Loksabha Election 2024 : નીતિશ કુમાર લોકસભા ચૂંટણી 2024 માટે વિપક્ષોને એકજૂથ કરવાની પૂરી કોશિશ કરી રહ્યા છે. તે બિહારમાં દેશની ઘણી વિપક્ષી પાર્ટીઓની બેઠકનું પણ આયોજન કરી ચુક્યા છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પણ નીતિશ કુમારના મૂળિયાને નબળા પાડવાની રણનીતિ બનાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના ગૃહમંત્રી અમિત શાહે બિહારના નેતા નાગમણિ સાથે મુલાકાત કરી છે.
નીતિશ કુમારને ઘેરવા માટે ભાજપ નીતિશ કુમારના લવ-કુશ એટલે કે કુર્મી-કોઇરી સમીકરણને પણ વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ કારણે ભાજપ લવ-કુશ જ્ઞાતિના મતદારોને રિઝવવામાં લાગી છે. આ સંબંધમાં અમિત શાહે સોમવારે નવી દિલ્હીમાં પૂર્વ મંત્રી અને બિહારના નેતા નાગમણિ સાથે મુલાકાત કરી હતી. ગયા વર્ષે નાગમણિએ શોષિત ઇંકલાબ પાર્ટી નામની પોતાની નવી પાર્ટીની રચના કરી હતી.
કુશવાહા સમુદાય શા માટે મહત્વપૂર્ણ છે?
સંખ્યાની દ્રષ્ટિએ જોઇએ તો રાજ્યમાં યાદવો બાદ કુશવાહા સમુદાય બીજા નંબરે છે. તે કુર્મી સમુદાયમાં આવે છે. આ સમુદાય સુધી પહોંચવા માટે ભાજપે હાલમાં જ સમ્રાટ ચૌધરીને બિહારના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. નાગમણિ પોતે કુશવાહા સમુદાયના છે. તેમના પિતા જગદેવ પ્રસાદ રાજ્યના મોટા નેતા હતા. 1974માં 49 વર્ષ પહેલાં એક વિરોધ કૂચ દરમિયાન પોલીસ ગોળીબારમાં તેમના પિતાનું કથિત રીતે મોત થયું હતું. રાજ્યના કેટલાક ભાગોમાં તેમના પિતાના નામ પર તેમની સારી પકડ છે. ગૃહમંત્રી સાથેની બેઠક દરમિયાન નાગમણિએ આ ઘટનાની સીબીઆઈ તપાસની માગણી પણ કરી હતી.
આ પણ વાંચો – ભાજપે ગ્રાઉન્ડ લેવલે પણ મોટા ફેરફારોની કરી તૈયારી! 80 ટકા જિલ્લાઓમાં કરશે આ કામ
રાજ્યમાં ગઠબંધન અંગે ચર્ચા કરવામાં આવી
ભાજપના નેતા અમિત શાહ સાથેની બેઠક દરમિયાન રાજ્યની રાજકીય પરિસ્થિતિમાં જાતિગત સમીકરણ અને ગઠબંધન અંગે ચર્ચા કરવામાં આવી હતી. બાદમાં નાગમણિએ મીડિયાને જણાવ્યું હતું કે ભાજપે પ્રાદેશિક પક્ષોને જગ્યા આપીને રાજ્યમાં મોટું ગઠબંધન કરવું જોઇએ. આનાથી વિપક્ષના મહાગઠબંધન સામે લડવામાં મદદ મળશે. બિહાર મોટું રાજ્ય છે અને અહીંથી 40 સાંસદો લોકસભામાં પહોંચે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમની શોષિત ઇંકલાબ પાર્ટી ટૂંક સમયમાં કેન્દ્રમાં શાસક ગઠબંધન એનડીએનો ભાગ બનશે.
આ સાથે જ પાર્ટીએ ઉપેન્દ્ર કુશવાહાને પોતાના પક્ષમાં ભેળવવાની કોશિશ શરૂ કરી દીધી છે. ઉપેન્દ્ર કુશવાહાએ જેડી(યુ)-આરજેડી ગઠબંધન છોડી દીધું છે. રાજકીય નિષ્ણાંતોના મતે ઉપેન્દ્ર કુશવાહા અને નાગમણિના એનડીએમાં પ્રવેશથી બિહારમાં નીતિશકુમાર પર દબાણ વધશે. ભાજપે અગાઉ હિન્દુસ્તાની અવામ મોર્ચા (એચએએમ)ના નેતા જીતનરામ માંઝીને જેડી(યુ)-આરજેડી-કોંગ્રેસ ગઠબંધનમાંથી અલગ કરીને પોતાના ગઠબંધનમાં સામેલ કરી લીધા છે.