Shri Ram International Airport Ayodhya : વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (30 ડિસેમ્બર) અયોધ્યામાં શ્રી રામ આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું ઉદ્ઘાટન કરશે. પીએમઓના એક નિવેદનમાં જણાવાયું છે કે અયોધ્યા શહેરથી 15 કિલોમીટર દૂર સ્થિત આ એરપોર્ટનો પ્રથમ તબક્કો 1,450 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. એક અધિકારીને ટાંકીને ન્યૂઝ એજન્સી પીટીઆઇએ જણાવ્યું હતું કે અયોધ્યા એરપોર્ટનું નામ ‘મહર્ષિ વાલ્મીકિ ઇન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ’ રાખવામાં આવશે અને ટૂંક સમયમાં જ આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે. કુલ 6,500 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતું આ એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગ વાર્ષિક આશરે 10 લાખ મુસાફરોને સેવા આપવા માટે સજ્જ છે. 22 જાન્યુઆરીએ નિર્માણાધીન રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થશે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટર્મિનલ બિલ્ડિંગની રચના અયોધ્યાના શ્રી રામ મંદિરના સ્થાપત્યને દર્શાવવા માટે કરવામાં આવી છે. મુખ્ય પ્રવેશદ્વાર પણ આવી જ રીતે બાંધવામાં આવ્યો છે, જેમાં કોંક્રિટનો કોર અને રેતીના પત્થરોનો આવરણ છે, જેમાં સ્ટાઇલાઇઝ્ડ કોતરણી છે. અંદર ગયા પછી મુસાફરો ભગવાન રામના જીવનને દર્શાવતા સ્થાનિક કલા, પેઇન્ટિંગ્સ અને ભીંતચિત્રોથી શણગારેલા આંતરિક ભાગો જોઈ શકશે.
આ એરપોર્ટનું આર્કિટેક્ચર અને ડિઝાઇન ખૂબ જ ખાસ છે. તે સંપૂર્ણપણે શ્રી રામના જીવનથી પ્રેરિત છે. તેમાં 7 શિખરો છે, જેમાંથી એક મુખ્ય શિખર મધ્યમાં અને 3 આગળ અને 3 શિખરો પાછળ છે. સાથે જ એરપોર્ટની દિવાલો પર ભગવાન શ્રી રામની તસવીર અનેક રીતે કોતરવામાં આવી છે. એરપોર્ટની બહાર ધનુષ અને બાણનું એક મોટું ભીંતચિત્ર લગાવવામાં આવ્યું છે, જે શ્રી રામની મર્દાનગીનું પ્રતીક છે. સાથે જ એરપોર્ટના લેન્ડસ્કેપિંગમાં રંગોનો ઉપયોગ પાંચ તત્વોથી પ્રેરિત થયો છે. એરપોર્ટની મુખ્ય ઇમારતમાં 7 સ્તંભનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં રામાયણના 7 એપિસોડ દર્શાવવામાં આવ્યા છે.
તેના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભાગરૂપે, એરપોર્ટ વિવિધ ટકાઉ સુવિધાઓથી સજ્જ છે. જેમ કે ઇન્સ્યુલેટેડ રૂફિંગ સિસ્ટમ, એલઇડી લાઇટિંગ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, ફુવારાઓ સાથે લેન્ડસ્કેપિંગ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને જીઆરઆઈએચએ, 5 સ્ટાર રેટિંગ્સને પહોંચી વળવા માટે સોલર પાવર પ્લાન્ટ છે.
આ પણ વાંચો – અયોધ્યા જંક્શનનું નામ બદલાયું, હવે રામનગરીનું રેલવે સ્ટેશન આ નામથી ઓળખાશે
એક દિવાલ ભીંતચિત્ર પણ મહાબલી હનુમાનને સમર્પિત કરવામાં આવ્યું છે. તેમાં હનુમાનજીના જન્મથી લઈને અયોધ્યામાં તેમની સ્થાપના સુધીનું સંપૂર્ણ ચિત્રણ કરવામાં આવ્યું છે. સાથે જ ત્રીજા માળે રામ દરબાર અને મધુબની પેઇન્ટિંગમાં કરવામાં આવેલા સીતા-રામ વિવાહને દર્શાવવામાં આવ્યા છે, જે અહીં આવનારા તમામ લોકોનું મન આકર્ષિત કરશે. આ એરપોર્ટ 11 જાન્યુઆરી 2024થી અમદાવાદ અને અયોધ્યા વચ્ચે દરરોજની ત્રણ ફ્લાઇટનું સંચાલન કરશે. આ સાથે જ 6 જાન્યુઆરીએ દિલ્હી અને અયોધ્યા વચ્ચે પહેલી ફ્લાઈટ ઉડાન ભરશે. પ્રારંભિક કામગીરી બાદ આ એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ઉડાનોને કાર્યરત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની ઓફિસે ગુરુવારે એરપોર્ટના ઉદ્ઘાટન પર એક્સ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, અને કહ્યું હતું કે મહાકાવ્ય રામાયણના વિષયોથી સજ્જ આ અત્યાધુનિક એરપોર્ટ, સમગ્ર પ્રદેશમાં તીર્થયાત્રા અને પર્યટનના વિકાસને નવી ઊંચાઈએ લઈ જશે.
પોતાની અયોધ્યા યાત્રા દરમિયાન પીએમ મોદી પુનર્વિકસિત અયોધ્યા રેલવે સ્ટેશનને પણ લીલી ઝંડી આપશે. આ કાર્યક્રમમાં અમૃત ભારત ટ્રેનો અને વંદે ભારત ટ્રેનોનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જેમાં રૂ. 15,700 કરોડથી વધુના અન્ય વિકાસ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.