Manipur internet ban: મણિપુરથી સતત હિંસાના સમાચાર આવી રહ્યા છે. આ દરમિયાન રાજ્ય સરકારે મંગળવારે બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવાઓ પરના પ્રતિબંધને શરતી રીતે હટાવી લીધો છે. મણિપુર સરકારે બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવાઓ ફરી શરૂ કરવાની માંગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. જો કે રાજ્યમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ યથાવત્ રહેશે.
રાજ્ય સરકાર તરફથી જાહેર કરાયેલા આદેશમાં ગૃહ મંત્રાલયે કહ્યું કે રાજ્ય સરકારે સામાન્ય માણસની સમસ્યાઓ પર વિચાર કર્યો કારણ કે ઇન્ટરનેટ પ્રતિબંધની અસર મહત્વપૂર્ણ કાર્યાલયો, સંસ્થાઓ, સ્વાસ્થ્ય સુવિધાઓ, વર્ક ફ્રોમ હોમ કરનારા લોકો પર પડી છે. મણિપુરમાં મોબાઇલ ઇન્ટરનેટ પર પ્રતિબંધ યથાવત્ રહેશે જેથી રાજ્યના લોકો આઇએલએલ (ઇન્ટરનેટ લીઝ લાઇન) અને એફટીટીએચ (ફાઇબર ટુ ધ હોમ) દ્વારા ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકશે.
આ પણ વાંચો – મણિપુરમાં શું થઈ રહ્યું છે? કોણ કરી રહ્યું છે? કોણે ભડકાવી હિંસાની આગ?
મણિપુરના ગૃહ વિભાગના મતે ઇન્ટરનેટ કનેક્શન ફક્ત સ્ટેટિક આઈપીના માધ્યમથી ઉપલબ્ધ થશે અને સંબંધિત ગ્રાહક અસ્થાયી રીતે આપવામાં આવેલી મંજૂરી વાળા કનેક્શન સિવાય કોઇ અન્ય કનેક્શન સ્વીકાર કરાશે નહીં. સંબંધિત ગ્રાહકને કોઇપણ પ્રકારે રાઉટર અને સિસ્ટમથી વાઇફાઇ હોટસ્પોટની મંજૂરી આપવામાં આવશે નહીં.
મણિપુરને લઇને રાજ્યસભામાં ખડગે અને પીયુષ ગોયલ વચ્ચે રકઝક
મણિપુર હિંસા મુદ્દાને લઇને રાજ્યસભામાં ચર્ચા દરમિયાન બીજેપી નેતા પીયુષ ગોયલ અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે વચ્ચે રકઝક થઇ હતી. મલ્લિકાર્જુન આ મુદ્દે સતત પીએમ નરેન્દ્ર મોદીના નિવેદનની માંગણી કરી રહ્યા છે. તો પીયુષ ગોયલે કહ્યું કે વિપક્ષ શાસિત વિભિન્ન રાજ્યોમાં મહિલાઓ સામે અપરાધના મુદ્દા ઉપર પણ સદનમાં ચર્ચા કરવામાં આવે.
જણાવી દઈએ કે 3 મેના રોજ મણિપુર સરકારે રાજ્યમાં મોબાઈલ ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. વધતા તણાવને જોતા સરકારે બીજા દિવસે બ્રોડબેન્ડ સેવાઓ પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. રાજ્યમાં મૈતેઇ અને કુકી સમુદાયો વચ્ચે થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 140 લોકોના મોત થયા છે.