાના નેતાઓ અત્યાર સુધી અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરની મુલાકાત લેવાનું ટાળતા હતા, પરંતુ હવે પાર્ટી પણ આ માર્ગ પર ચાલતી જોવા મળી રહી છે. તાજેતરમાં, SP મહાસચિવ શિવપાલ સિંહ યાદવે ઇટાવા જિલ્લાના તેમના મતવિસ્તાર જસવંત નગરમાં રામલીલા તિરાહા ખાતે રામની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. શિવપાલે મૂર્તિની આરતી પણ કરી અને કહ્યું કે રામ બધાના છે.

સપા તેના કાર્યકરો માટે તાલીમ શિબિરોનું પણ આયોજન કરી રહી છે, જેનું આયોજન યુપીના તમામ 80 લોકસભા મતવિસ્તારોમાં કરવામાં આવશે. આ શિબિરોમાં અખિલેશ યાદવની લોક જાગરણ યાત્રા દરેક લોકસભા મતવિસ્તારમાંથી પસાર થશે. અખિલેશે ઓબીસી મતદારોને રીઝવવા માટે 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા આયોજિત સમાજવાદી વિજય યાત્રાની જેમ સામાજિક ન્યાય અને જાતિગત વસ્તી ગણતરીના નારા સાથે લખીમપુરથી લોક જાગરણ યાત્રા શરૂ કરી હતી.
ગુરુવારે ઉત્તર પ્રદેશના લખનઉમાં સપાના રાજ્ય હેડક્વાર્ટરમાં કાર્યકર્તાઓની એક બેઠકમાં અખિલેશ યાદવે જૂથવાદને સમાપ્ત કરવાની માંગણી કરી અને પાર્ટીના કાર્યકર્તાઓને એકજૂટ થવા, નિષ્ઠા અને ઇમાનદારી પૂર્વક ચૂંટણી લડવા આહ્વાન કર્યુ છે. અખિલેશ પોતે દરેક બેઠક પર ચર્ચા માટે જિલ્લા પ્રદેશ એકમોની મુલાકાત લઇ રહ્યા છે. પાર્ટી નેતાઓને કહ્યુ કે, નવા ક્ષેત્રિય એકમો બનાવ્યા છે. પાર્ટીના એક નેતાએ બાજપ પર આરોપ મૂક્યો છે કે પાછલી ચૂંટણી અને પેટાચૂંટણીમાં સપા સમર્થકોના નામ મતદાર યાદીમાંથી ગાયબ થઇ ગયા હતા. સપાને હરાવવા માટે ભાજપે સત્તાનો દૂરોપયોગ કર્યો હતો.
તેમણે કહ્યું કે આ વખતે પ્રભારી મતદાર યાદીમાં સુધારાઓ પર નજર રાખશે જેથી તમામ પાત્ર મતદારોનો યાદીમાં સમાવેશ થાય. સપાના પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું કે પાર્ટી 2024 માટે કોઈ કસર છોડવા માંગતી નથી. સપાએ બહુજન સમાજવાદી પાર્ટ (BSP) અને રાષ્ટ્રીય લોકદળ સાથે ગઠબંધન કરીને 2019ની લોકસભા ચૂંટણી લડી હતી. જ્યારે બસપાને 10 બેઠકો મળી હતી, જ્યારે સપાને માત્ર પાંચ બેઠકો મળી હતી. તાજેતરની પેટાચૂંટણીમાં ભાજપ સામે રામપુર અને આઝમગઢની બેઠક હારી ગયા બાદ ઉત્તર પ્રદેશની લોકસભા બેઠકોમાં સપા પાસે માત્ર ત્રણ જ બેઠકો બચી છે.
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો





