Maharashtra Politics : મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે ભાજપના કાર્યકરો અને નેતાઓની દિલની ઇચ્છા છે કે દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના સીએમ બને. પરંતુ આ નિર્ણય ભાજપનુ પાર્લિયામેન્ટ્રી બોર્ડ કરશે. અમારા હાથમાં કશું જ નથી. અમે તમામ નેતાઓની ભાવનાઓનું સન્માન કરીએ છીએ.
બાવનકુલે સંપર્ક સે સમર્થન અભિયાન દરમિયાન મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા. તેમણે એક સવાલના જવાબમાં આ વાત કહી હતી. તેમને પૂછવામાં આવ્યું કે શું ડેપ્યુટી સીએમ અજિત પવાર રાજ્યના સીએમ બનવાની રેસમાં છે? તેમણે કહ્યું કે દરેક પાર્ટી ઈચ્છે છે કે તેના નેતા સીએમ બને. શિવસેના એકનાથ શિંદેને સીએમની ખુરશી પર જોવા માંગે છે, જ્યારે એનસીપી ઈચ્છે છે કે અજિત પવાર સીએમ બને. તેવી જ રીતે ભાજપના દરેક નાના-મોટા નેતા ઇચ્છે છે કે દેવેન્દ્ર ફડણવીસ સીએમ બને.
બાલનકુલેનું કહેવું છે કે 2024માં અમારું ગઠબંધન જોરદાર પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. મહારાષ્ટ્રની મોટાભાગની બેઠકો પર શિવસેના, એનસીપીની સાથે ભાજપનો વિજય થવા જઈ રહ્યો છે. તેમણે કહ્યું કે અમે લોકસભા ચૂંટણીઓ અને મહારાષ્ટ્રની ચૂંટણીઓ પહેલા મહાવિજય 2024 અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત અમે ડોર ટુ ડોર કેમ્પેઈન કરી રહ્યા છીએ.
આ પણ વાંચો – મહારાષ્ટ્રમાં ત્રણ પાર્ટીઓનું ગઠબંધન ભાજપ માટે કેમ પડકાર બની રહ્યું છે? જાણો
આમ જોવા જઈએ તો ભાજપે ઓછા ધારાસભ્યોવાળી પાર્ટીને સીએમની ખુરશી પહેલા પણ આપી છે. બિહારમાં જેડી(યુ)ના ધારાસભ્યોની સંખ્યા ભાજપ કરતા ઘણી ઓછી હતી. આ પછી પણ સીએમની ખુરશી નીતિશ કુમારને આપવામાં આવી હતી. પાર્ટી જાણતી હતી કે જો નીતિશને સીએમની ખુરશી નહીં મળે તો ગઠબંધન ખતરામાં આવી શકે છે. આ કારણે મિત્રતા બચાવવા માટે વધુ બેઠકો જીતવા છતાં નીતિશને સીએમ બનાવવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રમાં પણ આવી જ સ્થિતિ હતી. જોકે દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમ બનવા માંગતા ન હતા. પરંતુ રાજ્યની રાજકીય પરિસ્થિતિને જોતા કેન્દ્રીય નેતૃત્વએ નિર્ણય કર્યો કે સીએમની ખુરશી એકનાથ શિંદેને આપવી જોઈએ. શિંદે જૂથના ધારાસભ્યોની સંખ્યા ભાજપ કરતા ઘણી ઓછી હતી પરંતુ ગઠબંધનને ધ્યાનમાં રાખીને એકનાથ શિંદેને રાજ્યની કમાન સોંપવામાં આવી હતી.





