maha vikas aghadi : મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. અગાઉ અજિત પવારની બીજેપીમાં જવાની અટકળો હતી. હવે NCPના અધ્યક્ષ શરદ પવારના એક નિવેદનથી રાજકીય ગરમાવો વધી ગયો છે. મીડિયા સાથે વાત કરતા પવારે મહા વિકાસ અઘાડીના ભવિષ્યને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે ભાર આપીને કહ્યું કે આગળ કોણ સાથે રહેશે આ અંગે હાલ કંઈ કહી શકાય નહીં.
પવારે શું કહ્યું, રાજકીય હલચલ કેમ?
શરદ પવારે સોમવારે અમરાવતીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મીડિયાએ તેમને પૂછ્યું કે શું એનસીપી 2024માં મહા વિકાસ અઘાડી સાથે જ ચૂંટણી લડશે? આ સવાલ પર પવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં આજે અઘાડી છે, પરંતુ ભવિષ્યમાં હશે કે નહીં?
હાલ કહી શકાય નહીં. આજે અમે MVAનો એક ભાગ છીએ, અમે આગળ પણ કામ કરવા ઈચ્છીએ છીએ પણ ઈચ્છાથી શું થાય. સીટોની વહેંચણીથી લઈને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવાની હોય છે. જેથી હાલ આ સવાલ પર શું જવાબ આપવામાં આવે. જોકે આ પછી પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરતા પવારે કહ્યું કે તે હંમેશા મહા વિકાસ અઘાડીના એકતાના પક્ષમાં રહ્યા છે અને તેમણે એટલું જ કહ્યું હતું કે સીટ શેરિંગને લઇને હાલ કોઇ ચર્ચા થઇ નથી.
48 બેઠકો અને પવારનું વલણ, MVAનું ટેન્શન વધ્યું?
શરદ પવારનું આ નિવેદન મહત્વનું છે કારણ કે મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે. તાજેતરમાં કેટલાક સર્વે કરવામાં આવ્યા છે જે મુજબ જો મહા વિકાસ અઘાડી એકજૂટ રહેશે તો રાજ્યમાં ભાજપ કેટલીક બેઠકો ગુમાવી શકે છે. પરંતુ પવારનું નિવેદન દર્શાવે છે કે અત્યાર સુધીની રણનીતિ આ અંગે કોઈ સ્પષ્ટતા નથી અને કિતું-પરંતુનો સમય ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં રાજકીય ગલિયારાઓમાં હલચલ વધુ તીવ્ર બની છે.
આ પણ વાંચો – મમતા બેનર્જી સાથે નીતિશ કુમાર અને તેજસ્વી યાદવની મુલાકાત, શું બીજેપી સામે એકજુટ થશે વિપક્ષ?
જોકે પવારે સ્પષ્ટ કશું કહ્યું ન હતું પરંતુ ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે મહા વિકાસ અઘાડી આગામી લોકસભા ચૂંટણી સાથે મળીને લડશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર મહા વિકાસ અઘાડીના સૌથી મોટા નેતા છે અને તેમના નેતૃત્વમાં જ ચૂંટણી લડવામાં આવશે.
સંજય રાઉતનો પોતાનો દાવો
આ પહેલા રવિવારે સંજય રાઉતે એક નિવેદનમાં કહ્યું હતું કે શિંદે સરકાર આવનાર 15-20 દિવસમાં પડી જશે અને તેનું ડેથ વોરંટ નીકળી ગયું છે. તે નિવેદન પાછળ તેમણે દલીલ કરી હતી કે આગામી દિવસોમાં શિંદે જૂથના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરતી અરજી પર સુનાવણી થવાની છે. જો નિર્ણય તેમની તરફેણમાં આવશે તો તે સ્થિતિમાં રાજ્યમાં મોટી રાજકીય સ્થિતિ સર્જાશે. આ જ કારણસર રાઉતે આ નિવેદન આપ્યું હતું.
મહારાષ્ટ્રની રાજનીતિમાં અન્ય એવી પણ ચર્ચા છે કે પ્રકાશ આંબેડકર પણ મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સાથે જોડાઇ જશે. શરદ પવારે વંચિત બહુજન અઘાડીના પ્રમુખ પ્રકાશ આંબેડકર સાથે મુલાકાત કરી હતી. આ પછી આ અટકળો થઇ હતી. જોકે પ્રકાશ આંબેડકરે સ્પષ્ટ કર્યું કે આ મુલાકાત ફક્ત કર્ણાટક ચૂંટણીને લઇને થઇ હતી, કારણ કે કેટલીક સીટો પર એનસીપી અને અમારી પાર્ટી લડી રહી છે. અહીં એ સમજવું જરૂરી છે કે બીએમસી ચૂંટણી માટે પ્રકાશ આંબેડકરની પાર્ટીએ પહેલા જ ઉદ્ધવ જૂથ સાથે હાથ મિલાવી રાખ્યો છે. સત્તા પરિવર્તન પછી મહારાષ્ટ્રમાં આ ચૂંટણીને ઉદ્ધવની પ્રથમ મોટી રાજનીતિક પરીક્ષા માનવામાં આવી રહી છે.