(દિવ્યા એ.) New parliament building Art gallery : દેશના નવા સંસદ ભવનમાં 5 હજારથી વધુ કલાકૃતિઓ અંકિત કરવામાં આવી છે. સદનની કલાકૃતિના આગામી તબક્કાની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી રહી છે, જેમાં દેશની સ્વતંત્રતા ચળવળ અને ભારતીય પરંપરાને ધ્યાનમાં રાખવામાં આવશે. નવા આર્ટવર્કની ડિઝાઇન અને દરખાસ્ત તૈયાર છે, જેને અમલમાં આવતા હજુ એક વર્ષ લાગી શકે છે. આગામી તબક્કામાં, ડાઇનિંગ હોલને સુશોભિત કરવા માટે આર્ટવર્ક ઉપરાંત લગભગ આઠ નવી ગેલેરીઓ બનાવવામાં આવશે, જે લોકસભા અને રાજ્યસભાના ફોયર્સ વચ્ચે સમાન રીતે વિભાજિત છે.
સંસદના ફેઝ-2માં શું-શું બનાવવામાં આવશે
ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, પહેલા માળે બે ગેલેરી હશે, એક દેશના વિકાસમાં મહિલાઓના યોગદાનને સમર્પિત અને બીજી સ્વતંત્રતા ચળવળમાં આદિવાસી નેતાઓને સમર્પિત. ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટસ (IGNCA) ના સભ્ય સચિવ સચ્ચિદાનંદ જોશીએ જણાવ્યું હતું કે 1857 પહેલા ભારતના સન્માનની લડાઈને સમર્પિત ગેલેરી લોકસભાના ફોયરના ઉપરના ગ્રાઉન્ડ ફ્લોર પર બનાવવામાં આવશે. આ ઉપરાંત વધુ એક ગેલેરી બનાવવામાં આવશે, જે સ્વતંત્રતા સંગ્રામ (1857 થી 1947) પર પ્રકાશ ફેંકશે. IGNCA આ પ્રોજેક્ટને સંસ્કૃતિ મંત્રાલયના નેજા હેઠળ અમલમાં મૂકશે.
જોશીએ જણાવ્યું હતું કે રાજ્યસભા ફોયરમાં કુલ 4 ગેલેરીઓ બનાવવામાં આવશે, જેમાંથી બે ગેલેરી ઉપરના ગ્રાઉન્ડ ફ્લોર પર બનાવવામાં આવશે અને બે ગેલેરી પહેલા માળે હશે, જેમાં ભારતીય પરંપરાઓ અને પ્રકૃતિ તેમજ પરંપરાગત રમતગમત સાથે ભારતીયોના જોડાણને દર્શાવવામાં આવશે. બાકીના દીવાઓ પર શ્લોકો અને અન્ય પવિત્ર ચિહ્નો કોતરવામાં આવશે.
જોશીએ વધુમાં જણાવ્યુ કે, તેમણે ફેબ્રુઆરી 2022માં આર્ટવર્કના બીજા તબક્કાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો, તે તેમને એક વર્ષની અંદર પૂરો કરવા જણાવ્યું હતુ. તેમણે ઉમેર્યુ કે, ભારતની મૂળ વિચારધારાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવા નિર્દેશ આપ્યો હતોઅને ભારતની સભ્યતાને નવી સંસદની ડિઝાઇનમાં પ્રદર્શિત કરવા માટે જણાવ્યુ હતુ.
તેમને ભારતના તમામ પ્રદેશો અને રાજ્યોને પૂરતું પ્રતિનિધિત્વ મળે તેની ખાતરી કરવા પણ કહેવામાં આવ્યું હતું. સેન્ટ્રલ ફોયરમાં એક દિવાલનું શીર્ષક જન જનનિ જન્મભૂમિ છે, જ્યાં 75 મહિલા કારીગરોએ 28 રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતી હસ્તકલા બનાવી હતી.
શિલ્પ દીર્ઘા નામની વધુ એક આર્ટ ગેલેરીમાં દેશભરના 400 કારીગરો પાસેથી મેળવેલા 250થી વધુ હસ્તકલાના નમૂનાઓ છે. ભારતીય પરંપરાઓ અને પીઢ કલાકારોને રજૂ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. લોકસભાની દિવાલ પર સમુદ્ર મંથન દેખાડવામાં આવ્યુ છે, જે લોક કલ્યાણ માટેના વિચારોના મંથનનું પ્રતીક છે. નવી સંસદના નિર્માણમાં રૂ. 1,200 કરોડનો ખર્ચ થયો છે.