Maharashtra Politics: મહારાષ્ટ્રમાં 2019 વિધાનસભા ચૂંટણી પછી ભાજપના દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપીના અજીત પવારે મળીને સરકાર બનાવી હતી. આ ગઠબંધનને લઇને દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો કે આ પ્રકારે સરકાર બનાવવા માટે અજીત પવારને એનસીપી પ્રમુખ શરદ પવારનું સમર્થન મળ્યું હતું પણ પછી અમારી સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો.
ઉલ્લેખનીય છે કે દેવેન્દ્ર ફડણવીસે આ ખુલાસો ખાનગી ન્યૂઝ ચેનલે ટીવી-9ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે એનસીપી તરફથી અમારી પાસે સરકાર બનાવવાનો પ્રસ્તાવ આવ્યો હતો. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે એનસીપીને મહારાષ્ટ્રમાં એક સ્થિર સરકાર જોઇએ અને તેણે ભાજપા સાથે મળીને સ્થિર સરકાર બનાવવાની ઇચ્છા હતી.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે પ્રસ્તાવ પછી અમે આગળ વધ્યા અને વાતચીત કરવાનો નિર્ણય કર્યો. દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો કે 2019માં અમે સરકાર બનાવવા માટે એનસીપી અધ્યક્ષ શરદ પવાર સાથે ચર્ચા પણ કરી હતી. જોકે આ ચર્ચા પછી અમારી સાથે વિશ્વાસઘાત થયો. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ફડણવીસે કહ્યું કે ચર્ચાના 80 કલાક પછી તેમની રણનીતિ બદલી ગઇ અને અજીત પવારે સરકારને છોડવાનો નિર્ણય કર્યો.
આ પણ વાંચો – રાહુલ ગાંધીએ કહ્યું- દેશના પીએમ સંસદમાં મારું અપમાન કરે છે પણ તેમનું ભાષણ હટાવવામાં ન આવ્યું
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મહાવિકાસ અઘાડી સરકાર મને જેલમાં પુરી શકે નહીં પણ તેના માટે પ્રયત્ન અવશ્ય કરવામાં આવ્યા. ફડણવીસે કહ્યું કે મારી સાથે સૌથી પહેલા ઉદ્ધવ ઠાકરેએ વિશ્વાસઘાત કર્યો અને પછી પવારે કર્યો. ફડણવીસે કહ્યું કે હું પુરી રીતે ઇમાનદારીથી કહેવા માંગીશ કે અજિત પવારે મારી સાથે ઇમાનદારીથી શપથ લીધા હતા પણ પછી તેમની રણનીતિ બદલી ગઇ હતી.
દેવેન્દ્ર ફડણવીસના આરોપ પર પલટવાર કરતા શરદ પવારે કહ્યું કે મને લાગ્યું કે દેવેન્દ્ર એક સંસ્કારી વ્યક્તિ અને સજ્જન વ્યક્તિ છે. મને આવું ક્યારે લાગ્યું નહીં કે તે આ પ્રકારનું નિવેદન આપશે અને જુઠનો સહારો લેશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019માં બીજેપી અને શિવસેના ગઠબંધનમાં ચૂંટણી લડ્યા હતા. બીજેપીએ 105 સીટો પર જીત મેળવી હતી. જ્યારે શિવસેનાએ 56 સીટો પર જીત મેળવી હતી. જોકે શિવસેનાએ બીજેપી સાથે ગઠબંધન તોડીને કોંગ્રેસ અને એનસીપી સાથે સરકાર બનાવી હતી.