/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/bjp-2.jpg)
બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ (Express Photo)
bjp mandal kamandal : એક સમયે ઉચ્ચ જાતિઓની પાર્ટી કહેવાતી ભાજપ હવે તે લેબલથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગઈ છે. 2014થી નરેન્દ્ર મોદી અને અમિત શાહના દિલ્હીમાં પ્રવેશથી ભાજપનું ભાગ્ય પણ બદલાઈ ગયું છે. જે પક્ષ અગાઉ વોટબેંક વેરવિખેર થતાં જ મોટા નુકસાનની શક્યતાથી ડરતો હતો, હવે તે પોતાને ઓબીસીનો પક્ષ કહી શકે છે, પોતાને આદિવાસીઓનો મસીહા કહી શકે છે અને તેની સાથે ઉચ્ચ જ્ઞાતિના મતને સંપૂર્ણ રીતે રાખી શકે છે. એટલે કે સમય જતાં, ભાજપનો વિસ્તાર થયો છે તેનો મતાધાર વધ્યો છે અને ક્યાંક તેણે મંડલ અને કમંડલ સાથે મળીને બંને પ્રકારના રાજકારણને સાથે લઇને ચાલવાનું કામ કર્યું છે.
2024ની લોકસભાની ચૂંટણી નજીક છે. એવું માનવામાં આવે છે કે આગામી પાંચ મહિનામાં, દેશ સંપૂર્ણ ચૂંટણી મોડમાં આવી જશે અને સૌથી મોટી લડાઈની શરૂ થશે. આ લડાઇમાં આ વખતે ભાજપ સામે મોટો પડકાર આવવાનો છે. આ પડકાર ઇન્ડિયા ગઠબંધનનો હશે કારણ કે જ્યારે તમામ પક્ષો એક સામે આવશે ત્યારે મતોનું વિખેરણ ઓછું થઇ જશે અને ભાજપને પોતાનું રાજકીય નુકસાન સહન કરવું પડી શકે છે. આ કારણે એ જરૂરી બની ગયું છે કે ભાજપ પણ પોતાના વોટર બેઝને વધુ વધારે, એટલા બધા સમુદાયો સુધી પહોંચે કે વિપક્ષ પોતાના સપોર્ટ બેઝને વધારે નુકસાન પહોંચાડી શકે નહીં. માનવામાં આવે છે કે તે આ વ્યૂહરચનાનો એક ભાગ છે - મંડલ + કમંડલ.
છેલ્લા કેટલાક વર્ષોની ઘટનાઓ પર નજર કરીએ તો ખબર પડે છે કે ભાજપના હિન્દુત્વવાદી રાજકારણને એક નવી ધાર મળી છે. આ ધાર પાછળ પાર્ટીની પોતાની રણનીતિ છે એટલું જ નહીં, કોર્ટના કેટલાક નિર્ણયોએ પણ તેમની વિચારધારાને એક સહમતિ આપવાનું કામ કર્યું છે. તેની શરૂઆત જ્ઞાનવાપી કેસથી થઈ હતી જ્યારે સુપ્રીમ કોર્ટે ત્યાં સર્વે કરવા માટે લીલી ઝંડી આપી હતી. સરળ શબ્દોમાં કહીએ તો જ્ઞાનવાપી મસ્જિદ વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં જ છે. હિન્દુ પક્ષનો દાવો છે કે ઔરંગઝેબે ભગવાન શિવનું મંદિર તોડીને ત્યાં મસ્જિદ બનાવી હતી. આ મામલે એક સર્વે કરવામાં આવ્યો છે અને તેના પર રાજકારણ પણ ચાલી રહ્યું છે. સીએમ યોગી આદિત્યનાથે એક નિવેદનમાં કહ્યું છે કે મુસ્લિમ પક્ષ તરફથી પ્રસ્તાવ આવવો જોઈએ અને ઐતિહાસિક ભૂલનો ઉકેલ લાવવો જોઈએ.
આ પણ વાંચો - મુસ્લિમ પક્ષને ફટકો! સુપ્રીમ કોર્ટે શાહી ઇદગાહના સર્વેના નિર્ણય પર સ્ટે આપવાનો ઇન્કાર કર્યો
હવે જ્ઞાનવાપીનો સર્વે ભાજપના હિન્દુત્વને વેગ આપવાનું કામ કરે છે, ત્યારે તાજેતરમાં શાહી-ઈદગાહમાં સર્વેના નિર્ણયથી પાર્ટીના ચહેરા પર સ્મિત આવી ગયું છે. જ્ઞાનવાપી પછી શાહી ઈદગાહમાં પણ સર્વે માટે મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય કોર્ટ દ્વારા આવ્યો છે, આવી સ્થિતિમાં ભાજપ કોઈ પણ પ્રકારની પહેલ કર્યા વગર આ મુદ્દે સરળતાથી પોતાની રાજનીતિ કરી શકે છે. મધ્યપ્રદેશના પૂર્વ મંત્રી જયભાનસિંહ પવૈયાએ કહ્યું છે કે આ એક નિર્ણયથી કરોડો સનાતનીમાં ખુશીની લહેર છે. અત્યારે પણ જે લોકો તે જગ્યાને મસ્જિદ કહી રહ્યા છે તે ખરેખર અપ્રમાણિક છે.
હવે અહીં એ સમજવું જરૂરી છે કે શાહી ઈદગાહનો મુદ્દો ભાજપ દ્વારા ક્યારેય વધુ પ્રમુખતાથી ઉઠાવવામાં આવ્યો નથી. જે રીતે રામ મંદિર માટે આંદોલન કરવામાં આવ્યું હતું તે આક્રમકતા અહીં જોવા મળી ન હતી. પરંતુ કોર્ટના આ નિર્ણયે વધુ મહેનત કર્યા વિના વધુ એક હિન્દુત્વનો મુદ્દો ભાજપના પક્ષમાં મુકી દીધો છે, જેનો પાર્ટી આગામી લોકસભાની ચૂંટણીમાં લાભ ઉઠાવવા માગે છે. આ સમયે ભાજપ માટે આ હિન્દુત્વની પીચ એટલા માટે પણ મજબૂત બની રહી છે કારણ કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. આવતા વર્ષે તેનો પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ પણ યોજાવાનો છે. આવી સ્થિતિમાં પાર્ટીને ચોક્કસપણે જ્ઞાતિઓથી ઉપર ઉઠીને હિન્દુ મતદારોનું ધ્રુવીકરણ કરવાની સોનેરી તક જોવા મળી રહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us