Lok Sabha Election 2024 : મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે એક મોટી જાહેરાત કરી છે. ફડણવીસે કહ્યું કે ભાજપ રાજ્યની 26 બેઠકો પર લોકસભાની ચૂંટણી લડશે. ભાજપ પોતાના સહયોગી પક્ષ ઉપમુખ્યમંત્રી અજીત પવારના નેતૃત્વવાળી એનસીપી અને મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના માટે બાકીની સીટો છોડી દેશે. મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 બેઠકો છે.
ભાજપના વરિષ્ઠ નેતાએ શનિવારે મુંબઇના એક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં આ વાત કહી હતી. લોકસભા અને વિધાનસભામાં પોતાની તાકાતના આધાર પર પાર્ટીએ પોતાના ગઠબંધન ભાગીદારોથી વધુ સીટોનો દાવો કર્યો છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની વિનંતી સાથે જણાવ્યું હતું કે સંગઠનાત્મક અને ચૂંટણીના મુદ્દાઓ પર મહારાષ્ટ્રમાં બંને સાથી પક્ષોમાં ભાજપ એકમાત્ર સૌથી મોટો પક્ષ છે. આથી તેને વધુમાં વધુ બેઠકો પર દાવો કરવાનો અધિકાર છે. બીજું, શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી અલગ-અલગ જૂથો છે. તેમની સંગઠનાત્મક તાકાત પણ મર્યાદિત છે. આથી તેમને ઓછી બેઠકોથી સંતોષ માનવો પડશે.
2019માં ભાજપે 25 બેઠકો પર ચૂંટણી લડી હતી
2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે મહારાષ્ટ્રની 25 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેની સહયોગી અવિભાજિત શિવસેનાએ 23 બેઠકો પર ચૂંટણી લડી હતી. ભાજપે 23 બેઠકો અને તેના સાથી પક્ષોએ 18 બેઠકો જીતી હતી. કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી હતી અને તેના ગઠબંધન સહયોગી અવિભાજિત એનસીપીને ચાર બેઠકો મળી હતી. એક બેઠક અસદુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએમને અને એક સીટ અપક્ષ ઉમેદવારે જીતી હતી.
આ પણ વાંચો – શું કોંગ્રેસ યુપીમાં BDM દ્વારા આગળ વધશે? રાજ્ય સમિતિમાં યોજનાની ઝલક, OBC પર વિશેષ ધ્યાન
શિંદેની આગેવાની હેઠળના જૂથને શિવસેનાના 18માંથી 13 સાંસદોનું સમર્થન છે. અન્ય સાંસદ ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના જૂથના છે. શિંદે જૂથ જૂન 2022માં ગઠબંધન સરકાર બનાવવા માટે ભાજપમાં જોડાયા હતા. એક વર્ષ બાદ જુલાઇમાં અજિત પવારની આગેવાની હેઠળનું એનસીપી જૂથ શિવસેના-ભાજપ સરકારમાં સામેલ થયું હતું.
2024માં એપ્રિલ-મે માં યોજાશે લોકસભા ચૂંટણી
લોકસભા ચૂંટણી એપ્રિલ-મે 2024માં થવાની છે. બીજા નંબરની સૌથી વધુ બેઠકો ધરાવતું મહારાષ્ટ્ર રાજ્ય અને કેન્દ્ર બંને પર શાસન કરનાર ભાજપ માટે નિર્ણાયક છે. 2014ની લોકસભા ચૂંટણીમાં શિવસેના માત્ર 20 સીટો પર જ ચૂંટણી લડી હતી.
હું ફરિયાદ કરનારાઓમાં નથી: અજિત પવાર
ડેપ્યુટી સીએમ અજિત પવારે શનિવારે કહ્યું કે અમારી ગઠબંધન સરકાર સ્થિર છે. તમામ 200 ધારાસભ્યો એક સાથે છે અને શિંદેના નેતૃત્વમાં રાજ્યમાં સારું કામ થઇ રહ્યું છે. હું 15 દિવસથી ડેન્ગ્યુથી બીમાર હતો. જોકે કેટલાક લોકોએ કહ્યું કે મને રાજકીય બીમારી છે, જ્યારે એવું કંઈ નથી. કેટલાક લોકોએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે હું ફરિયાદ કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યો હતો, પરંતુ ફરિયાદ કરનારાઓમાં હું નથી. તેમણે એમ પણ કહ્યું કે કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. આથી મહારાષ્ટ્રમાં ચૂંટણી અંગે હજુ સુધી કોઇ વાત થઇ નથી.





