/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/11/EPFO-Pension-Rules.jpg)
ઇપીએફઓ પેન્શન નિયમ
Government Clarified On Old Pension Scheme : કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના (ઓપીએસ) ફરી લાગુ કરવાની ચર્ચા તીવ્ર બની છે. ખાસ કરીને યુનિફાઇડ પેન્શન સ્કીમ (યુપીએસ)માં જોડાવાની સમયમર્યાદા ઘણી વખત લંબાવ્યા પછી, અપેક્ષિત સમર્થન ન મળતા આ માંગને વધુ વેગ મળ્યો છે. સંસદમાં પણ આ માંગ પર ચર્ચા થઈ રહી છે. OPS ફિક્સ્ડ પેન્શન આપે છે, જ્યારે એનપીએસ અને યુપીએસ યોગદાન આધારિત છે. કર્મચારીઓ આ તફાવત વિશે ચિંતિત અને અસંમત રહે છે.
લોકસભામાં રજૂ કરવામાં આવેલા સત્તાવાર આંકડા અનુસાર, લગભગ 23 લાખ પાત્ર કર્મચારીઓમાંથી માત્ર 1.22 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓએ જ યુપીએસનો વિકલ્પ પસંદ કર્યો છે, તેમ છતાં સરકારે સમયમર્યાદા 30 નવેમ્બર સુધી વધારી દીધી હતી. બહુ ઓછી સંખ્યામાં લોકો દ્વારા તેને અપનાવવાથી કર્મચારી સંગઠનો અને વિપક્ષી સાંસદોની જૂની પેન્શન યોજના પર પાછા ફરવાની માંગને મજબૂત બનાવવામાં આવી છે, જે છેલ્લા પગાર સાથે જોડાયેલ નિશ્ચિત પેન્શનની બાંયધરી આપે છે.
સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું
15 ડિસેમ્બરે લોકસભામાં કેટલાક પ્રશ્નોના જવાબમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું હતું કે, નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ) અથવા યુનિફાઇડ પેન્શન સ્કીમ (યુપીએસ) હેઠળ આવરી લેવામાં આવેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ઓપીએસ પુનઃસ્થાપિત કરવાનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી.
OPS ની માંગણી કેમ થઇ રહી છે?
જુની પેન્શન સ્કીમ સરકારી કર્મચારીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. આ પેન્શન યોજના આજીવન પેન્શનની બાંયધરી આપે છે. આ અંતર્ગત કર્મચારીઓને મોંઘવારી ભથ્થું સાથે તેમના છેલ્લા મૂળ પગારના 50 ટકા જેટલું પેન્શન મળે છે. બધો ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે.
તેનાથી વિપરીત, એનપીએસ અને યુપીએસ એ યોગદાન-આધારિત સિસ્ટમો છે, જ્યાં કર્મચારીઓ અને એમ્પ્લોયરો બંને સેવાના વર્ષો દરમિયાન યોગદાન આપે છે. અંતિમ પેન્શન થાપણની રકમ અને રોકાણના વળતર પર આધારિત છે.
UPS ને વચગાળાના રસ્તા તરીકે રજૂ કરવા છતાં, આંકડા દર્શાવે છે કે મોટાભાગના કેન્દ્રીય કર્મચારીઓ તેની સાથે સંમત નથી.
સરકાર પોતાના વલણ પર અડગ
એનપીએસ અને યુપીએસ નાબૂદ કરીને ઓપીએસ પુનઃસ્થાપિત કરવામાં આવશે કે કેમ તે પ્રશ્નના સીધા જવાબમાં નાણાં મંત્રાલયે સ્પષ્ટપણે નકારી કાઢ્યું હતું.
સંસદમાં મંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓના સંદર્ભમાં જૂની પેન્શન યોજના (ઓપીએસ) પુનઃસ્થાપિત કરવાનો કોઈ પ્રસ્તાવ સરકારની વિચારણા હેઠળ નથી. ”
જવાબમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે કેટલાક રાજ્યોએ ઓપીએસ અપનાવ્યું છે, પરંતુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કેન્દ્રએ પોતાનું વલણ બદલ્યું નથી.
આ રાજ્યોમાં OPS ફરી લાગુ પણ શરતોને આધિન
સરકારે પુષ્ટિ કરી છે કે રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશે તેમના રાજ્યના કર્મચારીઓ માટે ઓપીએસ ફરીથી શરૂ કરવા અંગે PFRDA ને જાણ કરી છે.
જો કે, કેન્દ્રએ સ્પષ્ટતા કરી હતી કે પહેલાથી જ જમા થયેલા એનપીએસ ફંડને રાજ્યોને પરત કરવાની કોઈ કાયદાકીય જોગવાઈ નથી. આનાથી ઓપીએસ પર પાછા ફરેલા રાજ્યો માટે ઓપરેશનલ પડકારો ઉભા થયા છે, કારણ કે એનપીએસ હેઠળ જમા થયેલ પેન્શન ભંડોળ હાલના નિયમો હેઠળ પરત કરી શકાતું નથી અથવા ટ્રાન્સફર કરી શકાતું નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us