Maharashtra Political Crisis : એનસીપી પ્રમુખ શરદ પવારે પોતાના ભત્રીજા અજીત પવારને સીધો પડકાર આપ્યો છે. બુધવારે શક્તિ પ્રદર્શનની બેઠકમાં અજિતે એનસીપીના નવા અધ્યક્ષ હોવાની જાહેરાત કરી હતી. હવે તેમની આ જાહેરાત બાદ શરદ પવારે સ્પષ્ટ કરી દીધું છે કે એનસીપીના પ્રમુખ તે જ રહેવાના હોવાથી કોઇને કંઇ કહેવાની જરૂર નથી.દિલ્હીમાં એનસીપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી હતી, જેમાં આ વાત કહી હતી.
દિલ્હીની બેઠકમાં પવારે શું કહ્યું?
શરદ પવારે રાજધાની દિલ્હીમાં ગુરુવારે એનસીપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક કરી હતી. તે બેઠકમાં જ શરદ પવારે પોતાના ભત્રીજા અજીતને સીધો પડકાર આપવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે હું સ્પષ્ટ કરી દઉં છું કે હું એનસીપીનો પ્રમુખ છું. કોણ શું કહે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. હું 82 વર્ષનો હોઉં કે 92 વર્ષનો, હું હજી પણ પ્રભાવશાળી છું.
અજિત પવારને સૌથી મોટો ફટકો?
એ સમજવું જરૂરી છે કે બુધવારે અજિત પવારની રમત પછી શરદ પવારે આજે તીખા તેવર દેખાડ્યા હતા. દિલ્હીની બેઠક દરમિયાન ઘણા નેતાઓને પાર્ટીમાંથી હાંકી કઢાયા હતા. દિલ્હીમાં યોજાયેલી એનસીપીની બેઠકમાં 8 પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા હતા. એનસીપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બાદ પીસી ચાકોએ કહ્યું હતું કે સમિતિએ પાર્ટી અધ્યક્ષ શરદ પવાર પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે વર્કિંગ કમિટીએ એનડીએ સાથે હાથ મિલાવનારા પ્રફુલ્લ પટેલ, સુનીલ તટકરે સહિત 9 નેતાઓને પાર્ટીમાંથી બહાર કર્યા છે.
આ પણ વાંચો – મહારાષ્ટ્ર રાજનીતિક સંકટ : અજિત પવારે શરદ પવારને એનસીપીના પ્રમુખ પદેથી હટાવ્યા
ચૂંટણી પંચમાં શું ખેલ ચાલી રહ્યો છે?
હવે આ નિવેદન એટલા માટે મહત્વનું છે કારણ કે અજિત પવારે આખી એનસીપી પર પોતાનો દાવો ઠોકી બેસાડ્યો છે. તેમના તરફથી એમ પણ કહેવામાં આવ્યું છે કે હવે જયંત પાટિલે પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દેવું જોઈએ. તેમના તરફથી ચૂંટણી પંચને એક અરજી પણ આપવામાં આવી છે, જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે તેમનું જૂથ જ અસલી એનસીપી છે અને તેમને ચૂંટણી ચિહ્નથી માન્યતા મળવી જોઈએ. સાથે જ શરદ પવારના જૂથે પણ ચૂંટણી પંચનો સંપર્ક કર્યો છે. તેમણે અપીલ કરી હતી કે જે 9 ધારાસભ્યોએ બળવો કર્યો છે તે તમામને ગેરલાયક ઠેરવવામાં આવે.
અજિત પવારે કહ્યું- તમે 83 વર્ષના થઈ ગયા છો. ક્યારેય અટકશો કે નહીં?
એક દિવસ પહેલા અજીત પવારે પોતાના સમર્થકોને સંબોધિત કરતા શરદ પવારને રાજકારણમાં આગળ ન વધવાની સલાહ આપી હતી. અજિતે કહ્યું કે તમે 83 વર્ષના થઈ ગયા છો. ક્યારેય અટકશો કે નહીં? અમે સરકાર ચલાવી શકીએ છીએ. અમારામાં તાકાત છે છતા તમે અમને તક કેમ નથી આપતા? હું પણ રાજ્યનો મુખ્યમંત્રી બનવા માગું છું. રાજ્યની ભલાઇ માટે રાજ્ય પ્રમુખનું પદ હોવું જરૂરી છે. તો જ હું મહારાષ્ટ્રનું ભલા વિશે વિચાર કરી શકીશ.





