પ્રભાત ઉપાધ્યાય : ઓડિશાના બાલાસોર જિલ્લામાં કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચેના અકસ્માતમાં અત્યાર સુધીમાં 275 મુસાફરોના મોત થયા છે, જ્યારે લગભગ 900 મુસાફરો ઘાયલ છે, જેમની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટના બાદ ફરી એકવાર રેલવે સુરક્ષા અને કર્મચારીઓ પર વધારાના કામના દબાણનો મુદ્દો ગરમાયો છે. વિરોધ પક્ષો પણ રેલવેમાં ભરતીનો મુદ્દો ઉઠાવી રહ્યા છે.
આંકડા દર્શાવે છે કે, ભારતીય રેલવેની મેલ એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોમાં મુસાફરોનું ભારે દબાણ છે. સીટ કરતાં અનેક ગણા વધુ લોકો મુસાફરી કરે છે. આરટીઆઈ કાર્યકર્તા ચંદ્રશેખર ગૌરે થોડા સમય પહેલા સેન્ટર ફોર રેલવે ઈન્ફોર્મેશન સિસ્ટમ (સીઆરઆઈએસ)ને પૂછ્યું હતું કે, ભારતીય રેલવેની મેલ એક્સપ્રેસ, સુપરફાસ્ટ અને પેસેન્જર ટ્રેનોમાં કેટલી સીટો છે અને તેમાં મુસાફરી કરતા મુસાફરોની વાસ્તવિક સંખ્યા કેટલી છે. CRIS દ્વારા આપવામાં આવેલી માહિતી ચોંકાવનારી છે.
કેટલાકમાં 25, તો કેટલાકમાં 20 ટકા વધુ મુસાફરો
સેન્ટર ફોર રેલ્વે ઇન્ફોર્મેશન સિસ્ટમ (CRIS) અનુસાર, વર્ષ 2022-23માં, મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં કુલ સીટોની સંખ્યા 260,282,278 હતી, જ્યારે આ સીટોમાં 309,411,139 મુસાફરોએ મુસાફરી કરી હતી. જે કુલ બેઠકો કરતા લગભગ 19 ટકા વધુ છે. સુપરફાસ્ટ ટ્રેનો પર તો આના કરતા વધુ દબાણ છે. 2022-23માં સુપરફાસ્ટ ટ્રેનોમાં કુલ સીટોની સંખ્યા 261,455,644 હતી, જ્યારે 326,067,462 લોકોએ મુસાફરી કરી હતી. જે ક્ષમતા કરતા લગભગ 25% વધુ છે. પેસેન્જર ટ્રેનની વાત કરીએ તો, 2022-23માં કુલ 100,096 સીટો પર 91,059 લોકોએ મુસાફરી કરી હતી.
રિઝર્વેશન વગરના મુસાફરોનો કોઈ ડેટા નથી
CRIS અનુસાર, સીટોની સરખામણીમાં વાસ્તવિક મુસાફરોની સંખ્યામાં એવા મુસાફરોનો સમાવેશ થાય છે, જેમણે કન્ફર્મ, RAC અને વેઇટિંગ ટિકિટ લીધી હોય. આમાં રિઝર્વેશન વિના મુસાફરી કરતા મુસાફરોની સંખ્યા, સામાન્ય અથવા દંડ ભરવો વગેરેનો સમાવેશ તો થતો જ નથી. જો આવા મુસાફરોની સંખ્યા ઉમેરવામાં આવે તો આ સંખ્યા અનેક ગણી વધી જાય છે.
સેફ્ટી કેટેગરીમાં લગભગ 1.82 લાખ પોસ્ટ્સ ખાલી છે
કોરોમંડલ એક્સપ્રેસ દુર્ઘટના બાદ રેલવેની સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. ભારતીય રેલ્વેની સેફ્ટી કેટેગરી (ગ્રુપ સી)માં મોટી સંખ્યામાં પોસ્ટ્સ ખાલી છે. રેલ્વે અનુસાર, સુરક્ષા કેટેગરીમાં કુલ 959529 પદો મંજૂર છે, જેમાંથી 776762 રોલ પોસ્ટ પર છે. RTIના જવાબમાં રેલ્વેએ જણાવ્યું છે કે, 1 એપ્રિલ, 2022 સુધી સેફ્ટી કેટેગરીમાં કુલ 182767 જગ્યાઓ ખાલી હતી. લાંબા સમયથી સેફ્ટી કેટેગરીમાં કોઈ ભરતી થઈ નથી.
CAG ઓડિટ રિપોર્ટ શું કહે છે?
રેલ્વેની સલામતી મોટાભાગે એન્જિનિયરિંગ વિભાગ પર આધારિત છે. આ વિભાગમાં પણ મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી છે. જો આપણે 2017-18 થી 2020-21 સુધીના CAGના અહેવાલ પર નજર કરીએ તો, આ સમયગાળા દરમિયાન રેલવેના બે ઝોન, પૂર્વ મધ્ય રેલવે (ECR) અને પશ્ચિમ રેલવે (WR)માં 19-30 ટકા જગ્યાઓ ખાલી હતી. આ સમયગાળા દરમિયાન પૂર્વ મધ્ય રેલવેમાં ટ્રેન પાટા પરથી ઉતરી જવાની 172 ઘટનાઓ બની હતી. એક્સિડન્ટ ઈન્ક્વાયરી રિપોર્ટ્સ અનુસાર, 23 ટકા ઘટનાઓ માટે ટ્રેકની નબળી જાળવણી જવાબદાર હતી.
રેલ્વે મંત્રીએ શું કહ્યું?
કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજ્યસભામાં જણાવ્યું હતું કે, રેલવેમાં નોન-ગેઝેટેડ કેટેગરીમાં કુલ 3.12 લાખ પદો ખાલી છે. ઉત્તર ઝોનમાં સૌથી વધુ 38,754 જગ્યાઓ ખાલી છે. તેવી જ રીતે પશ્ચિમ ઝોનમાં 30,476, પૂર્વ ઝોનમાં 30,141 અને મધ્ય ઝોનમાં 28,650 જગ્યાઓ ખાલી છે. રેલવેમાં લોકો પાયલટની જગ્યાઓ પણ મોટા પ્રમાણમાં ખાલી છે. ઓલ ઈન્ડિયા લોકો રનિંગ સ્ટાફ એસોસિએશન સતત આ મુદ્દો ઉઠાવે છે. એસોસિએશનના જણાવ્યા અનુસાર, લોકો પાઇલટની અછતના કારણે, ડ્રાઈવરોએ ક્યારેય શિફ્ટ કરતાં વધુ કામ કરવું પડે છે અને તે તણાવમાં હોય છે.