વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરના રોજ દેશને સાતમી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપશે. પૂર્વ ભારતની આ પ્રથમ સેમી- હાઇ સ્પીડ ટ્રેન હાવડાને ન્યૂ જલપાઈગુડી સાથે જોડશે. ઉપરાંત શુક્રવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં નેશનલ ગંગા કાઉન્સિલની બીજી બેઠક યોજાશે. આ માહિતી ગુરુવારે પીએમઓ (PMO) આપી છે.
PM મોદી હાવડા સ્ટેશનથી વંદે ભારત એક્સપ્રેસને આપશે લીલી ઝંડી
PM મોદી શુક્રવારે 30 ડિસેમ્બરે હાવડા રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. PMOએ કહ્યું કે મોર્ડન સેમી-હાઈ સ્પીડ ટ્રેન અત્યાધુનિક પ્રવાસની સુવિધાઓથી સજ્જ છે. આ ટ્રેન બંને દિશામાં માલદા ટાઉન, બારસોઈ અને કિશનગંજ સ્ટેશનો પર રોકાશે. પ્રધાનમંત્રી જોકા-એસ્પ્લેનેડ મેટ્રો પ્રોજેક્ટ (પર્પલ લાઇન)ના જોકા- તારાતલા સેક્શનનું ઉદ્ઘાટન કરશે. જોકા, ઠાકુરપુકુર, સાખેર બજાર, બેહાલા ચોરાસ્તા, બેહાલા બજાર અને તારાતલા જેવા 6 સ્ટેશનો વાળા 6.5 કિલોમીટરનના સેક્શનનું 2475 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યો છે. કલકત્તા શહેરના દક્ષિણના વિસ્તાર જેવા કે સરસુના, પોસ્ટ ઓફિસ, મુચીપારા અને દક્ષિણ 24 પરગણાના મુસાફરોને આ પ્રોજેક્ટના ઉદ્ઘાટનથી ઘણો ફાયદો થશે.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ટાઇમ ટેબલ
ઈસ્ટર્ન રેલ્વે દ્વારા તૈયાર કરાયેલ સંભવિત ટાઈમ ટેબલ મુજબ વંદે ભારત એક્સપ્રેસ કોલકાત્તાના હાવડા સ્ટેશનેથી દર સોમવાર, મંગળવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારના રોજ ઉપડશે. તે હાવડા સ્ટેશનથી સવારે 05.55 કલાકે ઉપડશે. ત્યારબાદ આ ટ્રેન 09.56 વાગ્યે ન્યુ ફરક્કા પહોંચશે અને ત્યાંથી 09.57 વાગ્યે ઉપડશે. ત્યારબાદ આ ટ્રેન સવારે 10.40 કલાકે માલદાહ ટાઉન પહોંચશે, ત્યાં મિનિટ રોકાયા બાદ 10.45 વાગ્યે ઉપડશે અને 13.45 વાગ્યે ન્યૂ જલપાઈગુડી પહોંચશે. રિટર્નમાં આ ટ્રેન ન્યૂ જલપાઈગુડીથી 14.50 કલાકે ઉપડશે અને 17.45 કલાકે માલદાહ ટાઉન પહોંચશે. તે ત્યાં પાંચ મિનિટ રોકાશે અને 17.50 વાગ્યે રવાના થશે. છેલ્લે રાત્રે 22:40 વાગ્યે આ ટ્રેન હાવડા સ્ટેશને પહોંચશે.
નોધનિય છે કે, હાલ દેશમાં છ વંદે ભારત એક્સપ્રેસ દોડી રહી છે અને હવે સાતમી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડવા માટે સજ્જ થઇ ગઇ છે.
PM મોદીની અધ્યક્ષતામાં NGCની બીજી બેઠક
PMOએ કહ્યું કે વડાપ્રધાન લગભગ 12.25 વાગ્યે નેશનલ ગંગા કાઉન્સિલ (NGC)ની બીજી બેઠકની અધ્યક્ષતા કરશે. જારી કરાયેલા નિવેદનમાં માહિતી આપતા PMOએ કહ્યું કે દેશમાં સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપવાના બીજા પગલામાં વડાપ્રધાન 30 ડિસેમ્બરે કલકત્તામાં નેશનલ ગંગા કાઉન્સિલની બીજી બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં કેન્દ્રીય જલ શક્તિ મંત્રી, નેશનલ ગંગા કાઉન્સિલના સભ્યો, અન્ય કેન્દ્રીય મંત્રીઓ અને ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીઓ ભાગ લેશે. નેશનલ ગંગા કાઉન્સિલને ગંગા નદી અને તેની ઉપનદીઓના પ્રદૂષણ નિવારણ અને પુનર્જીવિત કરવાની સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.
આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન ચાર રેલવે પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત પણ કરશે. તેમાં બોઇંચી-શક્તિગઢ ત્રીજી લાઇન, દાનકુની-ચંદનપુર ચોથી લાઇન, નિમતિતા-ન્યુ ફરક્કા ડબલ લાઇન અને અંબારી ફાલાકાટા- ન્યુ મયનાગુરી- ગુમાનીહાટ દોહરીકરણ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. PMOએ કહ્યું કે વડાપ્રધાન મોદી 335 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસિત થનારા ન્યુ જલપાઈગુડી રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસનો શિલાન્યાસ પણ કરશે.
વડાપ્રધાનના પશ્ચિમ બંગાળના કાર્યક્રમ વિશે માહિતી આપતા PMOએ જણાવ્યું હતું કે પીએમ મોદી કોલકાતા મેટ્રોની પર્પલ લાઇનના જોકા-તરતલા સેક્શનનું પણ ઉદ્ઘાટન કરશે અને વિવિધ રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને કેટલાકનું લોકાર્પણ કરશે. PMO અનુસાર બપોરે 12 વાગ્યે વડાપ્રધાન નૌસેનાના બેઝ “INS નેતાજી સુભાષ” પર પહોંચશે અને ત્યાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. PM મોદી આવતીકાલે શ્યામા પ્રસાદ મુખર્જી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર એન્ડ સેનિટેશન (DSPM – NIWAS) નું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત, તેઓ નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMGC) હેઠળ પશ્ચિમ બંગાળ માટે કેટલીક સુએજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે અને લોકાર્પણ કરશે.
PM મોદી બંગાળને 990 કરોડ રૂપિયાની ભેટ આપશે
વડાપ્રધાન મોદી શુક્રવારે 990 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG) હેઠળ વિકસિત 7 સુએજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ (20 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને 612 કિમી નેટવર્ક)નું ઉદ્ઘાટન કરશે. નબદ્વીપ, કાચરાપાડા, હલીશર, બજ-બેજ, બૈરકપોર, ચંદન નગર, બાંસબેરિયા, ઉત્તરાપાડા કોટરુંગ, બૈદ્યબતી, ભદ્રેશ્વર, નૈહાટી, ગરુલિયા, ટીટાગઢ અને પાણીહાટીની નગરપાલિકાઓને આ પ્રોજેક્ટ્સનો લાભ મળશે. PMOએ કહ્યું કે આ પ્રોજેક્ટ પશ્ચિમ બંગાળમાં 200 એમએલડીથી વધુની સુએજ ટ્રિટમેન્ટ ક્ષમતામાં વધારો કરશે.
1585 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ
પ્રધાનમંત્રી 1585 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG) હેઠળ વિકસાવવામાં આવનાર 5 સુએજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ (8 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને 80 કિમી નેટવર્ક)નું શિલાન્યાસ પણ કરશે. આ પ્રોજેક્ટ્સ પશ્ચિમ બંગાળમાં 190 MLDની નવી STP ક્ષમતા ઉમેરાશે. આ પ્રોજેક્ટ્સ નોર્થ બૈરકપુર, હુગલી-ચિનસુરા, કોલકાતા કેએમસી ક્ષેત્ર – ગાર્ડન રીચ અને આદિ ગંગા (ટોલી નાલા) અને મહેસ્તલા શહેરના વિસ્તારોને લાભ કરશે. DSPM-નિવાસને લગભગ 100 કરોડ રૂપિયાના અંદાજીત ખર્ચથી કોલકત્તાના ડાયમંડ હાર્બર રોડ સ્થિત જોકામાં વિકસીત કરવામાં આવ્યું છે.