/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/11/PM-Modi-Ashok-Gehlot.jpg)
પીએમ મોદી અને અશોક ગેહલોત એક મંચ પર (ફોટો - બીજેપી ગુજરાત સોશિયલ મીડિયા)
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને રાજસ્થાન (Rajasthan CM) ના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત (ashok gehlot) મંગળવારે (નવેમ્બર 1, 2022) બાંસવાડા જિલ્લાના માનગઢ ધામ ખાતે આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપતી વખતે સ્ટેજ શેર કરે છે. આ દરમિયાન સરકારે એક નિવેદન જારી કરીને કહ્યું કે પીએમ મોદીએ રાજસ્થાનના માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતે પીએમ મોદીને બે વાર પત્ર લખીને માંગ કરી હતી કે માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવે, જેથી ગોવિંદ ગુરુને સાચી શ્રદ્ધાંજલિ આપી શકાય.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માનગઢના ગૌરવ ગાથા કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, દુર્ભાગ્યે આદિવાસી સમાજના આ બલિદાનને ઈતિહાસમાં જે સ્થાન મળવું જોઈએ તે મળ્યું નથી. આજે દેશ એ ખાલીપો ભરી રહ્યો છે. ભારતનો ભૂતકાળ, ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્ય આદિવાસી સમાજ વિના પૂર્ણ નથી.
અશોક ગેહલોત સૌથી વરિષ્ઠ મુખ્યમંત્રી છેઃ પીએમ મોદી
વડાપ્રધાને કહ્યું કે 17 નવેમ્બર, 1913ના રોજ માનગઢમાં થયેલો હત્યાકાંડ બ્રિટિશ શાસનની ક્રૂરતાની પરાકાષ્ઠા હતી. દુનિયાને ગુલામ બનાવવાનું વિચારીને માનગઢની આ ટેકરી પર અંગ્રેજ સરકારે 1500થી વધુ લોકોને ઘેરી લીધા અને તેમને મોતને ઘાટ ઉતારી દીધા. પીએમએ કહ્યું કે અશોક ગેહલોત જી અને મેં મુખ્યમંત્રી તરીકે સાથે કામ કર્યું છે. આપણા ઘણા મુખ્યમંત્રીઓમાં તેઓ સૌથી વરિષ્ઠ છે, આજે પણ મંચ પર બેઠેલા તમામ મુખ્યમંત્રીઓમાં, અશોકજી સૌથી વરિષ્ઠ મુખ્યમંત્રીઓમાંના એક છે.
મોદી એવા દેશના વડાપ્રધાન છે જ્યાં લોકશાહીના મૂળ મજબૂત છેઃ અશોક ગેહલોત
કાર્યક્રમમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, વડાપ્રધાન દુનિયાના ઘણા દેશોમાં જાય છે તો તેમને બહુ માન મળે છે અને શા માટે સન્માન મળે છે? કારણ કે નરેન્દ્ર મોદીજી એ દેશના વડાપ્રધાન છે જે ગાંધીનો દેશ છે, જ્યાં લોકશાહીના મૂળ મજબૂત છે.
Live: PM Shri @narendramodi attends 'Maangadh Dham Ki Gaurav Gatha' programme at Maangadh Hill, Banswara, Rajasthan https://t.co/BtJYMH4Frm
— BJP Gujarat (@BJP4Gujarat) November 1, 2022
આ કાર્યક્રમમાં પીએમ મોદી સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. માનગઢ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતની સરહદ પર આવેલું છે અને નેતાઓની મુલાકાતને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આદિવાસીઓને આકર્ષવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે, સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન, 17 નવેમ્બર, 1913ના રોજ, ગોવિંદ ગુરુના નેતૃત્વમાં, 1.5 લાખથી વધુ ભીલો અને અન્ય આદિવાસીઓએ અંગ્રેજો સાથે લાંબા સંઘર્ષમાં ભાગ લીધો હતો અને માનગઢ હિલ પર રેલી કરી હતી. એવું માનવામાં આવે છે કે, અંગ્રેજોએ એક મેળાવડા પર ગોળીબાર કરતાં લગભગ 1,500 લોકો માર્યા ગયા હતા.
રાજસ્થાનના આઠ જિલ્લાઓ - બાંસવાડા, ડુંગરપુર, ચિત્તોડગઢ, ઉદયપુર, રાજસમંદ, સિરોહી, પ્રતાપગઢ અને પાલી - આ પ્રદેશ હેઠળ આવે છે. અહીં કુલ 37 વિધાનસભા મતવિસ્તાર છે. ભાજપ પાસે 37માંથી 21 બેઠકો છે, જ્યારે કોંગ્રેસ પાસે 11, અપક્ષો પાસે ત્રણ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) પાસે બે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us