/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/01/Gujarat-Police.jpg)
ગુજરાત પોલીસ - પ્રતિકાત્મક તસવીર (Express photo by Nirmal Harindran)
Pune 7 Murder Case: એક જ પરિવારના સાત સભ્યોની હત્યાની તપાસ દરમિયાન પુણે ગ્રામીણ પોલીસ દ્વારા પુનરાવર્તિત પોસ્ટમોર્ટમ માટે મૃતકોમાંથી ત્રણના મૃતદેહ બીજી વખત બહાર કાઢવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, 18 થી 24 જાન્યુઆરી વચ્ચે પુણેના દાઉદ તાલુકાના પરગાંવમાં ભીમા નદીમાંથી સાત મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. સામૂહિક હત્યાના આ કેસમાં પાંચ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.
પુણે પોલીસે શનિવારે જારી કરેલી અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, હત્યામાં કથિત રીતે સામેલ એક સગીર છોકરાની પણ ધરપકડ કરવામાં આવી છે. તેને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરી રિમાન્ડ હોમમાં મોકલી આપવામાં આવ્યો હતો.
આ સાતેય મૃતકો એક જ પરિવારના છે
પોલીસે મૃતકોની ઓળખ બીડ જિલ્લાના ગોરાઈ તાલુકાના ખામગાંવના રહેવાસી 45 વર્ષીય મોહન ઉત્તમ પવાર, તેમની પત્ની સંગીતા પવાર, 40, તેમના જમાઈ શામરાવ પંડિત ફુલવારે, 28, પુત્રી રાની ફુલવારે - 24 અને તેમના બાળકો રિતેશ, 7, 5 વર્ષનો છોટુ અને 3 વર્ષનો ક્રિષ્ના. આ તમામ મૂળ ઉસ્માનાબાદ જિલ્લાના વાશી તાલુકાના હટોલે ગામના રહેવાસી છે. પોલીસે કહ્યું છે કે, સંગીતા, રાની અને શામરાવના મૃતદેહોને દાઉદ તહસીલદારની હાજરીમાં બહાર કાઢવામાં આવ્યા હતા અને ફરીથી પોસ્ટમોર્ટમ માટે સાસૂન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તેના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.
18-24 જાન્યુઆરીના રોજ નદીમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા
આ કેસની તપાસ કરી રહેલી પોલીસ ટીમના જણાવ્યા અનુસાર, પહેલી લાશ 18 જાન્યુઆરીના રોજ મળી આવી હતી. 20 થી 22 જાન્યુઆરીની વચ્ચે વધુ ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા, જ્યારે 23 જાન્યુઆરીએ પુણે મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટીની ટીમે નદીમાંથી ત્રણ બાળકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. સંગીતા પવાર, રાની ફુલવારે અને શામરાવ ફુલવારેના મૃતદેહોનું યવતની સરકારી હોસ્પિટલમાં કરવામાં આવેલા પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો કે, તેઓનું મૃત્યુ ડૂબી જવાથી થયું હતું. બાકીના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ સાસૂન હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.
સંબંધીઓએ આ હત્યા કરી હતી, આ પાંચની ધરપકડ કરવામાં આવી હતી
અધિકારીઓએ જણાવ્યું હતું, પોલીસ તપાસ દર્શાવે છે કે, મૃતકોની તેમના સંબંધીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી, હત્યાના આરોપમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં પવારના પિતરાઈ ભાઈ અશોક કલ્યાણ પવાર - 39, શામ કલ્યાણ પવાર- 35, શંકર કલ્યાણ પવાર - 37, પ્રકાશ કલ્યાણ પવાર - 24, અને એક મહિલા કાન્તાબાઈ સર્જેરાવ જાધવ - 45નો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ અહેમદનગર જિલ્લાના પારનેર તાલુકાના નિખોજના રહેવાસી છે.
આઈપીસીની આ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે
યાવત પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 302, 120B, 506 અને 34 હેઠળ તમામ આરોપીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી અશોક પવારના પુત્ર ધનંજયનું થોડા મહિના પહેલા વાઘોલીમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. અશોક અને તેના પરિવારને શંકા હતી કે, ધનંજયના મૃત્યુ માટે મનોજ પવાર અને તેનો પુત્ર અનિલ જવાબદાર છે. આ હત્યા બદલાની ભાવનાથી કરવામાં આવી હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો - ભાજપે ત્રિપુરા ચૂંટણી માટે ઉમેદવારોનું પ્રથમ લીસ્ટ જાહેર કર્યું, બિપ્લબ દેબ બહાર, કેન્દ્રીય રાજ્યમંત્રી લડશે ચૂંટણી
બદલાની ભાવનાથી હત્યા, અનેક મહત્વના પુરાવા મળ્યા
પોલીસે જણાવ્યું કે, આરોપીઓએ ગુનો કરવા માટે ઉપયોગમાં લીધેલું ફોર વ્હીલર પણ જપ્ત કરવામાં આવ્યું છે. તપાસ ટીમને શંકા છે કે, હત્યા બાદ આરોપીઓએ મૃતકોના મૃતદેહને એ જ વાહનમાં નદીમાં ફેંકી દીધા હતા. પોલીસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ફોરેન્સિક નિષ્ણાતોની ટીમે આ કેસમાં મહત્વપૂર્ણ પુરાવા પ્રાપ્ત કર્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us