/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/vastu-tips-for-home-5.jpg)
બેઈલી રોડ પર ઈન્કમટેક્સ ક્રોસિંગ ખાતે નીતિશ, તેજસ્વી, ખડગે, રાહુલ અને સ્ટાલિન સહિત લગભગ તમામ વિપક્ષી નેતાઓની તસવીરોવાળું વિશાળ પોસ્ટર લાગ્યું છે. (એક્સપ્રેસ ફોટો)
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ને લઈને વિરોધ પક્ષોએ ભાજપ-એનડીએને હરાવવા માટે પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. આ અંગે બિહારના પટનામાં 23 જૂને વિપક્ષી દળોની બેઠક યોજાશે. જેમાં અનેક પક્ષોના વડાઓ સામેલ થશે, પરંતુ સૌથી પહેલા બિહારના મુખ્યમંત્રી અને જનતા દળ (યુનાઈટેડ)ના સુપ્રીમો નીતીશ કુમારનું એક મોટું પોસ્ટર પટનાના મધ્યમાં બીરચંદ પટેલ પથ ખાતે તેમની પાર્ટીના મુખ્યાલયની બહાર લગાવવામાં આવ્યું છે, જેમાં તે તેના જમણા હાથથી ઇશારો કરતો દેખાડવામાં આવ્યા છે. પોસ્ટર પર એક સંદેશ લખ્યો છે, "મન કી નહીં, કામ કી". જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના "મન કી બાત" કાર્યક્રમ પર સીધો કટાક્ષ કરે છે.
23 જૂને પટનામાં વિરોધી પક્ષોની એકતા બેઠક યોજાશે
પોસ્ટરોની સાથે બેનરો પણ લગાવવામાં આવ્યા છે. જેના પર લખ્યું છે- “આગાઝ હુઆ, બદલાવ હોગા” (શરૂઆત થઇ, પરિવર્તન આવશે). જે 23 જૂને પટનામાં યોજાનારી વિપક્ષી પાર્ટીઓની પ્રથમ સંયુક્ત બેઠક માટે છે. આ મેગા રેલીમાં દેશભરમાંથી લગભગ 20 વિરોધ પક્ષોના ટોચના નેતાઓ ભાગ લેવા તૈયાર છે. વિપક્ષ દળ 2024ની લોકસભા ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપને રોકવા માટે રણનીતિ બનાવશે. સીએમ હાઉસ 22-23 જૂને વિપક્ષ નેતાઓની માટે બપોર અને રાતના ભોજનની યજમાની કરવા માટે સજ્જ છે. જેમાં બિહારી પકવાન પણ પીરસવામાં આવશે.
પટનામાં વિરોધ પક્ષોના નેતાઓના પોસ્ટર-બેનર લાગ્યા
સીએમ હાઉસની નજીક બીરચંદ પટેલ પાથ પર સ્ટેટ ગેસ્ટ હાઉસ આવેલું છે, જ્યાં કોંગ્રેસના નેતાઓ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના સીએમ સહિતના VIP મહેમાનોને રોકાશે અને તેની માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મમતા બેનર્જી, તમિલનાડુના સીએમ અને ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલિન, એનસીપી સુપ્રીમો શરદ પવાર, શિવસેના (યુબીટી)ના વડા અને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે, દિલ્હીના સીએમ અને આપના વડા અરવિંદ કેજરીવાલ અને એસપી પ્રમુખ અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ સહિત અન્ય નેતાઓ અહીંયા રોકાશે.
ઘણા નેતાઓ ચાર્ટર્ડ પ્લેનથી પટના આવશે
મમતા અને સ્ટાલિન સહિતના કેટલાક નેતાઓ 22 જૂને પટના પહોંચશે, જ્યારે મોટાભાગના વિપક્ષી નેતાઓ મેગા કોન્ક્લેવ માટે 23 જૂન (શુક્રવાર) સવારે પટના પહોંચશે. ખડગે, રાહુલ, મમતા, પવાર અને ઉદ્ધવ સહિતના ઘણા નેતાઓ ચાર્ટર્ડ પ્લેન દ્વારા પટના પહોંચે તેવી શક્યતા છે. રેલીના દિવસે મોટાભાગના વિપક્ષી નેતાઓ પોતપોતાના રાજ્યોમાં પરત ફરશે.
બિહારના પાટનગર શહેરમાં મુખ્ય સ્થળોએ વિરોધ પક્ષના નેતાઓના બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. જ્યારે નીતિશના પોસ્ટર અને હોર્ડિંગ્સ JD(U) ઓફિસ પર લગાવવામાં આવ્યા છે. બીરચંદ પટેલ પથ પર આરજેડી કાર્યાલયમાં પાર્ટીના નેતા અને ડેપ્યુટી સીએમ તેજસ્વી પ્રસાદ યાદવ સાથે અખિલેશ યાદવ અને નીતિશના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. તે જ રોડ પર બીજેપી ઓફિસમાં પીએમ મોદીના નવ વર્ષના કાર્યકાળ વિશે એક મોટું પોસ્ટર લગાવવામાં આવ્યું છે.
પટના એરપોર્ટ તરફ જતા રસ્તા પર વિવિધ રાજકીય પક્ષોના કાર્યકરો દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરોનો એક કોલાજ બનાવે છે. શહેરની લાઈફલાઈન બેઈલી રોડ તેમજ એરપોર્ટ રોડ પોસ્ટરોથી ઉભરાઇ ગયા છે, જેમાંના ઘણા રાહુલ ગાંધીની પ્રશંસા કરી રહ્યા છે, કોંગ્રેસના કાર્યકરો દ્વારા અગ્રણી સ્થાનો પર લગાવવામાં આવ્યા હતા.
બેલી રોડના સ્કાયર ચાર રસ્તા પર નીતીશ, તેજસ્વી, ખડગે, રાહુલ અને સ્ટાલિન સહિત લગભગ તમામ વિપક્ષી નેતાઓના ફોટોવાળું એક વિશાળ પોસ્ટર લગાડવામાં આવ્યું છે. તેની નજીક એક અન્ય લગાવવામાં આવ્યું છે, જેમાં કેજરીવાલને પંજાબના સીએમ અને તેમની પાર્ટીના સહયોગી ભગવંત માન સાથે દેખાડવામાં આવ્યા છે. તેમાં લખ્યુ છે: "પટનાની ક્રાંતિકારી ભૂમિ પર અરવિંદ કેજરીવાલનું સ્વાગત અને અભિનંદન."
રેલી માટે કડક સુરક્ષા વ્યવસ્થાઃ ડીએમ
પટનાના જિલ્લાધિકારી ચંદ્રશેખર સિંહે ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, અમે 23 જૂનની પટના બેઠકને લઇને કડક સુરક્ષા વ્યવસ્થા કરાઇ છે. સીએમ હાઉસના એક સુત્રે જણાવ્યુ કે, 22 જૂને ડિનર અને 23 જૂને લંચ અને ડિનરમાં સિલાઓના ખાજા, ગયાની લાઇ ઉપરાંત લિટ્ટી- ચોખાની ફેમશ વાનગી સાથે બિહારી પકવાનો હશે.
વિપક્ષની બેઠક સારા સંકેતઃ કેસી ત્યાગી
જેડી(યુ)ના મુખ્ય પ્રવક્તા કેસી ત્યાગીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “વિરોધ પક્ષોના ઘણા નેતાઓએ જે રીતે પ્રતિક્રિયા આપી તે પટનામાં વિપક્ષની બેઠકની શાનદાર સફળતા માટે સારો સંકેત છે. અમારો હેતુ કોમન મિનિમમ પ્રોગ્રામ લાવવાનો છે. અમે 2024ની ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો મારવાના અમારા ઉદ્દેશ્ય તરફનું પ્રથમ પગલું છે.
આરજેડીના રાષ્ટ્રીય પ્રવક્તા સુબોધ કુમાર મહેતાએ જણાવ્યું હતું કે, “વિપક્ષ એકતા 2024ની ચૂંટણીની તૈયારીઓ માટે મંચ તૈયાર કરશે. લોકશાહી મૂલ્યોને પુનઃસ્થાપિત કરી શકે તેવા વિકલ્પની રજૂઆત કરવાના સામાન્ય ઉદ્દેશ્ય પર અમે એક છીએ."
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહી ક્લિક કરો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us