No Money for Terror Conference in Delhi : આતંકવાદને ડામવા માટે આજથી ભારતમાં ‘નો મની ફોર ટેરર’ કોન્ફરન્સ. આ કાર્યક્રમમાં 72 દેશોના પ્રતિનિધિઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. આ સંમેલનમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ભાગ લઈ રહ્યા નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે તાજ હોટેલમાં આતંકવાદી ભંડોળ વિરુદ્ધ ‘નો મની ફોર ટેરર’ આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા.
કોન્ફરન્સને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આતંકવાદને ખતમ કરવા માટે વ્યાપક, સક્રિય, વ્યવસ્થિત પ્રતિભાવની જરૂર છે. જો આપણે ઇચ્છીએ છીએ કે આપણા નાગરિકો સુરક્ષિત રહે, તો જ્યાં સુધી આતંક આપણા ઘરો સુધી ન પહોંચે ત્યાં સુધી આપણે રાહ જોઈ શકીએ નહીં. આપણે આતંકવાદીઓના ફંડિંગ પર પ્રહાર કરવો જોઈએ.
- આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, જ્યાં સુધી આતંકવાદનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી અમે શાંતિથી બેસીશું નહીં. તેમણે કહ્યું, “આતંકવાદ લાંબા સમયથી ગરીબો અને સ્થાનિક અર્થવ્યવસ્થાને અસર કરી રહ્યો છે. પછી તે પ્રવાસન ક્ષેત્ર હોય કે વેપાર ક્ષેત્ર. કોઈને એવો વિસ્તાર પસંદ નથી કે જ્યાં આતંકવાદી હુમલાનો સતત ખતરો હોય. જેના કારણે લોકોની રોજીરોટી છીનવાઈ રહી છે. અમે આતંકવાદના ભંડોળના મૂળ પર પ્રહાર કરીએ તે ખુબ મહત્વ છે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આતંકવાદ માનવતા, સ્વતંત્રતા અને સભ્યતા પર હુમલો છે. તેને કોઈ સીમા નથી ખબર. એક સમાન, એકીકૃત અને શૂન્ય સહિષ્ણુતાનો અભિગમ જ આતંકવાદને હરાવી શકે છે.
- દિલ્હીમાં ‘નો મની ફોર ટેરર’ કોન્ફરન્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કટ્ટરવાદ અને ઉગ્રવાદની સમસ્યાને આપણે સંયુક્તપણે સંબોધિત કરીએ તે જરૂરી છે. કટ્ટરવાદને ટેકો આપનારાઓને કોઈ દેશમાં કોઈ સ્થાન ન હોવું જોઈએ.
- પીએમએ કહ્યું કે, કેટલાક દેશો તેમની વિદેશ નીતિના ભાગરૂપે આતંકવાદને સમર્થન આપે છે. તેઓ તેમને રાજકીય, વૈચારિક અને નાણાકીય સહાય પૂરી પાડે છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ એવું ન વિચારવું જોઈએ કે, યુદ્ધની ગેરહાજરીનો અર્થ શાંતિ છે.
- કોન્ફરન્સમાં પીએમ મોદીએ કહ્યું કે, આપણા દેશે આતંકના સંકટનો સામનો દુનિયા તને ગંભીરતાથી લે તે પહેલા જ કર્યો છે. દાયકાઓ સુધી, વિવિધ સ્વરૂપોમાં આતંકવાદે ભારતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો, જેના કારણે આપણે હજારો કિંમતી જીવ ગુમાવ્યા, પરંતુ અમે આતંકવાદનો હિંમતપૂર્વક સામનો કર્યો.
- નો મની ફોર ટેરર કોન્ફરન્સમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના ડાયરેક્ટર જનરલ દિનકર ગુપ્તાએ વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા કહ્યું કે, છેલ્લા આઠ વર્ષમાં આતંકવાદી ગતિવિધિઓમાં ઘટાડો થયો છે. તેમણે આતંકવાદ સામે કેન્દ્રની ઝીરો ટોલરન્સ નીતિની પણ પ્રશંસા કરી અને કહ્યું કે તેનાથી દેશના સુરક્ષા પરિદ્રશ્યમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે.
- ડીજી ગુપ્તાએ વધુમાં કહ્યું, “વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવું મારા માટે સન્માનની વાત છે. આતંકવાદી ફંડિંગ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારત પાસે આના પુરાવા છે.”
- ટેરર ફંડિંગ પર પીએમ મોદીએ કહ્યું કે, એ બધા જાણે છે કે આતંકી સંગઠનોને ઘણા સ્ત્રોતોથી પૈસા મળે છે. એક સ્ત્રોત દેશનો આધાર છે. કેટલાક દેશો તેમની વિદેશ નીતિઓના ભાગરૂપે આતંકવાદને સમર્થન આપે છે. તેઓ તેમને રાજકીય, વૈચારિક અને નાણાકીય સહાય પૂરી પાડે છે.
- કોન્ફરન્સના પ્રથમ સત્રમાં ટેરર ફંડિંગના નવીનતમ વલણો પર વૈશ્વિક ચર્ચા થશે. બીજા સત્રમાં ટેરર ફંડિંગની તમામ ઔપચારિક અને અનૌપચારિક પદ્ધતિઓ પર ચર્ચા કરવામાં આવશે. ત્રીજું સત્ર શનિવારે યોજાશે, જેમાં ટેરર ફંડિંગ માટે નવી તકનીકો અને માર્ગોના ઉપયોગ પર વિચાર-વિમર્શ થશે. આ સાથે ક્રિપ્ટોકરન્સી અને ડાર્ક વેબ દ્વારા ફંડિંગને પણ આ ચર્ચામાં સામેલ કરવામાં આવશે. ચોથા સત્રમાં ટેરર ફંડિંગ રોકવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવાની જરૂરિયાતો અને સહયોગ પર ચર્ચા થશે.
- ‘નો મની ફોર ટેરર કોન્ફરન્સ’ના એજન્ડા હેઠળ આતંકવાદ પર વિદેશી ફંડિંગને રોકવા માટે પગલાં લેવામાં આવશે. ઉપરાંત, એજન્સીઓ વિદેશી ભંડોળના મૂળને શોધવામાં પરસ્પર સહકાર અને પારદર્શિતા દર્શાવશે. તમામ એજન્સીઓને મની લોન્ડરિંગની પદ્ધતિઓ વિશે માહિતી એકત્ર કરવા માટે કહેવામાં આવશે, જેથી તેના મૂળ સુધી પહોંચી શકાય.