pm narendra modi rajasthan visit : વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે રાજસ્થાનની મુલાકાતે જોધપુર પહોંચ્યા હતા. જોધપુરમાં પ્રધાનમંત્રીએ 350-બેડના ટ્રોમા સેન્ટર અને ક્રિટિકલ કેર હોસ્પિટલ બ્લોકનો શિલાન્યાસ કર્યો હતો. સાથે માર્ગ, રેલવે, ઉડ્ડયન, આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ જેવા ક્ષેત્રોમાં આશરે 5000 કરોડ રૂપિયાના અનેક વિકાસ કાર્યો માટે શિલાન્યાસ કર્યો હતો. જોધપુરમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે પાંચ વર્ષમાં કોંગ્રેસની સરકાર એક ડગલું પણ આગળ વધી નહીં, અહીં ચોવીસ કલાક ખુરશીની રમત ચાલુ રહી છે.
જોધપુરમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે શું તમે લાલ ડાયરી વિશે સાંભળ્યું છે? લોકોનું કહેવું છે કે આ ડાયરીમાં કોંગ્રેસના ભ્રષ્ટાચારની દરેક વાત લખેલી છે. કહો કે શું ડાયરીનાં રહસ્યો બહાર ના આવવા જોઈએ? શું બેઇમોનોને સજા ન થવી જોઈએ? શું કોંગ્રેસ સરકાર ડાયરીના રહસ્યો જાહેર થવા દેશે? સત્ય સામે લાવવા માટે તમારે ભાજપની સરકાર બનાવવી પડશે.
કોંગ્રેસ ભાજપનો વિરોધ કરતા-કરતા ભારતનો વિરોધ કરવા લાગી
વડાપ્રધાને કોંગ્રેસ પર પ્રહાર કરતા સાધતા કહ્યું કે તે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરતા-કરતા ભારતનો વિરોધ કરવા લાગી છે. વડાપ્રધાન મોદીએ કટાક્ષ કરતા કહ્યું કે ભ્રષ્ટાચાર અને રમખાણોના મામલામાં કોંગ્રેસે રાજસ્થાનને દેશમાં ટોચ પર લાવી દીધું છે. કોંગ્રેસની એક સમસ્યા એ છે કે તે ભાજપનો વિરોધ કરતા-કરતા ભારતનો વિરોધ કરવા લાગી ગઇ છે. આજે સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે, તેના વખાણ થઈ રહ્યા છે, પરંતુ કોંગ્રેસને તેમં પરેશાની થઇ રહી છે. તેમણે કહ્યું હતું કે આજે અમેરિકાથી સિંગાપોર અને જાપાન સુધી ભારતનો ડંકો વાગી રહ્યો છે પરંતુ કોંગ્રેસીઓને તે પસંદ નથી. તેઓ દુઃખી થાય છે.
ભારતને ટોપ 3માં પહોંચાડીને રહીશ – પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે ભાજપ સરકારે ભારતને 10માં નંબરથી પાંચમાં નંબરની આર્થિક તાકાત બનાવી દીધી છે પરંતુ કોંગ્રેસને તેમાં પણ પરેશાની છે. પરંતુ આ મોદીની ગેરંટી છે કે થોડા જ વર્ષોમાં દેશને દસમાં નંબરથી ટોપ થ્રી માં પહોંચાડીને રહેશે. તેમણે કહ્યું કે કેન્દ્રની ભાજપ સરકાર રાજસ્થાનના વિકાસ માટે તમામ પ્રયાસો કરી રહી છે, પરંતુ અહીંની સ્થિતિ જોઈને ઘણું દુ:ખ થાય છે. પાંચ વર્ષમાં કોંગ્રેસના કુશાસને શું હાલ કરી દીધા છે.
આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું – કેસીઆર એનડીએ જોઇન કરવા માંગતા હતા, મેં અટકાવી દીધા
કોંગ્રેસ સરકારને રાજસ્થાનના હિત કરતા પોતાની વોટબેંક વધારે પસંદ
વડાપ્રધાને કહ્યું કે કોંગ્રેસ સરકારને તેની વોટબેંકને રાજસ્થાનના હિત કરતા વધારે પસંદ છે. રાજસ્થાનમાં મહિલાઓની દુર્દશા સાથે કોંગ્રેસને કોઈ લેવાદેવા નથી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે રાજસ્થાનનાં યુવાનો ન્યાયની માગ કરી રહ્યાં છે. ચૂંટણી સમયે બેરોજગારી ભથ્થાનું વચન આપનારી કોંગ્રેસે અહીં યુવાનોને પેપર લીક માફિયાઓને સોંપી દીધા હતા. આવા દરેક પેપર લીક માફિયાઓ સામે ભાજપ સરકાર કડક કાર્યવાહી કરશે. પીએમ મોદીએ લોકોને કહ્યું કે તમે યાદ રાખજો ભાજપ રાજસ્થાનમાં આવીને રોજગાર લાવશે. ભાજપ આવીને રાજસ્થાનના પેપર માફિયાઓનો સફાયો કરશે.
વડાપ્રધાને કહ્યું કે ભાજપનો સંકલ્પ રાજસ્થાનને પર્યટનમાં નંબર વન રાજ્ય બનાવવાનો છે અને આ માટે અમે રાજસ્થાનના દરેક ખૂણે વિકાસને લઇ જઇશું.