Madhya Pradesh morena massacre : મધ્યપ્રદેશના મુરેનામાંથી એક મોટી ક્રાઈમની ઘટના (Crime Story) સામે આવી છે. અહીં સિહોનિયા પોલીસ સ્ટેશન વિસ્તારના લેપા ભીડોસા ગામ (Lepa Bhidosa Village) માં 5 મેના રોજ સવારે એક જ પરિવારના 6 લોકોની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ધોળે દિવસે ગોળીબાર કરીને હત્યા કરવામાં આવી હતી. આ મામલો જૂની અદાવતનો હોવાનું કહેવાય છે. આ ઘટના બાદ ગામમાં શોકનો માહોલ છે.
ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત
ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. મામલાની ગંભીરતાને જોતા આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ છે. આ ઘટનાની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. અહેવાલો અનુસાર આ મામલો જમીન વિવાદ સાથે જોડાયેલો છે. બંને પક્ષો વચ્ચે ઘણી જૂની દુશ્મનાવટ છે. આજે સવારે ફરીથી કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી, જે ધીમે ધીમે મારામારીમાં પરિણમી હતી.
આ પછી મામલો એ હદે પહોંચી ગયો કે, બંને પક્ષો એકબીજાને મારવા પર મક્કમ થઈ ગયા. લાકડીઓ વડે એકબીજા પર હુમલો કરવા લાગ્યા. આ પછી જ એક પક્ષે તો બીજા પક્ષ તરફ ગોળીબાર શરૂ કર્યો અને 6 લોકોના મોત થયા. મૃત્યુ પામેલા તમામ લોકો એક જ પરિવારના હોવાનું કહેવાય છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
નિશાનો લગાવી ગોળીઓ ચલાવાઈ
અહેવાલો અનુસાર, સિહોનિયા પોલીસ સ્ટેશન વિસ્તારના લેપા ભીડોસા ગામમાં અંધાધૂંધ ગોળીબાર થતાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક બાજુના લોકો બીજી બાજુના લોકોને લાકડીઓ વડે માર મારી રહ્યા છે.
ચારે બાજુ હાહાકાર
જે સમયે બંને પક્ષો વચ્ચે લડાઈ થાય છે, ત્યારે સર્વત્ર હોબાળો મચી જાય છે. લોકો બૂમો પાડી રહ્યા છે, ચીસો પાડી રહ્યા છે. બંને પક્ષો વચ્ચેની લડાઈમાં મહિલાઓ પણ સામેલ છે. મહિલાઓ પણ હુમલો કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં એક મહિલા બૂમો પાડતી સાંભળી શકાય છે. તે મહિલા કહી રહી છે કે, બાળકો ઘરની અંદર જાઓ. અને એક બાળક પપ્પા પપ્પા કરતો રડતો સાંભળી શકાય છે. મૃત્યુનો આ તાંડવ લાંબા સમય સુધી ચાલતો રહ્યો. આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.
ASP શું કહે છે?
આ મામલામાં મોરેના એસએસપીનું કહેવું છે કે, ધીર સિંહ અને ગજેન્દ્ર સિંહના પરિવારજનો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. ધીર સિંહના પરિવારના બે સભ્યોની વર્ષ 2013માં હત્યા કરવામાં આવી હતી. આ બંને પરિવારોના ઘર સામ-સામે છે. સમાધાન બાદ ગજેન્દ્રસિંહના પક્ષના લોકો ગામમાં રહેવા પહોંચી ગયા હતા. આ પછી ધીરસિંહ પક્ષે ગોળીબાર શરૂ કર્યો. ગોળીબારમાં ગજેન્દ્ર સિંહ અને તેના બે બાળકોના મોત થયા છે. જ્યારે 4 લોકો ઘાયલ થયા છે. ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.