/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Manipur-violence-4.jpg)
સરકારે નિર્ણય કર્યો છે કે મણિપુરમાં 35,000 હજાર સુરક્ષાકર્મીઓની વધારાની ફોર્સ મોકલવામાં આવશે (Express File photo)
Manipur viral video: મણિપુર વાયરલ વીડિયોના કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. જે રીતે બે મહિલાઓને રસ્તા પર નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવવામાં આવી તેનાથી આખો દેશ ગુસ્સામાં હતો અને તેના કારણે રાજ્યમાં હિંસા ઘણી વધી ગઈ હતી. હવે કેસની ગંભીરતાને સમજીને ગૃહ મંત્રાલયે તપાસ સીબીઆઈને સોંપી છે. આ માંગ પહેલાથી જ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહી હતી હવે તપાસ સીબીઆઈ દ્વારા શરૂ કરવામાં આવશે.
ગૃહ મંત્રાલયના ટોચના અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે મણિપુર જાતીય શોષણનો વીડિયો કથિત રીતે રેકોર્ડ કરનાર વ્યક્તિની ઓળખ કરી લેવામાં આવી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે અને વીડિયો રેકોર્ડ કરવા માટે ઉપયોગમાં લેવાતો મોબાઈલ ફોન મેળવી લેવામાં આવ્યો છે. અધિકારીએ કહ્યું હતું કે સીબીઆઈ મણિપુર યૌન શોષણ કેસને સંભાળે તેવી અપેક્ષા છે અને કેન્દ્ર સુપ્રીમ કોર્ટને કહેશે કે ટ્રાયલ રાજ્યની બહાર, સંભવતઃ આસામમાં, યોગ્ય પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે યોજવામાં આવે તેવી અપેક્ષા છે.
મણિપુર પર સરકારની એક્શન
આ સિવાય સરકારે નિર્ણય કર્યો છે કે મણિપુરમાં 35,000 હજાર સુરક્ષાકર્મીઓની વધારાની ફોર્સ મોકલવામાં આવશે. કુકી અને મૈતેઈ સમાજ વચ્ચે વિવાદિત વિસ્તારોમાં બફર ઝોન બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. સાથે જ કાંટાળા તાર દ્વારા બોર્ડર પર સુરક્ષાને મજબૂત કરવાની વાત પણ છે. સરકારનું કહેવું છે કે પીએમ મોદી પોતે આ સમગ્ર મામલા પર નજર રાખી રહ્યા છે અને સતત વાતચીત કરી રહ્યા છે.
આ પણ વાંચો - મણિપુર હિંસા થોડા મહિના જૂની પણ સંકેત પહેલા જ મળી ગયા હતા, વાંચો ઇનસાઇડ સ્ટોરી
વાયરલ વીડિયોવાળો શું છે કેસ?
સીબીઆઈ હવે જે વાયરલ વીડિયો કેસની તપાસ કરવા જઈ રહી છે હકીકતમાં તે સંપૂર્ણપણે અફવા પર આધારિત હતો. જ્યારે તપાસ હાથ ધરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે 4 મેની ઘટના પહેલા એવી અફવા ફેલાઈ હતી કે મૈતેઈ સમુદાયની મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ જાણીને પહેલેથી ચાલી રહેલો આ સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો અને મૈતેઈ સમુદાયના લોકોએ બદલો લેવાનું નક્કી કર્યું હતું. ત્યાર બાદ મૈતેઇ સમાજનું ટોળું કોંગપો જિલ્લાના એક ગામમાં ઘૂસી ગયું હતું. ત્યાં મોટા પાયે લૂંટ કરી અને અનેક ઘરોમાં આગ પણ લગાવી હતી. આ પછી બે મહિલાઓ સાથે બર્બરતા થઇ હતી. આ પછી નવેસરથી વિવાદ શરૂ થયો હતો.
મણિપુર કેમ સળગી રહ્યું છે, શું છે સમગ્ર વિવાદ?
મણિપુરનો જે વિવાદ છે તે ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં તેણે પોતાનું ભયાનક રૂપ બતાવ્યું છે. હકીકતમાં મણિપુરમાં ત્રણ સમુદાયો સક્રિય છે. તેમાંથી બે પર્વતો પર અને એક ખીણમાં સ્થાયી થયા છે. મૈતેઇ એક હિન્દુ સમુદાય છે અને તે ખીણમાં રહેતા 53 ટકા વસ્તીનું ઘર છે. અન્ય બે સમુદાયો છે - નાગા અને કુકીઓ, જે બંને આદિવાસી સમુદાયોમાંથી આવે છે અને પર્વતોમાં સ્થાયી થયા છે. હવે મણિપુર પાસે એક કાયદો છે જે કહે છે કે મૈતેઇ સમુદાય ફક્ત ખીણમાં જ રહી શકે છે અને તેને પર્વતીય ક્ષેત્રમાં જમીન ખરીદવાનો કોઈ અધિકાર રહેશે નહીં. આ સમુદાય ઈચ્છે છે કે તેને અનુસુચિત જાતિનો દરજ્જો મળે, પરંતુ હજુ સુધી આવુ થયું નથી.
તાજેતરમાં જ હાઈકોર્ટે એક ટિપ્પણીમાં કહ્યું હતું કે રાજ્ય સરકારે મૈતેઈ સમાજની આ માગણી પર વિચાર કરવો જોઈએ. ત્યાર બાદથી જ રાજ્યના રાજકારણમાં તણાવ જોવા મળી રહ્યો છે અને વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યા છે. આવી જ એક આદિવાસી કૂચ દરમિયાન હંગામો થયો હતો અને હિંસા ફાટી નીકળી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us