World Cup Final : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી વર્લ્ડ કપની ફાઈનલનો વિવાદ અટકે તેમ લાગતું નથી. પીએમ નરેન્દ્ર મોદીની સ્ટેડિયમ મુલાકાતને લઈને રાજકારણ ચાલુ છે. રાહુલ ગાંધીએ આ રાજકારણની શરૂઆત કરી હતી અને હવે અન્ય વિપક્ષી દળોના નેતાઓ પણ તેના પર પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ આ રાજનીતિમાં કૂદી પડ્યા છે. તેમણે કહ્યું છે કે જો વર્લ્ડ કપની ફાઈનલ અમદાવાદની જગ્યાએ મુંબઈ કે કોલકાતામાં રમાઇ હોત તો ભારત ચોક્કસ જીત્યું હોત.
આપણા ખેલાડીઓ ભગવો પહેરવા માંગતા નથી – મમતા બેનર્જી
ગુરુવારે કોલકાતામાં યોજાયેલી બેઠકમાં મમતા બેનર્જીએ કહ્યું કે આ વર્લ્ડ કપમાં આપણી ટીમે ‘પાપીઓ’ ની ઉપસ્થિતિવાળી મેચને બાદ કરતાં તમામ મેચ જીતી છે. તેમણે આગળ કહ્યું કે જો વર્લ્ડ કપની ફાઇનલ અમદાવાદના બદલે કોલકાતા અથવા વાનખેડે સ્ટેડિયમમાં યોજાઇ હોત તો ભારત આ મેચ જીતી ગયું હોત. આપણા ખેલાડીઓ ભગવા જર્સી પહેરવા માંગતા નથી પરંતુ તેમને બળજબરીથી પહેરાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું – ત્રણેય રાજ્યોમાં ભાજપ સત્તામાં આવી રહી છે
રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યો હતો પ્રહાર
વર્લ્ડ કપની ફાઇનલ વિશે અગાઉ ભાગ્યે જ આવું રાજકારણ થયું હશે. રાહુલ ગાંધીએ સૌથી પહેલા પીએમ મોદીની વર્લ્ડ કપ ફાઇનલ મેચમાં હાજરીને લઇને સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે અમદાવાદના સ્ટેડિયમમાં નરેન્દ્ર મોદીની હાજરી ટીમ ઇન્ડિયા માટે સારી નથી. આપણા ખેલાડીઓ સારું રમી રહ્યા હતા પણ સ્ટેડિયમમાં’પનોતી’ના આગમનને કારણે ભારતે હારનો સામનો કરવો પડયો હતો. રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને ભાજપે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે.
હિમંત બિશ્વા સરમાએ આપ્યું વિચિત્ર નિવેદન
રાહુલ ગાંધીના આ નિવેદનના જવાબમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા સરમાએ પણ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે વર્લ્ડ કપની ફાઇનલ ઇન્દિરા ગાંધીના જન્મદિવસ પર યોજાઇ હતી અને દેશ હારી ગયો હતો. તેથી હું બીસીસીઆઈને કહેવા માંગુ છું કે હવે તમે જે પણ દિવસે ફાઇનલનું આયોજન કરો છો તે દિવસ ગાંધી પરિવાર સાથે જોડાયેલો હોવો જોઈએ નહીં.





