Parliament 78 MPS Suspended : સંસદના શિયાળી સત્રમાં 18 ડિસેમ્બર, 2023ના રોજ વધુ 78 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં 33 સાંસદ લોકસભા અને 45 સાંસદ રાજ્યસભાના છે. જો અગાઉના 14 સાંસદો (લોકસભામાંથી 13 અને રાજ્યસભામાંથી એક)નો સમાવેશ કરીએ તો આ સત્રમાં 92 સભ્યોને હંગામો અને ખરાબ વર્તન કરવાના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 17મી લોકસભામાં સભ્યોને સસ્પેન્ડ કરવાનો આ કદાચ રેકોર્ડ બની ગયો છે.
2019 થી 2023 સુધી (શિયાળુ સત્ર સિવાય) ઓછામાં ઓછા 149 સાંસદોને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ 2023ના શિયાળુ સત્રે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ સત્રમાં જ બંને ગૃહોના 92 સભ્યોને (18 ડિસેમ્બર સુધી) સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ભાજપે પણ હંગામાનો રેકોર્ડ બનાવ્યો છે
પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચ અનુસાર, 2010નું શિયાળુ સત્ર 1999 પછી પ્રોડક્ટિવિટીની દ્રષ્ટિએ સૌથી ખરાબ રહ્યું હતું. તે સમયે ભાજપ વિપક્ષમાં હતો. ભાજપે ટુજી સ્પેક્ટ્રમ લાયસન્સ ફાળવણીમાં કેગ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોની તપાસ કરવા માટે સંયુક્ત તપાસ સમિતિ (જેપીસી) ની રચનાની માંગ કરીને બંને ગૃહોની કાર્યવાહીને સંપૂર્ણપણે વિક્ષેપિત કરી હતી.
પીઆરએસના ડેટા અનુસાર, તે સત્રમાં રાજ્યસભાની પ્રોડક્ટિવિટી માત્ર 2 ટકા અને લોકસભાની 6 ટકા હતી. 2010માં જ રાજ્યસભામાં એક મંત્રીના હાથમાંથી મહિલા અનામત બિલ છીનવી લેવા બદલ સાત સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
રાજીવ ગાંધીના સમયનો એક રેકોર્ડ
વર્ષ 1989માં જ્યારે રાજીવ ગાંધી સત્તામાં હતા, ત્યારે 15 માર્ચે 63 સાંસદોને એક સાથે લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં સાંસદોને એક સાથે ક્યારેય એક ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. ઠક્કર કમિશનનો અહેવાલ (ઇન્ડિયન એક્સપ્રેસ અખબારમાં) લીક થયા બાદ થયેલા હોબાળા પર આ કાર્યવાહી કરવામાં આવી હતી.
ઈન્દિરા ગાંધીની હત્યાની તપાસ માટે જસ્ટિસ ઠક્કરની અધ્યક્ષતામાં કમિશનની રચના કરવામાં આવી હતી. તેના વિરોધમાં ચાર સાંસદો – સૈયદ શહાબુદ્દીન, જીએમ બનાતવાલા, એમએસ ગિલ અને શમિંદર સિંહે પણ વોકઆઉટ કર્યો હતો.
નિયમમાં અધ્યક્ષ પાસે જબરદસ્ત સત્તા
સંસદની કાર્યવાહી સંચાલિત કરવાના જે નિયમો છે, તે 1952થી યથાવત રહ્યા છે, તેમાં કોઇ ફેરફાર કરાયા નથી. નિયમો અનુસાર, જો કોઈ સભ્ય ગૃહમાં હંગામો મચાવતો હોય અથવા કાર્યવાહીમાં વિક્ષેપ ઉભો કરે તેવું કોઈ કૃત્ય કરે તો અધ્યક્ષ તેને ગૃહમાં બહાર જવા કહી શકે છે. આ પછી પણ જો હોબાળો ચાલુ રહે તો કાર્યવાહીને સંચાલિત કરનાર સભ્ય હંગામો કરનાર સભ્યને નોમિનેટ કરી શકે છે. ત્યારબાદ તે સભ્યને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવા માટે ગૃહમાં પ્રસ્તાવ લાવી શકાય છે અને જો પ્રસ્તાવ પસાર થાય છે, તો સભ્યને સસ્પેન્ડ માનવામાં આવે છે.
વર્ષ 2001માં જ્યારે જીએમસી બાલયોગી લોકસભાના સ્પીકર હતા, ત્યારે સ્પીકરને વધુ સત્તા આપવા માટે નિયમોમાં થોડો ફેરફાર કરવામાં આવ્યા હતા. આ મુજબ, જો સ્પીકર હંગામો મચાવનાર સભ્યનું નામ લેશે, તો તેને આપોઆપ પાંચ દિવસ અથવા સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ ગણવામાં આવશે. આ માટે ગૃહમાં પ્રસ્તાવ પસાર કરવાની જરૂર રહેશે નહીં. જો કે રાજ્યસભાએ આ નિયમ અપનાવ્યો ન હતો.
પ્રથમ ઉદાહરણ 1963 માં દેખાયું
ગૃહમાં પ્રથમ મોટો હંગામો 1963માં જોવા મળ્યો હતો. જ્યારે રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે લોકસભાના કેટલાક સભ્યોએ પહેલા તેમાં વિક્ષેપ પાડ્યો હતો અને બાદમાં વોકઆઉટ કર્યો હતો.
આ પણ વાંચો | ગુજરાતમાં AAP કેવી રીતે તળિયે આવી ગઈ? જાણો કેજરીવાલની રણનીતિ ક્યાં નિષ્ફળ ગઈ
એક અદ્વિતીય ઉદાહરણ – માઈક ઉખેડી નાખ્યાં પછી પણ સાંસદને સસ્પેન્ડ કરાયા ન હતા.
20 જુલાઈ, 1989ના રોજ એવું બન્યું કે સત્યગોપાલ મિશ્રાએ સ્પીકરની સામે માઈક ઉખાડીને ફેંકી દીધું. આવું કૃત્યુ કરવા છતાં પણ તેમનું સસ્પેન્શન થયું નહીં. વિપક્ષ કેગની ટિપ્પણીને ટાંકીને સરકારના રાજીનામાની માંગ કરી રહ્યો હતો. તે સમયે શીલા દીક્ષિત સંસદીય કાર્ય મંત્રી હતા.





