/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/bryan-johnson-53.jpg)
પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ (Photo: Mian Shehbaz Sharif)
પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ તરફથી થોડાક દિવસો પહેલા ભારતને વાતચીતની ઓફર કરી હતી. ત્યાં સુધી કહેવામાં આવ્યું કે, પાકિસ્તાન દરેક મુદ્દા પર વાત કરવા માંગે છે. પરંતુ હવે ભારતના વિદેશ મંત્રાલય તરફથી સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે હવે કોઈ વાતચીત થવાની નથી. જ્યાં સુધી આતંકવાદ બંધ નહીં થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારની વાતચીત શક્ય નથી.
પાકિસ્તાનને ભારતનો સણસણતો જવાબ
એક નિવેદનમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, અમે એવા રિપોર્ટ્સ પણ જોયા છે જેમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન વાતચીત કરવા માંગે છે. ભારતનું સ્ટેન્ડ એક જ રહ્યું છે કે તમામ દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખવા જોઈએ. પરંતુ આતંકવાદ મુક્ત માહોલ હોવો જરૂરી છે. આ સમયે પાકિસ્તાન ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવી રહ્યું છે, આ મામલે વિદેશ મંત્રાલયે સણસણતો જવાબ આપ્યો છે.
વિદેશ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે પાકિસ્તાન પોતાનો પ્રચાર ફેલાવવા માટે સમય-સમય પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું રહે છે. પરંતુ હવે અમે તેમના પ્રચારને બહુ ગંભીરતાથી લેતા નથી. એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ સમયે ભારતમાં જે પણ બેઠકો યોજાવાની છે, તે G20 બેઠક દરમિયાન જ યોજાશે, તે સિવાય તેઓ અન્ય કોઈ બેઠકમાં ભાગ લેવાના નથી.
પાકિસ્તાન શું ઇચ્છે છે?
તેનો મતલબ એ છે કે, આગામી સમયમાં પાકિસ્તાનની સાથે ભારતની કોઇ મંત્રણા થવાની નથી. તમને જાણકારી માટે જણાવી દઇયે કે, થોડાક દિવસો પહેલા જ પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે કહ્યુ હતુ કે, તેઓ ભારત સાથે વાતચીત કરવા તૈયાર છે. તેમણે કહ્યુ કે, જો ભારત ગંભીર છે, તો અમે પણ મંત્રણા માટે તૈયાર છીએ. ઇતિહાસ પર નજર ફેરવીયે તો પાકિસ્તાન સાથે 3 વખત યુદ્ધ કરી ચૂક્યુ છે. આ ત્રણેય યુદ્ધથી માત્ર ગરીબી અને બેરોજગારી જ ફેલાઇ છે. હવે કેટલાક મુદ્દાઓ પર સાર્થક ચર્ચા કરવાની જરૂર છે.
જો કે, પાકિસ્તાન તરફથી આ પ્રકારનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેની આર્થિક સ્થિતિ બહુ જ ખરાબ છે. પાકિસ્તાન દેવાના ડુંગર તળે દબાયેલું છે, વિદેશી હૂંડિયામણ ભંડોળમાં સતત ઘટાડો થયો છે અને મોંઘવારી આસમાને પહોંચી છે. આ અગાઉ પણ એક પ્રસંગે પાકિસ્તાને એ વાત પર દુખ વ્યક્ત કર્યું હતું કે તે ભારત સાથે અનેક યુદ્ધો હારી ગયું છે. ત્યારે જ તે મંત્રણા ટેબલ પર આવવા ઇચ્છતુ હતુ. પરંતુ ભારતે સ્પષ્ટપણ કહ્યુ કે, જ્યાં સુધી આતંકવાદ બંધ નહીં થાય ત્યાં સુધી વાતચીત શક્ય નથી.
આ પણ વાંચો | પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 19 રૂપિયાનો વધારો, નવો ભાવ જાણી નવાઈ લાગશે
સીમા હૈદર-અંજુ જેવી ઘટનાઓ અંગે શું કહ્યું?
ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને જડબા તોડ જવાબ આપવાની સાથે સાથે સીમા હૈદર અને અંજુ જેવા કેસો અંગે પર પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. વધારે કંઈ કહેવામાં આવ્યું નથી, પરંતુ એટલું ચોક્કસ કહ્યુ કે, સીમા કેસમાં તપાસ એજન્સીઓ પોતાની રીતે તપાસ કરી રહી છે, જ્યારે અંજુનો કેસ કોઈ વિદેશ નીતિ સાથે સંબંધિત નથી. સરકારે અંજુ કેસને ખાનગી બાબત ગણાવી ઘટનાને જતી કરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us