જ્યારે ‘રામ વિરોધી’ પેરિયાર ના કારણે માયાવતી સરકાર પર છવાયું સંકટ, મંદિર આંદોલનના મોટા નેતાએ આપી હતી ધમકી

Mayawati Birthday : બસપા (BSP) નેતા અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીનો આજે જન્મ દિવસ છે, ત્યારે 2003 ની એક રસપ્રદ વાત, જેમાં રામ (Ram) વિરોધી પેરિયારના સ્ટેચ્યુ (periyar statue) ના કારણે તેમની સરકાર પર સંકટ આવી ગયું હતુ.

Written by Kiran Mehta
Updated : January 15, 2024 16:47 IST
જ્યારે ‘રામ વિરોધી’ પેરિયાર ના કારણે માયાવતી સરકાર પર છવાયું સંકટ, મંદિર આંદોલનના મોટા નેતાએ આપી હતી ધમકી
માયાવતી જન્મ દિવસ (ફાઈલ ફોટો)

Mayawati Birth day : ઉત્તર પ્રદેશ પૂર્વ મુખ્યમંત્રી માયાવતીનો જન્મ 15 જાન્યુઆરી 1956 ના રોજ એક ગરીબ પરિવારમાં થયો હતો. BSP ના વડા માયાવતી દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના ચાર વખત મુખ્યપ્રધાન રહ્યા હતા. તેઓ ભાજપના સમર્થનથી બે વાર મુખ્ય પ્રધાન બન્યા હતા.

માયાવતીના ત્રીજા કાર્યકાળ 3 મે, 2002 થી 26 ઓગસ્ટ, 2003 ની વાર્તા રસપ્રદ છે. સરકારના 15 મહિના દરમિયાન બસપા અને ભાજપ વચ્ચે ઘણો હોબાળો થયો હતો. સરકારની રચનાના ત્રણ મહિના બાદ જ રામ મંદિર આંદોલનના એક મોટા નેતાએ માયાવતીની સરકારને તોડી પાડવાની ધમકી આપી હતી.

આવું કેમ થયું? ચાલો તમને જણાવીએ

રામના વિરોધી પેરિયારની મૂર્તિની સ્થાપનાને લઈને હોબાળો થયો હતો

માયાવતીએ તેમના ત્રીજા કાર્યકાળમાં સાથી ભાજપની વિનંતીઓને અવગણીને લખનૌના આંબેડકર પાર્કમાં પેરિયારની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો. દક્ષિણ ભારતના અગ્રણી નાસ્તિક વિચારક અને નેતા ઈ.વી. રામાસામી નાયકર ‘પેરિયાર’ હિંદુ દેવતાઓના આકરા ટીકાકાર હતા.

પેરિયારને રામ પ્રત્યે ખાસ નારાજગી હતી. તેમનું માનવું હતું કે, રામાયણ દ્રવિડને આર્યોની જાળમાં ફસાવવા માટે લખવામાં આવી હતી. ઓગસ્ટ 1956માં, ત્રિચીમાં એક બીચ પર પેરિયારના અનુયાયીઓ દ્વારા રામની એક તસવીર બાળવામાં આવી હતી.

જાન્યુઆરી 1971 માં, પેરિયારે સાલેમમાં આયોજિત ‘અંધશ્રદ્ધા નિર્મૂલન પરિષદ’ને સંબોધિત કર્યું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કોન્ફરન્સમાં રામના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આઉટલુકમાં પ્રકાશિત સ્નિગ્ધેન્દુ ભટ્ટાચાર્યના અહેવાલ મુજબ, પેરિયારના સમર્થકો કોન્ફરન્સમાં બૂમો પાડી રહ્યા હતા – જો તેઓ અમારા રાવણને બાળશે તો અમે તેમના રામને બાળીશું. પેરિયારે રામાયણની વિરુદ્ધમાં સચ્ચી રામાયણ નામનું પુસ્તક પણ લખ્યું હતું, જેમાં રામ સહિત અનેક પાત્રોને વિલન તરીકે રજૂ કરવામાં આવ્યા છે. માયાવતી આ પેરિયારની પ્રતિમા લખનૌમાં સ્થાપિત કરવા માગતી હતી. તે સમયે કેન્દ્રમાં ભાજપની સરકાર હતી. અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા.

પ્રદેશ ભાજપે વિરોધ કર્યા બાદ માયાવતીએ મીડિયાને કહ્યું હતું કે, ભાજપના કેન્દ્રીય નેતૃત્વને પ્રતિમા સ્થાપિત કરવા સામે કોઈ વાંધો નથી, જેનો અર્થ છે કે રાજ્યનું નેતૃત્વ જ અવરોધો ઉભી કરી રહ્યું છે.

માયાવતીની ઘોષણા પછી, રામ મંદિર આંદોલનના નેતા અને તત્કાલીન ભાજપના પ્રદેશ પ્રમુખ વિનય કટિયારે રાજ્ય સરકારને ચેતવણી આપી હતી કે, “જો પેરિયારની મૂર્તિ લખનૌમાં સ્થાપિત કરવામાં આવશે, તો તે ઉત્તર પ્રદેશમાં માયાવતી સરકારનો અંત ચિહ્નિત કરશે.”

રામ મંદિર ચળવળના અગ્રણી નેતા રામચંદ્ર પરમહંસના આશીર્વાદ લેવા ગયા ત્યારે કટિયારે અયોધ્યામાં તેમની ઘોષણાનું પુનરાવર્તન કર્યું. કટિયારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “અમે કોઈપણ કિંમતે પેરિયારની પ્રતિમા સ્થાપિત થવા દઈશું નહીં.”

કટિયારના અલ્ટીમેટમના 24 કલાકમાં જ માયાવતીનું નિવેદન બદલાઈ ગયું. Rediff.com માં પ્રકાશિત શરત પ્રધાનના અહેવાલ મુજબ, માયાવતીએ કહ્યું, “કોણે કહ્યું કે અમારી લખનૌ અથવા યુપીમાં ક્યાંય પણ પેરિયારની પ્રતિમા સ્થાપિત કરવાની કોઈ યોજના છે? પેરિયાર દક્ષિણના હતા, તેથી જો અમારે તેમની પ્રતિમા સ્થાપિત કરવી હોય તો અમે તે ત્યાં કરીશું, જેથી અમને તેનો થોડો લાભ મળી શકે.

પરંતુ પછી તપાસમાં જાણવા મળ્યું કે, મુખ્ય પ્રધાને પેરિયારની 20 ફૂટની પ્રતિમા એક પ્રખ્યાત સ્થાનિક શિલ્પકાર દ્વારા બનાવવામાં આવી હતી. શિલ્પકારની નજીકના સૂત્રોએ દાવો કર્યો હતો કે, “અમે માટીનું મોડેલ પણ તૈયાર કર્યું છે.”

માયાવતીની સરકાર પડી

વિરોધના કારણે માયાવતી તેમના ત્રીજા કાર્યકાળમાં પેરિયારની પ્રતિમા સ્થાપિત કરી શકી ન હતી. આમ છતાં સરકાર ટકી શકી ન હતી. માયાવતીએ નવેમ્બર 2002 માં અપક્ષ ધારાસભ્ય રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયાને જેલમાં ધકેલી દીધા હતા. 2003ની શરૂઆતમાં, રાજ્ય સરકારે પણ રાજા ભૈયા સામે આતંકવાદ વિરોધી અધિનિયમ (POTA) હેઠળ કેસ દાખલ કર્યો હતો.

કટિયારે પણ આનો વિરોધ કર્યો હતો અને પોટાને હટાવવાની માંગ કરી હતી. પરંતુ મા યવતી સહમત ન થયા. આ પછી ભાજપે કેન્દ્ર પર દબાણ બનાવ્યું. કેન્દ્રીય પર્યટન મંત્રી જગમોહને આરોપ લગાવ્યો કે, ઉત્તર પ્રદેશ સરકાર પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના તાજ હેરિટેજ કોરિડોરનું નિર્માણ કરાવી રહી છે.

આ પણ વાંચોBSP લોકસભા ચૂંટણી2024 એકલા હાથે લડશે, માયાવતીએ જન્મદિવસ પર કરી મોટી જાહેરાત

તણાવ વધતાં, માયાવતીએ 29 જુલાઈ, 2003 ના રોજ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી, જેમાં તેમણે જગમોહનને મંત્રી પદ પરથી હટાવવાની માંગ કરી. દિલ્હીમાં બસપાના સાંસદોએ લોકસભામાં આ મુદ્દો મુખ્ય રીતે ઉઠાવ્યો હતો. ગૃહમાં ભારે હોબાળો મચી ગયો હતો, તણાવ વધ્યો અને આખરે માયાવતીએ 26 ઓગસ્ટ, 2003 ના રોજ પોતાનું રાજીનામું સુપરત કર્યું.

જોકે પેરિયારની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી

2007માં જ્યારે બસપા યુપીમાં પોતાના દમ પર સત્તામાં આવી અને માયાવતી ચોથી વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે લખનૌમાં પેરિયારની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. જો કે, ભાજપને હજુ પણ રામ વિરોધી પેરિયારને આપવામાં આવેલું સન્માન ગમ્યું નથી. કટિયારે પેરિયારની પ્રતિમા તોડવાની ધમકી આપી હતી, પણ કંઈ કરી શક્યા નહીં. પેરિયારની પ્રતિમા આજે પણ લખનૌમાં ઉભી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ